Sun-Temple-Baanner

કૃષ્ણની પીડા જીરવી જવા કોણ તૈયાર છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કૃષ્ણની પીડા જીરવી જવા કોણ તૈયાર છે?


કૃષ્ણની પીડા જીરવી જવા કોણ તૈયાર છે?

લોગઇનઃ

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા

————————–

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારનું આગવું મહત્ત્વ છે. એમાંય ગુજરાતી સાહિત્યમાંથી કૃષ્ણકાવ્યોને બાદ કરવામાં આવે તો ગુજરાતી કવિતા લંગડાઈ જાય. નરસીંહથી લઈને આજના યુવાકવિઓએ કૃષ્ણ પર કવિતાઓ રચી છે. કૃષ્ણના નખરા, તોફાન, પરાક્રમો, સાહસ, તેને સામાન્ય માણસ રાખીને પણ ઈશ્વર બનાવે છે. ચોરી કરતો હોય એવો ઈશ્વર આપણે ત્યાં કૃષ્ણ એક જ છે. તે માખણ પણ ચોરે છે અને મન પણ. તે કાવતરા પણ કરે છે અને કથા પણ કહે. તે ગીતા સંભળાવે અને ગાયો પણ ચરાવે. કવિ ભરત ભટ્ટ કહે છે તેમ એનું કંઈ જ ઠેકાણું નથી. રામ મર્યાદાપુરુષોત્તમ છે, તો કૃષ્ણ સર્વવ્યાપક પુરુષોત્તમ છે.

કૃષ્ણલીલા, રાધાપ્રેમ, મીરાવિરહ, બાળકૃષ્ણ જેવા ભાવો વ્યક્તિ કરતી કવિતા તો અનેક છે, પણ કૃષ્ણની પીડાની વાત કરતી કવિતા ખૂબ ઓછી છે. હિતેન આનંદપરાએ આવી એક સુંદર ગઝલ લખી છે. મારા કૃષ્ણ, અમારા કૃષ્ણ કહેનાર લોકોનો આપણે ત્યાં તોટો નથી. પણ કૃષ્ણની કક્ષાએ પહોંચવા માટે જે પીડા ભોગવવી પડે, જે સહન કરવું પડે, તે સહન કરવા કોણ તૈયાર છે? મહાન વ્યક્તિ કશું કર્યા વિના ક્યારેય મહાન નથી થતી હોતી. આપણને માત્ર જે તે વ્યક્તિની સફળતા ઊડીને આંખે વળગતી હોય છે, પણ ત્યાં પહોંચવા માટે તેણે પોતાના લોહીનું પાણી કર્યું હોય છે તે આપણે ભૂલી જઈએ છીએ. કૃષ્ણની પ્રીતના તો સૌ દાવેદાર થશે, તેની પીડાના દાવેદાર કોણ? તેની મૂર્તિ માથે લઈને નાચતા લોકોને કૃષ્ણની પીડા લેવાનું કહેવામાં આવે તો તરત મૂર્તિ નીચે મૂકીને ઘરભેગા થાય. આપણને આપણું સુખ શેમાં છે, એમાં જ રસ છે, પછી તે ભગવાન પાસેથી લેવાનું હોય કે કોઈ સ્નેહી પાસેથી. કૃષ્ણની પ્રીત જગજાહેર છે, પણ તેની અંદર ધરબાયેલી પીડા જોવા માટે કવિની આંખ જોઈએ, એક સંવેદનશીલ વ્યક્તિ જ એ પીડાને પોતાની અંદર અનુભવી શકે. હિતેન આનંદપરામાં એ સંવેદનશીલતા છે.

સામાન્ય માણસને દ્વારિકા એટલે સુવર્ણનગરી એવું જ લાગે છે. પણ દરેક વખતે એવું નથી હોતું. કૃષ્ણએ જે દ્વારિકા વસાવી તેના યાદવો અંદરોઅંદર લડી મર્યા. શા માટે? એમનામાં પરસ્પર કેટલો સંઘર્ષ હશે, કેટલી વિષમતા હશે એ તો કલ્પવી રહી. યાદવોના મૃત્યુની તો આખી કથા છે. તેને કહેવાનો અહીં અવકાશ નથી, પણ એ કથામાંય ભવ્ચતામાં ધરબાયેલી ઉદાસી તો છે જ છે.

રાધા કૃષ્ણ વિના ટળવળતી રહી, તેવું સર્વસામાન્ય કલ્પન છે. આને આપણા જીવન સાથે જોડીએ તો જે પ્રેમ કરે છે તેને કલ્પાંત કરવાનો વારો આવે છે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા, મથુરાથી દ્વારિકા એમ તેમની સફર સતત ચાલતી રહી. આ બધામાં રાધા કૃષ્ણપ્રતીક્ષામાં જ રહી. જોકે રાધાનું પાત્ર પણ કાલ્પનિક છે, એ પાત્રને પણ કોઈ કવિહૃદયે જ કૃષ્ણ સાથે સ્થાપ્યું છે. મૂળ વાત પીડાની છે. કવિ પ્રેમની પીડા વ્યક્ત કરવા માગે છે, રાધામાં અનરાધાર આંસુ છે, પણ તેને વહાવવા તેની પાસે બે જ આંખ છે.

કૃષ્ણ સુદર્શન કરતા વાંસળીમાં વધારે શોભે છે, પણ આપણે તેમના હાથમાં સુદર્શન પકડાવી દીધું. વિશ્વ ધાંધલધમાલથી ભરેલું છે. અંધાધૂંધીથી ભરેલું છે. તેમાં આવેલો ભગવાન પણ લીલા કરવાને બદલે લાલઘૂમ થઈ જાય છે. ગુસ્સો કરી બેસે છે. આપણી માણસાઈ ક્યાંય સખણી રહેતી નથી એનો આ જીવતો પુરાવો છે.

કૃષ્ણનું મૃત્યુ તેને પગમાં તીર વાગવાથી થયું હતું. ભગવાન જેવો ભગવાનને એક સામાન્ય પારધીનું તીર કઈ રીતે મારી શકે એવો પ્રશ્ન કોઈને પણ થાય. આપણે ત્યાં ભૂલ થાય એટલે સારો માણસ તરત કહે છે કે હશે, ભૂલ તો ભગવાનથી ય થાય. કૃષ્ણને પગમાં તીર વાગવાનું કારણ સ્વયં કૃષ્ણ છે એવું કવિ ઇંગિત કરે છે.

————————–

લોગઆઉટ

રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.

રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.

માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?

એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

~ ઈન્દિરાબેટીજી

————————–

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.