‘લ્યો સાહેબ, આ રહ્યો સમાચારનો પુરાવો!’
ચિત્રલેખા – અંક તા. ૨૫ માર્ચ ૨૦૧૩
કોલમ: વાંચવા જેવું
* * * * *
ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે વખતની આ વાત છે. ભાવનગર જિલ્લાના દડવા ગામમાં દિનેશપુરી ગોસ્વામી નામનો એક પૂજારી રહે. એની પત્ની ભારે રુપાળી. નીતા એનું નામ. ગામના બદમાશોની લાંબા સમયથી એના પર કુદષ્ટિ. એક વાર લાગ જોઈને એ નીતાને ઉઠાવી ગયા. ગામની સીમમાં એના પર સામૂહિક બળાત્કાર કર્યો. લફંગાઓ એવા લોંઠકા કે પછી ચાર-ચાર દિવસ સુધી નીતાના વરને ઘરની બહાર પગ ન મૂકવા દીધો. આખરે માંડ માંડ દિનેશપુરીએ ઉમરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કોશિશ કરી તો પૂજાનો સામાન વેચતી એની દુકાન સળગાવી દેવામાં આવી. ભાવનગર ડીએસપીની મદદ માગવા ગયા તો એનું ખોરડું જલાવી દીધું. પરિવારને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ત્રસ્ત થઈ ગયેલાં પતિ-પત્ની આત્મહત્યા કરવાની અણી પર પહોંચી ગયાં. કોઈએ એેમને સમજાવીને ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ સ્થિત ઓફિસે મોકલ્યા. અખબારના વરિષ્ઠ પત્રકારે એનો ઈન્ટરવ્યુ લઈ તેમને કોઈ અજુગતું પગલું ન ભરવાની સલાહ આપી. નીતાએ હિંમતપૂર્વક કહ્યું કે મારું જે નુક્સાન થવાનું હતું એ તો થઈ ગયું. તમતમારે મારા નામ અને ફોટા સાથે છાપજો!
લેખ છપાયો ને હોબાળો મચી ગયો. બળાત્કારની ભોગ બનેલી યુવતીની તસવીર સાથે અહેવાલ છપાયો હોય તેવું ગુજરાતી પત્રકારત્વનો આ સંભવત: પહેલો કિસ્સો હતો. બળાત્કારીઓ અને તેમને સાથ આપનાર ૧૮ માણસોની ધરપકડ થઈ. વર્ષો સુધી હાઈકોર્ટે તેમને જામીન ન આપ્યા. નીતા અને તેના પતિને ન્યાય મળ્યાનો સંતોષ થયો. અલબત્ત, વાત અહીં પૂરી થતી નથી. થોડા અરસા પછી અમદાવાદમાં એ સિનિયર જર્નલિસ્ટના પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મંચ પર ચિમનભાઈ પટેલ, ‘ગુજરાત સમાચાર’ના માલિક-તંત્રી શાંતિભાઈ શાહ અને સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી બિરાજમાન હતા. બક્ષીબાબુને એમની તાસીર મુજબ મંચ પરથી ચિમનભાઈ વિરુદ્ધ ભાષણ ઠપકાર્યું. પછી ચિમનભાઈનો વારો આવ્યો. બક્ષી ઈતિહાસના પ્રોફેસર હતા એટલે ચિમનભાઈએ ઠેકડી ઉડાવતા કહ્યું કે, ‘ઈતિહાસ લખનારા લખ્યા કરે અને ઈતિહાસ રચનારા રચ્યા કરે.’ અહીંથી ન અટકતા તેમણે મિડીયાને પણ હડફેટમાં લીધા: ‘સમાચાર લખનારાઓએ ક્યાં પૂરાવા રજૂ કરવાના હોય છે?’
છેલ્લે લેખકનો વારો આવ્યો. તેમણે પોતાના વકતવ્યમાં નીતા ગોસ્વામીની કહાણી વર્ણવીને ઉમેર્યું કે ચિમનભાઈ, તમારા પૂરાવા જ જોઈએ છેને, તો મેં હમણાં જેની વાત કહી એ નીતા અત્યારે ઓડિયન્સમાં જ બેઠી છે! નીતાને બોલવવામાં આવી. નીતા આત્મવિશ્વાસપૂર્વક માથા પર સાડીનો છેડો ઢાંકીને મંચ પર આવી. લેખકે કહ્યું: ‘લ્યો સાહેબ, આ રહ્યો પુરાવો!’ હૉલમાં પહેલાં સ્તબ્ધતા છવાઈ અને પછી તાળીઓનો ગડગડાટ થઈ ગયો. આ જ નીતા ગોસ્વામી પછી એક અવોર્ડવિનિંગ ડોક્યુમેન્ટરી બની. એટલું જ નહીં, જે ગામમાં એના પર ગેંગરેપ થયો હતો એ જ ગામની એ સરપંચ પણ બની!
જેમાં નીતાનો કિસ્સો જેમાં છપાયો એ અત્યંત લોકપ્રિય કોલમ એટલે ‘કભી કભી’ અને એ વરિષ્ઠ પત્રકાર એટલે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ. આજનાં પુસ્તક ‘આંતરક્ષિતિજ’માં એમની રોમાંચક અને ઘટનાપ્રચુર જર્નલિસ્ટિક કરીઅરના આવા તો કંઈકેટલાય રસપ્રદ કિસ્સાઓ આલેખાયા છે. ‘આંતરક્ષિતિજ’ પુસ્તક રીતસર આત્મકથા ભલે ન હોય, પણ આત્મકથાનાત્મક તો છે જ. સાબરકાંઠાના આકરુન્દ નામના ગામડામાં વીતેલાં તોફાની બાળપણથી લઈને ૪૫ વર્ષની પ્રલંબ કારકિર્દીના આલેખ ઉપરાંત તેમનું જીવનદર્શન પણ અહીં ઝીલાયું છે.
લેખક યોગ્ય જ કહે છે કે પત્રકારત્વ કંઈ ગ્લેમરસ ફિલ્ડ નથી. આ કોઈને ડરાવવા-ધમકાવવાનો કે વટ પાડી દેવાનો વ્યવસાય પણ નથી. પુષ્કળ પરિશ્રમ માંગી લે છે આ ફિલ્ડ. અહીં જોખમ પણ એટલું જ છે. ૧૯૮૦ના દાયકામાં ગુજરાતમાં ફાટી નીકળેલાં હિંસક અનામત આંદોલનનું જ ઉદાહરણ લો. દેવેન્દ્ર પટેલ પોતાની ‘વોહી રફ્તાર’ કોલમમાં પોલીસના જુલમનું બિન્ધાસ્ત વર્ણન કરતા. યોગાનુયોગે એ જ અરસામાં અંગત કારણસર એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ ગઈ. આ ઘટના માટે ‘ગુજરાત સમાચાર’ને જવાબદાર ઠેરવવામાં આવ્યું. કેટલાંક અસામાજિક તત્ત્વો પણ કામે લાગી ગયાં. અખબારની ઈમારતને સળગાવી મૂકવામાં આવી. તોફાની ટોળું દેવેન્દ્ર પટેલના ઘરને પણ આગ ચાંપવા માગતું હતું. લેખક કે એના પરિવાર પાસે કોઈ પોલીસ પ્રોટેક્શન નહીં, પણ એમના નસીબ સારા કે કોઈ દુર્ઘટના ન ઘટી. વ્યાવસાયિક સાહસ કે દુ:સાહસના પછીય એકાધિક કિસ્સા બન્યા.
આ પુસ્તકમાં સૌથી ધ્યાન ખેંચતી ઑર એક બાબત હોય તો એ છે લેખકનો ગુજરાતના જુદાજુદા મુખ્યપ્રધાનો સાથેના લેખકના અંતરંગ સંબંધ. આ સંબંધ માત્ર વ્યાવસાયિક ન રહેતા અંગત સ્તર સુધી વિસ્તરતો. અમરસિંહ ચૌધરી અને તેમનાં પ્રેમિકા નિશાબહેન ગામીત બન્ને પરિણીત હતાં. એક દિવસ નિશાબહેને લેખકને કહ્યું કે તમે તમારા મિત્રને સમજાવો કે મારી સાથેનાં (બીજાં) લગ્નની વાત જાહેર કરી દે. અમરસિંહે દલીલ કરી કે એમ કરું તો તો મારી રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય. લેખકે સમજાવ્યું કે તમારા સંબંધ વિશે આમેય ગુજરાતના આગેવાનો જાણે જ છે. તમે લગ્નને કાયદેસરનું રુપ આપી દેશો તો ગોસિપ બંધ થઈ જશે. વળી, તમે બન્ને જે આદિવાસી સમાજમાંથી આવો છે એમાં આમેય આ પ્રકારનાં લગ્ન માન્ય ગણાય છે. આખરે ફ્રન્ટપેજ સ્ટોરી છપાઈ: ‘નિશા સાથેના પ્રણયને પરિણયમાં ફેરવતા અમરસિંહ.’ અહેવાલની બાયલાઈન દેવેન્દ્ર પટેલની હોવાની અમરસિંહનાં પ્રથમ પત્ની ગજરાબહેન જોેકે એમના પર નારાજ થઈ ગયેલાં.
૨૦૦૭થી ‘સંદેશ’ અખબાર સાથે સંકળાયેલા દેવેન્દ્ર પટેલ ‘ચિત્રલેખા’ને કહે છે કે, ‘આ પુસ્તકનો હેતુ કંઈ સનસનાટી સર્જવાનો નથી. કેટલાય શક્તિશાળી નેતાઓની અંતરંગ વાતો હું જાણું છું, પણ એ વાતો તેમણે મારા પર વિશ્વાસ રાખીને એક મિત્ર તરીકે share કરી છે. એ વાતો હું ક્યારેય જાહેર ન કરું. આ પુસ્તક મેં કેવળ પાંત્રીસ દિવસમાં લખ્યું છે. મેં જીવનમાં ક્યારેય ડાયરી કે નોંધો લખી નથી. પુસ્તકમાં આલેખાયેલી તમામ ઘટના તેમજ વિગતો મેં સ્મૃતિના આધારે લખી છે.’
એક જ બેઠકમાં પૂરું કરી શકાય એટલું રસાળ બન્યું છે આ પુસ્તક. ગુજરાતી પત્રકાત્વના જુદા જુદા રંગો ઝીલતાં પુસ્તકો બહુ ઓછા લખાયાં છે એવી સ્થિતિમાં નવયુવાન પત્રકારો તેમજ જર્નલિઝમમાં જોડાવા માગતા યંગસ્ટર્સ માટે આ પુસ્તક એક તગડું રેફરન્સ મટિરિયલ બની રહેશે એ તો નક્કી. 000
આંતરક્ષિતિજ
લેખક: દેવેન્દ્ર પટેલ
પ્રકાશક:
નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમત: ૨૦૦ /
પૃષ્ઠ: ૨૪૪
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply