માનવજાત સુધરતી કેમ નથી?
———————
દુનિયામાં કેમ શાંતિ સ્થપાતી નથી? યુદ્ધ માનવજાતને ભયાનક પીડા આપે છે તોય કેમ દુનિયામાં ક્યાંક ને ક્યાંક છમકલા ચાલતા જ રહે છે? આના જવાબમાં માત્ર રાજકીય, ભૌગોલિક, ધાર્મિક અને માણસની મૂળભૂત આદિમ વૃત્તિ સંબંધિત કારણો જ નહીં, આર્થિક પણ છે. અસ્ત્રો-શસ્ત્રોની બજારમાં જેટલો માલ-મલીદો છે એટલો બીજે ક્યાંય નથી અસ્ત્રો-શસ્ત્રોનું બજાર લાખો અબજો રૂપિયાનું છે. અમુક દેશોનું આખું અર્થતંત્ર જ શસ્ત્રોનાં ઉત્પાદન તેમજ નિકાસ પર આધારિત છે. જો અસ્ત્રો-શસ્ત્રો સમયસર વપરાય નહીં તો ‘વાસી’ થઈ જાય. તેથી એક્સપાયરી ડેટ આવે તે પહેલાં વેપન્સ વેચી નાખવા પડે… અને અસ્ત્રો-શસ્ત્રો તો જ વેચાય જો યુદ્ધ જેવી સ્થિતિ બની રહે.
—————————————-
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————————————-
સૌથી પહેલાં તો છેલ્લા સાત દિવસમાં બનેલી ઘટનાઓ પર એક ત્વરિત નજર ફેરવી લોઃ
૩૧ જુલાઈ : અમેરિકાએ સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાંના એક અલ દાયદાના નેતા એમન અલ-ઝવાહિરીના અફઘાનિસ્તાન-સ્થિત રહેઠાણ પર બે હેલફાયર મિસાઇલ ફેંકીને એને ખતમ કરી નાખ્યો.
૨ ઓગસ્ટ : ચીનના ભારે વિરોધને ગણકાર્યા વિના અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝનાં સ્પીકર નેન્સી પોલેસીએ તાઇવાનની વટપૂર્વક મુલાકાત લીધી. નેન્સીને સહીસલામત તાઇવાન લઈ જવા માટે ૨૦ વોરપ્લેન દ્વારા એમને એસ્કોર્ટ કરવામાં આવ્યા, એટલું જ નહીં, તાઇવાનના પૂર્વ તરફના દરિયામાં અમેરિકન નેવીના ચાર વોરશિપ્સને તૈનાત કરી દેવામાં આવ્યા. એમાંના એક વોરશિપનું નામ છે, યુએસએસ રોનાલ્ડ રીગન.
૩ ઓગસ્ટ : તાઇવાનને ડરાવવા માટે ચીને પોતાનાં ૨૭ ચાઇનીઝ ફાઇટર જેટ્સને તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં ધરાર ધૂસાડયાં. તેમાં છ J-૧૧ ફાઇટર જેટ હતાં, પાંચ J-૧૬ હતાં અને સોળ SU-૩૦ હતાં.
ઉપરની વિગતોમાં ઉલ્લેખ પામેલાં અસ્ત્રો-શસ્ત્રો અને લશ્કરી વિમાન-જહાજોની કિંમત તમે શું ધારો છો? અલ-ઝવાહિરીનાં રહેઠાણ પર ફેંકાયેલા બે હેલફાયર મિસાઇલમાંથી પ્રત્યેકની કિંમત છે, આશરે દોઢ લાખ ડોલર (એટલે કે લગભગ ૧ કરોડ ૧૮ લાખ રૃપિયા). એક J-૧૧ ફાઇટર જેટની કિંમત છે, ૩૦ મિલિયન ડોલર (લગભગ ૨ અબજ ૩૭ કરોડ રુપિયા, ફક્ત). એક SU-૩૦ની કિંમત ૨૫થી ૩૦ મિલિયન ડોલર (લગભગ ૧.૯૮ અબજથી ૨.૩૭ અબજ રુપિયા) છે… અને અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ યુએસએસ રોનાલ્ડ રીગન વોરશિપનું મૂલ્ય છે, ૪.૪ બિલિયન ડોલર એટલે કે ૩૫૬ અબજ રૃપિયા કરતાંય વધારે.
એક મિનિટ. યુદ્ધની જામગરી ચાંપી શકે એવી આ ઘટનોની વાત ચાલતી હોય ત્યારે રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા સાચુકલા યુદ્ધને શી રીતે ભૂલી જવાય? ફેબ્રુઆરીની આખરમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં એકલા અમેરિકાએ યુક્રેનને કેટલા મૂલ્યનાં ઓશોની મદદ કરી છે? ૪.૫ બિલિયન ડોલર. યુક્રેનને લશ્કરી મદદ માટે અમેરિકાએ કુલ ૫.૬ બિલિયન ડોલર એટલે કે ૪૪૩ અબજ રુપિયા કરતાંય વધારે રકમનું બજેટ ફાળવ્યું છે.
ચક્કર આવી જાય એટલા તોતિંગ આંકડા છે આ બધા!
૦૦૦૦
દુનિયામાં કેમ શાંતિ સ્થપાતી નથી? યુદ્ધ માનવજાતને ભયાનક પીડા આપે છે તોય કેમ આપણે સુધરતા નથી? કેમ દુનિયામાં ક્યાંક ને ક્યાંક છમકલા ચાલતા જ રહે છે? આ સવાલોના જવાબમાં માત્ર રાજકીય, ભૌગોલિક, ધાર્મિક અને માણસની મૂળભૂત આદિમ વૃત્તિ સંબંધિત કારણો જ નથી. દુનિયામાં સતત ચાલતી રહેતી યુદ્ધખોર ગતિવિધિઓનું એક મોટું કારણ આર્થિક છે. દુનિયાનાં તમામ પ્રકારનાં બજારોમાંથી શસ્ત્રોની બજારમાંથી સૌથી વધારે માલ-મલીદો મળે છે.
દુનિયામાં સૌથી વધારે શો કોણ વેચે છે? જવાબ સ્પષ્ટ છેઃ જગત જમાદાર અમેરિકા. ખૂબ ઊંચી વિશ્વસનીયતા ધરાવતા ધ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયુટે ગયા માર્ચમાં પોતાનો વાર્ષિક રિપોર્ટ પેશ કર્યો. એમાં કહેવાયું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે, ૨૦૧૭થી ૨૦૨૧ સુધીમાં દુનિયાભરમાં જેટલાં મોટાં, ઘાતક અસ્ત્રો-શસ્ત્રોનું વેચાણ થયું, એમાંના ૩૯ ટકા વેપન્સ એકલા અમેરિકાએ વેચ્યાં છે. રશિયાએ પોતાના ક્લાયન્ટ્સને વેચેલા આર્મ્સ કરતાં આ આંકડો બમણો છે ને ચીને પોતાના ઘરાકોને વેચેલાં આર્મ્સ કરતાં આ આંકડો દસ ગણો છે. અમેરિકા દુનિયાના ૧૦૩ દેશોને શો વેચે છે.
અમેરિકાની પોતાની મિલિટરીએ ૨૦૦૯માં ૧.૮૨ ટ્રિલિયન ડોલર એટલે કે ૧૪૪૨ અબજ રુપિયા ખર્ચી નાખ્યા હતા. (એક ટ્રિલિયન એટલે ૧૦ લાખ.) ૧૧ જ વર્ષ પછી, ૨૦૧૯માં, અમેરિકન મિલિટરીના એક્સપેન્ડિચરનો આંકડો ૨.૯૬ ટ્રિલિયન ડોલરે પહોંચી ગયો હતો. ૨૦૧૯માં વૈશ્વિક અસ્ત્રો-શસ્ત્રોના બજારનું આથક કદ ૧૧૮ બિલિયન ડોલર એટલે કે ૯૩૫૦ અબજ રુપિયા હતું. આપણને જ નહીં, કેલ્ક્યુલેટરને પણ બે ઘડી ચક્કર આવી જાય એવો અધધધ મોટો આ આંકડો છે! જે બજારમાં આટલું બધું નાણું હોય ત્યાં ભ્રષ્ટ ઓપરેટર્સ અને વચેટિયાઓની કેવી લાળ ટપકતી હશે? કોણ હોય છે આર્મ્સ ઇન્ડસ્ટ્રીના વચેટિયાઓ?
૦૦૦
આર્યન લેડી તરીકે જાણીતાં બનેલાં માર્ગારેટ થેચર ઇંગ્લેન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર હતાં તે વખતની, ટુ બી પ્રિસાઇઝ, ૧૯૮૦ના દાયકાના મધ્યની આ વાત છે. ઇંગ્લેન્ડ અને સાઉદી એરેબિયાના કિંગ ફહાદ વચ્ચે એ જમાનાના ૪૬ બિલિયન પાઉન્ડ્સની તોસ્તાનછાપ આર્મ્સ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી હતી. જો વાટાઘાટ પાર પડે તો સાઉદી એરેબિયા, ઇંગ્લેન્ડ પાસેથી ટોર્નેડો જેટ અને અન્ય લશ્કરી પ્લેન્સ ખરીદવાનું હતું. માર્ગારેટ થેચર અને કિંગ ફહાદ વચ્ચે આ સંદર્ભમાં રિયાધમાં એક મિટીંગ થવાની હતી. એ અરસામાં ઇંગ્લેન્ડના ડિફેન્સ સેક્રેટરી માઇકલ હેસેલટાઇનના અંગત સચિવે માર્ગારેટ થેચરના સલાહકાર વચ્ચે પત્રવ્યવહાર થયો. સચિવે લખ્યુંઃ ‘જ્યાં સુધી પ્રિન્સ બાન્ડર (કિંગ ફહાદનો ભ્રષ્ટ દીકરો)ને ખાતરી નહીં થાય કે આ મિટીંગમાંથી એને (એટલે કે પ્રિન્સને) કંઈ ‘પોઝિટિવ’ ફળ (એટલે કે કટકી, મલીદો) મળશે ત્યાં સુધી એ આ મિટીંગ થવા જ નહીં દે અને ઊલટાનો આપણાં પ્રાઇમ મિનિસ્ટર અને કિંગ બન્નેને ક્ષોભજનક સ્થિતિમાં એ મૂકી દેશે.’
આનો અર્થ એ થયો કે જ્યાં સુધી પ્રિન્સને પૈસા નહીં ખવડાવો ત્યાં સુધી ઇંગ્લેન્ડ-સાઉદી એરેબિયા વચ્ચે આર્મ્સ ડીલ નહીં થાય. આવડી મોટી ડીલ ગુમાવવી ઇંગ્લેન્ડને પરવડે તેમ નહોતું. પરિણામે માર્ગારેટ થેચરે શું કર્યું? સાઉદી પ્રિન્સના ખાતામાં ચુપચાપ ૧ બિલિયન પાઉન્ડ્સ (આજના હિસાબે ૯૬ અબજ રૃપિયા કરતાંય વધારે) જમા કરાવી દીધા! શું આ નાણું માર્ગારેટ થેચરે સરકારી તિજોરીમાંથી આપ્યું? ના. બ્રિટિશ એરોસ્પેસ (BAE) નામે ઓળખાતી કંપની, કે જે યુદ્ધખોર વિમાનો બનાવીને સાઉદી એરેબિયાને આપવાની હતી, એણે આ રકમ પ્રિન્સને પહોંચાડી.
ના, વાત અહીં પૂરી થતી નથી. આટલી મોટી ડીલ હોય ત્યારે વચેટિયાઓ પણ એકાધિક હોવાના. આ ડીલમાં એક ઓર વચેટિયો પણ હતો – માર્ક થેચર, માર્ગારેટ થેચરનો સગો દીકરો! એને આ ડીલ ‘ફિક્સ’ કરવામાં મદદ કરવા બદલ ૧૨ મિલિયન પાઉન્ડ એટલે કે આજના હિસાબે લગભગ ૧ અબજ ૧૫ કરોડ રુપિયા બ્રિટિશ એરોસ્પેસ તરફથી ચુકવવામાં આવ્યા હતા. આ બધા ભોપાળાં છેક ૨૦૧૬માં ઇંગ્લેન્ડના સિરિયસ ફ્રોડ ઓફિસ નામે ઓળખાતા ડિપાર્ટમેન્ટના પ્રતાપે બહાર આવ્યાં હતાં. સાઉદીનો પ્રિન્સ બન્ડાર એક વાર કેમેરા સામે નફ્ટાઇથી બોલી ગયો હતો કે, ‘જો મને ખબર પડત કે ભ્રષ્ટાચાર પર એકલો અમારો જ ઇજારો છે તો મને બહુ ખોટું લાગી ગયું હોત.’
આર્મ્સ ડીલમાં થતા ભ્રષ્ટાચારનું આ તો એક જ ઉદાહરણ થયું. દુનિયાભરના દેશોમાં શસરંજામના સોદાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોય છે. યુદ્ધ થાય ત્યારે સૌથી વધુ ફાયદો રાજકારણીઓને અને ઓશોના ઉત્પાદકોને જ તો થતો હોય છે. બરાક ઓબામા જ્યારે પ્રેસિડન્ટ હતા તે દરમિયાન અમેરિકાએ સીરિયા પર એર-સ્ટ્રાઇક કરી હતી. આ હુમલો થાય તેના થોડા સમય પહેલાં જ લોકહીડ માટન, નોર્થરેપ, રેથીઓન, જનરલ ડાયનેમિક્સ કોર્પોરેશન જેવી કંપનીઓના શેરોના ભાવ નવાઈ લાગે એટલી હદે ધડાધડ ઊંચકાવા માંડયા. આ કંપનીઓ શું બનાવે છે? અસ્ત્રો-શસ્ત્રો. દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય બને એટલે આ પ્રકારની કંપનીઓના શેર ધરાવતા લોકોને બખ્ખા થઈ જાય.
પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટી પર અવારનવાર અટેક થતા રહે છે. આ અટેક પૂરો થાય થયો નથી ને ઇઝરાયલની વેપન્સ કંપનીઓએ ટ્રેડ શો ગોઠવ્યો નથી. આ ટ્રેડ શોમાં કંપનીઓ દ્વારા પોતે કેવી કેવી અત્યાધુનિક ટેકનોલોજી વાપરી છે એની મોટી મોટી વાતો થાય. ઈઝરાયલની સરકાર માટે આ કંપનીઓ બહુ મહત્ત્વની છે, કેમ કે દેશની અર્થતંત્રમાં આ કંપનીઓનો બહુ મોટો ફાળો છે. દુનિયાની શો બનાવતી અમુક કંપનીઓનું આર્થિક કદ અમુક ટચુકડા દેશની જીડીપી કરતાંય વધારે હોય છે. સંહારક બોમ્બ અને અન્ય શો ખાવાની આઇટમ જેવા હોય છે. એ સમયસર વપરાય નહીં તો વાસી થઈ જાય. તેથી એક્સપાયરી ડેટ આવે તે પહેલાં વેપન્સ વેચી નાખવા પડે… અને વેપન્સ તો જ વેચાય જો યુદ્ધ જેવી સ્થિતિ બની રહે.
૦ ૦ ૦
પરિસ્થિતિની ગંભીરતા સમજાય છે? માણસોની પડતી અસહ્ય હાડમારી, રાજકીય દમન, ગુનાખોરી અને આતંકવાદ – આ બધાના હોવા પાછળ એક પરિબળ કોમન છે અને તે છે, આસાનીથી ઉપલબ્ધ થઈ જતાં વેપન્સ, તદન બેજવાબદારપણે થતી ઓશોની આપ-લે અને ખરીદ-વેચાણ.
જો બાઇડનની સરકાર જોકે કહે છે કે અમે હવે આર્મ્સ ટ્રાન્સફર પોલિસીમાં ફેરફાર લાવીશું, હ્યુમન રાઇટ્સ અને માનવતાને ધ્યાનમાં રાખીને અસ્ત્રો-શસ્ત્રોનાં ખરીદ-વેચાણ પર અંકુશ લગાવીશું. વિશ્વવિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિન લખે છે કે, વ્યર્થ શાબ્દિક બબડાટ કરવો એક વાત છે અને વાતને ખરેખર અમલ કરવી તે સાવ જુદી વાત છે. અમેરિકાને સાચે જ માનવજાતની ભલાઈની ચિંતા હોય અને મિડલ-ઇસ્ટમાં શાંતિ સ્થપાય એવું તે ઇચ્છતું હોય તો એણે સૌથી પહેલાં તો ઇજિપ્ત, સાઉદી એરેબિયા વગેરે દેશોને અસ્ત્રો-શસ્ત્રો વેચવાનું બંધ કરી દેવું જોઈએ.
આપણે તો ઈશ્વર પાસે માત્ર પ્રાર્થના જ કરી શકીએ છીએઃ ઓમ શાંતિ… શાંતિ… શાંતિ!
– શિશિર રામાવત
Leave a Reply