Sun-Temple-Baanner

આપણે ફક્ત તેનસિંગ-હિલેરીને જ કેમ યાદ કરીએ છીએ?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આપણે ફક્ત તેનસિંગ-હિલેરીને જ કેમ યાદ કરીએ છીએ?


ટેક ઓફ – આપણે ફક્ત તેનસિંગ-હિલેરીને જ કેમ યાદ કરીએ છીએ?

Sandesh- Ardh Saptahik Purti- 13 and 20 May 2015

ટેક ઓફ

* * * * *

ઇતિહાસ ક્યારેક કેવળ અંતિમ પરિણામમાં જ રસ લે છે. એવરેસ્ટ સર કરવાની વાત આવે એટલે તરત આપણને અહીં પહેલી વાર પગ મૂકનાર તેનસિંગ અને એડમન્ડ હિલેરી યાદ આવે,પણ આ બન્નેના જાંબાઝ પૂર્વસૂરિઓ કોણ હતા જેમણે ભવિષ્યના પર્વતારોહકોના લાભાર્થે જાનના જોખમે ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરી આપ્યું અને રીતસર એવરેસ્ટ સુધીની કેડી કંડારી આપી? તેનસિંગ અને હિલેરી ખરેખર તો કુલ ૧૪ માણસોની બ્રિટિશ ટુકડીના સદસ્ય હતા, તો બાકીના બાર પર્વતારોહકો કોણ હતા?

ઇતિહાસ ઘણી વાર એક વ્યક્તિની સિદ્ધિના પ્રકાશમાં એની આસપાસના સંભવતઃ એટલા જ કાબેલ માણસોને ગુમનામીના અંધકારમાં ધકેલી દેતો હોય છે. નેપાળમાં પ્રચંડ ધરતીકંપના પગલે હિમાલય પર્વત ચર્ચામાં આવી ગયો. એવરેસ્ટ પર આરોહણ કર્યા વગર જ પોતપોતાના દેશોમાં રવાના થઈ રહેલા દુનિયાભરના સાહસિકોના સાઉન્ડબાઇટ્સ આપણે ટીવી પર સાંભળ્યા. હિમાલય સર કરવાની વાત આવે એટલે તરત આપણને એવરેસ્ટ પર ૧૯૫૩માં સૌથી પહેલી વાર પગ મૂકનાર તેનસિંગ અને એડમન્ડ હિલેરી યાદ આવે, પણ આ બન્ને શબ્દશઃ સફળતાના શિખર સુધી પહોંચી શકે તે માટે જાનના જોખમે એવરેસ્ટ સુધીની કેડી કંડારી આપનારા તેમના પૂર્વસૂરિઓ કોણ હતા? તેનસિંગ અને હિલેરી ખરેખર તો કુલ ૧૪ માણસોની બ્રિટિશ ટુકડીના સદસ્ય હતા, તો બાકીના બાર પર્વતારોહકો કોણ હતા?

આ સવાલના જવાબ એરિક શિપ્ટન નામના એક જાંબાઝ પર્વતારોહકે લખેલા વિસ્તૃત લેખમાંથી મળે છે. મહેન્દ્ર મેઘાણીએ તેનો અનુવાદ કરીને એને ‘મિલાપની વાચનયાત્રાઃ ૧૯૫૩’ પુસ્તકમાં સમાવ્યો છે. તેનસિંહ-હિલેરીની સિદ્ધિનાં ૨૮ વર્ષ પહેલાં એવરેસ્ટ પર ચઢાઈ માટેની પૂર્વતૈયારી કરવાની જવાબદારી બ્રિટનના એરિક શિપ્ટનને સોંપાઈ હતી. એવરેસ્ટ-આરોહણની ગતિવિધિની શરૂઆત તો જોકે છેક ૧૯૦૭માં થઈ ચૂકી હતી. યુરોપની આલ્પ્સ પર્વતમાળાના પ્રેમીઓ માટે ચાલતી આલ્પાઇન ક્લબની રજતજયંતી તે વર્ષે ઊજવાઈ હતી. સેલિબ્રેશનના ઉન્માદમાં કેટલાક બ્રિટિશ પર્વતખેડુઓ વચ્ચે વાત ઊછળીઃ આલ્પ્સ તો ખૂંદી વળ્યા, હવે એવરેસ્ટ સર કરીએ તો સાચા! એવરેસ્ટ ચડવા માટે કાં તિબેટ જવું પડે અથવા નેપાળ, પણ એ વર્ષોમાં આ બન્ને દેશોએ યુરોપિયનો માટે ‘નો એન્ટ્રી’નું પાટિયું ખોડી રાખ્યું હતું. ૧૯૧૯માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું છેક ત્યાં સુધી જુદા જુદા રાજકીય અવરોધોને લીધે એવરેસ્ટ-આરોહણની યોજના કેવળ કાગળ પર જ રહી.

૧૯૨૦માં દલાઈ લામાના અંગ્રેજ મિત્ર ચાર્લ્સ બેન યેનકેન પ્રકારેણ તિબેટની સરકાર પાસેથી પર્વતારોહકોની એક ટુકડીને તિબેટના રસ્તાનો ઉપયોગ કરવા દેવાની પરવાનગી લેતા આવ્યા. ઇંગ્લેન્ડની રોયલ જ્યોગ્રોફિકલ સોસાયટી અને આલ્પાઇન ક્લબે સાથે મળીને એવરેસ્ટ પર આક્રમણ કરવાની તૈયારી કરવા માંડી. ૧૯૨૧માં દુનિયાની પહેલીવહેલી એવરેસ્ટ આરોહણ ટુકડી તૈયાર થઈ. એવરેસ્ટ… કે જ્યાં હજુ સુધી એક પણ કાળા માથાનો માનવી નહોતો ગયો! ટુકડીનો મુખ્ય ઉદ્દેશ તો એવરેસ્ટ સુધી પહોંચતા જુદા જુદા માર્ગોની શોધખોળ કરવાનો હતો. આ સિવાય પોતે જ્યાંથી પસાર થાય ત્યાંની વનસ્પતિ, પશુ-પક્ષી, માટી-ખડકો, હવામાન વગેરેનો અભ્યાસ પણ કરવાનો હતો એટલે જુદા જુદા વિષયોના નિષ્ણાતોને સાથે લેવામાં આવ્યા હતા. ૧૩,૦૦૦ ચોરસ માઇલના તદ્દન અજાણ્યા પ્રદેશના નકશા સૌથી પહેલી વાર તૈયાર થઈ શક્યા એના મૂળમાં આ ટુકડીનો પરિશ્રમ જ હતો.

એવરેસ્ટની આસપાસ બને એટલું પરિભ્રમણ કરીને શિખર તરફના સંભવિત રસ્તા શોધવાનું કામ મેલોરી અને બુલોક નામના બે પર્વતારોહકોને સોંપવામાં આવ્યું. તેઓ ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ આવ્યા. એવરેસ્ટની ઊંચાઈ ૨૯,૦૨૯ ફૂટ અથવા ૮૮૪૮ મીટર જેટલી છે. દરમિયાન શિયાળો આવી ગયો એટલે પાછા વળી જવું પડયું.

૧૯૨૨માં બ્રિગેડિયર જનરલ બ્રુસના નેતૃત્વ હેઠળ ઔર એક બ્રિટિશ ટુકડી એવરેસ્ટ તરફ નીકળી પડી. મેલોરી અને બુલોકે રસ્તો શોધી રાખ્યો હતો એટલે હવે આ ટુકડીએ તે માર્ગે શક્ય એટલું ઉપર જવાનું હતું. ૧૯૨૨ સુધીમાં માણસ મહત્તમ ૨૪,૬૦૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ શક્યો હતો, પણ ૨૫,૦૦૦ ફૂટ કે તેના કરતાંય વધારે ઊંચે હવા પાતળી થઈ જવાથી માણસના તન-મન પર શી અસર થાય છે તે વિશે એ જમાનામાં કોઈ જાણતું નહોતું. આ ટુકડીએ કૃત્રિમ ઓક્સિજનનો જથ્થો પોતાની સાથે રાખ્યો હતો,પણ તેનો ઉપયોગ કરવો કે નહીં તે વિશે મતમતાંતર હતા. એક જૂથનું કહેવું હતું કે આપણે કોઈ પણ જાતની બાહ્ય મદદ વગર એવરેસ્ટ સર કરવાની કોશિશ કરવાની છે. જો કૃત્રિમ પ્રાણવાયુ લઈએ તો તો અંચઈ કરી કહેવાય, પહાડનો સામનો કરવામાં ‘અનીતિ’ આચરી કહેવાય! બીજા જૂથની પ્રતિદલીલ એવી હતી કે ભાઈ, આપણે પર્વતારોહકો છીએ. પર્વતના આરોહણમાં જે અવરોધો આવવાના હોય તેને આપણે પાર કરવાના જ હોય. વળી, આપણે કોદાળી, કુહાડા, દોરડાં વગેરેનો ઉપયોગ કરીએ જ છીએને? એને શું બહારની મદદ ન કહેવાય?

ખેર, આ જ ટીમના ફિન્ચ અને બ્રુસ નામના સભ્યો ૨૭,૩૦૦ મીટર સુધી પહોંચવામાં સફળ થયા અને તે પણ કૃત્રિમ પ્રાણવાયુ લીધા વગર! જોકે, જાલિમ ઠંડીની તેમના પર માઠી અસર થઈ. એમના જ્ઞાાનતંતુઓમાં બહેરાશ આવી ગઈ. બહુ જ ખરાબ અવસ્થામાં તેઓ ત્રીજી છાવણીએ પાછા ફર્યા. ૧૬,૮૦૦ ફૂટે આવેલા બેઝ કેમ્પથી ઉપર જતા રસ્તામાં પ્રત્યેક દોઢ-બે હજાર ફૂટના અંતરે તેઓ છાવણી તૈયાર કરતા જતા હતા. હિમાલય ખૂંદવા માટેનો આદર્શ સમય મેના મધ્યથી જૂનના મધ્ય સુધીનો આદર્શ ગણાય છે. ફિન્ચ અને બ્રુસ તાજામાજા થઈને નવેસરથી ટોચે પહોંચવાનો પ્રયાસ કરે તે પહેલાં ચોમાસું બેસી ગયું. અધૂરામાં પૂરું હિમધોધ તૂટી પડયો, જેમાં સાત શેરપાઓનો ભોગ લેવાઈ ગયો.

બે વર્ષ પછી ૧૯૨૪માં જનરલ બ્રુસની આગેવાની હેઠળ ઔર એક ટુકડી નીકળી. તેઓ માંદા પડી ગયા એટલે નોર્ટન નામના પર્વતારોહકે એમનું સ્થાન લીધું. નોર્ટને ૧૯૨૨ની ટીમમાં પણ મહત્ત્વની કામગીરી બજાવેલી. આ વખતે એવરેસ્ટ સર થઈ જ જશે એવો સૌને આત્મવિશ્વાસ હતો, કેમ કે ૨૭,૩૦૦ ફૂટની ઊંચાઈએ ઓક્સિજન માસ્ક વગર જીવી શકાય છે અને તેનાં જેવાં બીજાં ઘણાં તારણો તેમને મળી ચૂક્યાં હતાં. ૨૬,૮૦૦ ફૂટની છાવણીથી નોર્ટન સાથે સોમરેવેલ નામનો સાથીદાર જોડાયો. બન્ને બહાદુરીપૂર્વક આગળ વધતા હતા, પણ સોમરવેલને જોકે ફેફસાંની બીમારી લાગુ પડી ગઈ હતી. એકધારી ખાંસીથી તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ગળફામાં લોહી પડતું હતું અને શ્વાસ રુંધાઈ જતો હતો. નોર્ટનની આંખે ઝાંખપ આવી ગઈ હતી. બધું ડબલ-ડબલ દેખાતું હતું. એમના ફેવરમાં માત્ર એક જ બાબત હતી- અનુકૂળ હવામાન, તેથી જ આટઆટલી શારીરિક તકલીફો છતાંય નોર્ટન ૨૮,૧૫૦ ફૂટ સુધી પહોંચી ગયા હતા. મતલબ કે અહીંથી શિખર ફક્ત ૮૭૯ ફૂટ છેટું હતું! છતાંય વધારે સમય ટકી શકાય તેમ નહોતું એટલે અહીંથી છાવણી તરફ પાછા વળી જવું પડયું. સોમરવેલ તો એમની પહેલાં જ રિટર્ન થઈ ગયેલા. નોર્ટન પર વિષમ આબોહવાની એટલી ભયાનક અસર થઈ હતી કે કેટલાય દિવસ સુધી તેઓ લગભગ અંધ જેવા થઈ ગયેલા.

થોડા દિવસ પછી આ જ ટીમના બીજા બે સભ્યો મેલોરી અને અરવિને આગળ વધવાનું બીડું ઝડપ્યું. ૮ જૂન, ૧૯૨૪ની શાંત સવારે તેઓ છાવણીથી શિખર તરફ રવાના થયા. તેમણે પોતાની સાથે ઓક્સિજનનો પુરવઠો પણ રાખ્યો હતો. એ વખતે તેમને કે એમના સાથીઓને ક્યાં ખબર હતી કે હવે પછી તેમનો ક્યારેય મોં-મેળાપ થવાનો નથી! મેલોરી અને અરવિન ગયા તે ગયા, એ કદી પાછા ન ફર્યા. તેમનું શું થયું? એવરેસ્ટ પર પહોંચતા પહેલાં જ એમનો જીવ ગયો? કે પછી એવરેસ્ટ તેમણે ઓલરેડી સર કરી નાખ્યો હતો અને પાછા ફરતી વખતે પ્રાણ ખોવો પડયો? ધારો કે તેઓ ટોચ સુધી પહોંચી ગયા હોય તો શું એનો અર્થ એ ન થયો કે એવરેસ્ટ પર સર્વપ્રથમ વખત વિજયપતાકા લહેરાવનારા તરીકે ઇતિહાસમાં મેલોરી અને અરવિનનું નામ નોંધાવું જોઈતું હતું, તેનસિંગ અને હિલેરીનું નહીં? ખેર, આ પ્રશ્નોના ઉત્તર આપણને ક્યારેય મળવાના નથી.

બીજા સવાલ પણ છે. મેલોરી અને અરવિનનાં કમોત પછી શું થયું? ૧૯૨૪થી લઈને તેનસિંગ-હિલેરીએ એવરેસ્ટ સર કર્યો તેની વચ્ચેના ૨૯ વર્ષના ગાળામાં શું શું બન્યું?

* * * * *

માનવ-ઇતિહાસમાં પહેલી વાર ૧૯૫૩માં એવું બન્યું કે હિમાલયના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર કોઈએ પગ મૂક્યો. આ સાહસ કરનાર એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગ નોર્કે હતા, પણ એ કંઈ માઉન્ટ એવરેસ્ટ ખૂંદનારા સૌથી પહેલા માણસ નહોતા. આપણે ગયા અઠવાડિયે જોયું કે એવરેસ્ટ-આરોહણની ગતિવિધિની શરૂઆત તો જોકે છેક ૧૯૦૭માં થઈ ચૂકી હતી. તે પછીનાં વર્ષોમાં કેટલાય જાંબાઝ પર્વતારોહકોએ હિમાલયના અત્યાર સુધી તદ્દન વણખેડાયેલા રહી ગયેલા ભયંકર હિસ્સાઓનું ખેડાણ કર્યું, જાનના જોખમે જાતજાતના અખતરા કર્યા, ટોચ સુધી પહોંચવાના રસ્તા શોધ્યા. અમુક તો ૨૯,૦૨૯ ફૂટની ઊંચાઈ પર આવેલી ટોચથી ફક્ત ૮૭૯ ફૂટના અંતર સુધી પહોંચી ગયા હતા. જાનના જોખમે થઈ રહેલા આ બધા સંઘર્ષોને લીધે ભાવિ પર્વતારોહકો માટે એક નક્કર પૂર્વભૂમિકા તૈયાર થઈ રહી હતી, તેમનું ક્રમશઃ આસાન બની રહ્યું હતું.

૮ જૂન, ૧૯૨૪ના રોજ મેલોરી અને અરવિન નામના બે હિંમતબાજ પર્વતારોહકો પોતાની અંતિમ છાવણીથી સર્વોચ્ચ શિખર તરફ જવા રવાના તો થયા, પણ ક્યારેય પાછા ન ફર્યા. તેઓ એવરેસ્ટ પર પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા કે એવરેસ્ટ સર કરી લીધા પછી પાછા ફરતી વખતે મોતને ભેટયા તે કોઈ જાણતું નથી. એરિક શિપ્ટન નામના પર્વતારોહક પોતાના લેખમાં (જેનો અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કર્યો છે) આગળ વર્ણન કરતાં કહે છે કે આ દુર્ઘટના પછી તિબેટની સરકારે ઘણાં વર્ષ સુધી પર્વતારોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી જ ન આપી. છેક નવ વર્ષ બાદ, ૧૯૩૩માં ઔર એક ટુકડીને પરમિશન મળી. એરિક શિપ્ટન આ ટીમના સદસ્ય હતા. ટીમલીડરનું નામ હતું રટલેજ. આખી ટીમ આ વખતે જબરી કોન્ફિડન્ટ હતી, કેમ કે અગાઉની ટુકડીઓનાં અનુભવો અને તારણોનો નક્કર લાભ તેમને મળવાનો હતો. વળી, આટલાં વર્ષોમાં ટેક્નોલોજી પણ ખાસ્સી આગળ વધી ગઈ હતી. કમનસીબે હવામાને ગરબડ કરી નાખી.

* * * * *

બન્યું એવું કે ૧૯૩૩માં ભારતમાં ચોમાસું વહેલું બેસી ગયેલું. હિમાલયમાં ભયંકર શિયાળુ પવન ફૂંકાતો હતો. માંડ માંડ ટીમ ૨૫,૭૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ. અહીં છાવણી નાખી. હવામાન જરા અનુકૂળ થાય પછી ઔર ઉપર ચડવંુ તેવી ગણતરી હતી, પણ હાડ ગાળી નાખતા વાયરા શાંત થાય તોને. નછૂટકે અહીંથી જ પાછા વળી જવું પડયું. આને લીધે પર્વતારોહકો જ નહીં, બલકે સતત તેમની સાથે રહેતા અને તેમનો માલસામાન ઉપાડતા મજબૂત શેરપાઓનું મનોબળ પણ તૂટયું.

૧૯૩૫માં ગયેલી નવી ટીમે એવરેસ્ટ-આરોહણની ફક્ત પૂર્વતૈયારી કરવાની હતી. પછીના વર્ષે જે ટીમ એવરેસ્ટ ચડવાની હતી તેને તાલીમ આપવાની જવાબદારી એરિક શિપ્ટનને સોંપાઈ. કમનસીબે ૧૯૩૬માં હિમાલયમાં પુષ્કળ બરફવર્ષા થવાથી અને ચોમાસું વહેલું બેસી જવાથી પર્વતારોહકોને નિષ્ફળતા સાંપડી.

૧૯૩૮માં ઔર એક પ્રયાસ. ૨૭,૨૦૦ ફૂટની ઊંચાઈએ છાવણી નાખી શકાઈ. પછી ડાયરેક્ટ શિખર પર પહોંચવાનું હતું. મહેનતકશ શેરપાઓને જોકે ચિંતા હતી કે હવે પછી વચ્ચે એકેય છાવણી નાખ્યા વગર વચ્ચેનું ૧૮૨૯ ફૂટનું અંતર એકધારું કાપવાનું ભારે પડવાનું. વજનદાર શસ્ત્રસરંજામ ઊંચકીને ચાલતા શેરપા ભયંકર લોથ થઈ ચૂક્યા હતા. એકને ડબલ ન્યૂમોનિયા થઈ ગયો અને બીજા એકનું ડાબું અંગ હંમેશ માટે ખોટું થઈ ગયું. એમની સારવારની વ્યવસ્થા કરીને શિપ્ટન અને સ્માઇધ નામનો સાથી બન્ને એકલા આગળ નીકળી પડયા. બન્નેની તબિયત સારી હતી, પણ બર્ફીલો પહાડ એટલો દુર્ગમ હતો એક કલાકમાં માત્ર બાર ફૂટ જ ચડી શકાતું હતું. આ ગતિએ ૧૮૨૯ ફૂટનું અંતર કાપતા કેટલો બધો સમય લાગી જાય! આગળ વધવું આપઘાત કરવા બરાબર હતું એટલે નછૂટકે પાછા વળવું પડયું.

આ અનુભવ પછી ટુકડીને એક નવું બ્રહ્મજ્ઞાાન લાધ્યું: ઉત્તર દિશામાંથી એવરેસ્ટ ચડવાનું કામ અત્યંત કઠિન છે. આ તરફની કરાડો જ એવી છે કે હવામાન સારું હોય તોપણ આરોહણ અતિ જોખમી સાબિત થાય. આથી બીજો કોઈ રૂટ શોધવો જરૂરી છે! અગાઉના રિપોર્ટ્સ તેમજ તસવીરોના અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવ્યું કે એવરેસ્ટની દક્ષિણે સાઉથ કોલ પર્વત પર પહોંચી જવાય તો ત્યાંથી પછી શિખર સુધીનો રસ્તો પ્રમાણમાં આસાન પુરવાર થાય. તકલીફ એ હતી કે એ રસ્તો નેપાળમાંથી પસાર થતો હતો અને નેપાળે વિદેશીઓ પર એવરેસ્ટ આરોહણ માટે બંદી ફરમાવી દીધી હતી.

છેક બીજા વિશ્વયુદ્ધ પછી નેપાળે નીતિનિયમો હળવા કર્યા. ૧૯૫૧માં બ્રિટનની રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી અને અલ્પાઇન ક્લબને સંયુક્તપણે નેપાળના રસ્તે એવરેસ્ટ આરોહણની શક્યતા ચકાસવાની પરમિશન મળી. આ ટીમના લીડર પણ શિપ્ટન હતા. તેમનો ઉદ્દેશ એવરેસ્ટ ચડવાનો નહીં, પણ દક્ષિણ દિશામાંથી એવરેસ્ટ સુધી પહોંચવાનો અનુકૂળ માર્ગ શોધવાનો હતો. પછીના વર્ષે એવરેસ્ટ-આરોહણની પરવાનગી ખરેખર તો આ જ ટુકડીને સૌથી પહેલાં મળવી જોઈતી હતી, એને બદલે નેપાળ સરકારે સ્વિટ્ઝર્લેન્ડની એક ટીમને આ લાભ આપ્યો. શેરપા તેનસિંગ નોર્કે આ ટીમના સભ્ય હતા, જે અગાઉ ૧૯૩૫-૧૯૩૫ તેમજ ૧૯૩૮ની બ્રિટિશ ટુકડીઓ સાથે પણ સામેલ થઈ ચૂક્યા હતા. નવા રસ્તે આગળ વધીને ૨૭,૫૦૦ ફૂટની ઊંચાઈએ તેનસિંગ અને લેમ્બર્ટ નામના પર્વતારોહક છાવણી નાખી શક્યા, એટલું જ નહીં, એમની પાસે પથારી, પીવાનું પાણી, બરફ ઓગાળવાનો સ્ટવ આમાંનું કશું જ નહોતું છતાંય અહીં રાત રોકાવાનો ખતરનાક નિર્ણય તેમણે લીધો. ભલભલો તંદુરસ્ત માણસ પૂરતી સુવિધાના અભાવમાં આટલી ઊંચાઈએ ભયંકર ઠંડીમાં ઠૂંઠવાઈને મડદું બની જાય, પણ તેનસિંગ અને લેમ્બર્ટ આખી રાત એકબીજાના હાથપગ દબાવતા ટકી ગયા. બીજે દિવસે સવારે ફરી પાછા મરણિયા બનીને ઉપર ચડયા. આખરે શક્તિનું અંતિમ ટીપું પણ ખર્ચાઈ ગયું ત્યારે ૨૮,૨૦૦ ફૂટની ઊંચાઈએથી તેઓ પાછા ફર્યા.

વર્ષ ૧૯૫૩. ઔર એક ટુકડી, ઔર એક પ્રયાસ. જ્યાં સુધી લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી મચ્યા રહેવાની માણસની લોખંડી વૃત્તિ જ એને સમગ્ર જીવસૃષ્ટિમાં મૂઠીઊંચેરો પુરવાર કરે છે. ૧૪ માણસોની આ ટીમના બ્રિટિશ વડા હતા, કર્નલ જોન હન્ટ. શેરપા તેનસિંગ પુનઃ આ ટીમમાં પણ જોડાયા. તેમની કુંડળીમાં માઉન્ટ એવરેસ્ટ પર વિજયધ્વજ લહેરાવનાર સૌથી પહેલા મનુષ્યનો જશ ખાટી જવાનું લખાયું હતું. એવરેસ્ટ પર ચડવાનો આ તેમનો પાંચમો પ્રયાસ હતો. ૪૨ વર્ષના તેનસિંગ નોર્કે અને ૩૪ વર્ષનો ન્યૂઝીલેન્ડર એડમન્ડ હિલેરી નામનો ઔર એક ટીમમેમ્બર નવા શોધાયેલા દક્ષિણના માર્ગે ધીમે ધીમે આગળ વધીને ૨૯ મે,૧૯૫૩ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવીને અમર બની ગયા.

તેનસિંગ, હિલેરી અને જોન હન્ટ સિવાય વિજયી ટીમમાં બાકીના ૧૧ સભ્યો કોણ હતા? બ્રિટિશ લશ્કરી અફસર ચાર્લ્સ વાઇલી (૩૩ વર્ષ), વિલ્ફ્રેડ નોઇસ નામના શિક્ષક અને લેખક (૩૫ વર્ષ), જ્યોર્જ લો નામનો ન્યૂઝીલેન્ડનો શિક્ષક (૨૮ વર્ષ), જ્યોર્જ બેન્ડ નામનો ભૂસ્તરશાસ્ત્રનો વિદ્યાર્થી જે ટીમનો સૌથી જુવાન મેમ્બર હતો (૨૪ વર્ષ), માઇકલ વેસ્ટમેકોટ (૨૮ વર્ષ), થોમસ ર્બુિદયા નામનો રોકેટ સાયન્ટિસ્ટ, ભારત-બર્મામાં લશ્કરી કામગીરી બજાવી ચૂકેલા આલ્ફ્રેડ ગ્રગરી (૪૦ વર્ષ), ચાર્લ્સ ઇવાન્સ નામના ડોક્ટર (૩૪ વર્ષ), ટી. આર. સ્ટોબર્ટ નામના પ્રાણીશાસ્ત્રી જે અવ્વલ દરજ્જાનો ફોટોગ્રાફર પણ હતો (૩૫ વર્ષ), માઇકલ વોર્ડ નામના ડોક્ટર (૨૮ વર્ષ) અને ગ્રિફિથ પઘ નામના સ્કીઇંગમાં વિન્ટર ઓલિમ્પિક્સ કક્ષાએ ભાગ લઈ ચૂકેલો ઔર એક ડોક્ટર.

તેનસિંગ-હિલેરીની પહેલાં જીવસટોસટની બાજી ખેલી ચૂકેલા પર્વતારોહકો પર ગુમનામીની ચાદર ઢંકાઈ ગઈ, જ્યારે તેમની ટીમના બાકીના સભ્યો હંમેશાં હાંસિયામાં ધકેલાયેલા રહ્યા. ઇતિહાસ ક્યારેક કેવળ અંતિમ પરિણામમાં જ રસ લે છે. તે પરિણામને શક્ય બનાવતી સમગ્ર પ્રક્રિયા કરનારાઓ અને લક્ષ્ય સુધીની સંપૂર્ણ યાત્રા તય કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારાઓનો પણ યોગ્ય મહિમા થવો જોઈએ, ખરું?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.