મૃત્યુગઝલ (ઈશ્વરને સંબોધીને)
જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો;
મને મારામાંથી તેં ઈશ્વર, બહાર કાઢી લીધો.
હવે તો હું ક્યાંય પણ દેખાતો નથી કોઈને,
તેં જાણે કે મારામાંથી આકાર કાઢી લીધો.
ન દરવાજે, શેરી, પાદર કે ગામમાંથી ચાલ્યો,
સિફતથી તેં ઘરમાંથી બારોબાર કાઢી લીધો.
છે ચોર્યાસી લાખમાંથી આ કેટલામો ફેરો?
જે કાઢ્યો એ કેટલામો અવતાર કાઢી લીધો?
હવે લોકો વાયકાઓ ના હોય એવી ઘડશે,
ખરો વાર્તાનો હતો જે, એ સાર કાઢી લીધો.
– અનિલ ચાવડા
Leave a Reply