થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.
જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.
સૂરજને ખોટું લાગશે, આ એક વાત થી,
અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે.
છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.
સહમત બધી ય વાતમાં ના થઇ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.
આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા,
ખુશીઓની આવજાવથી અજવાળું થાય છે.
નડતા નથી સવાલ મને કાલના હવે,
બસ, આજના લગાવથી અજવાળું થાય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply