મારા ખ્યાતનામ પૂર્વજો
મારા ખાનદાનમાં દરેક વસ્તુમાં રૂચી લેનારા લોકોની કમી નથી. મારું ખાનદાન રહે છે સભ્ય સમાજમાં પણ તેમણે પ્રવૃતિઓ મોટાભાગે અસભ્ય સમાજ જેવી કરી છે. ના…ના એવું ન સમજતા કે તેઓ કોઈ મોટા આરોપી છે. આરોપી હોત તો આ બધા લોકો જેલમાં હોત અને સમાજ પણ સુખાકારીનો અનુભવ કરી શકતો હોત, પણ આરોપ માત્ર એટલો જ કે સભ્ય સમાજના લોકોને પરેશાન કરે છે. સમાજશાશ્ત્રમાં આ સભ્ય સમાજની વ્યાખ્યા પણ મારા ખાનદાનના કારણે જ આપવાની જહેમત ઉઠાવવી પડી હોય તેવું મને લાગી રહ્યું છે.
અત્યારે તો મોટોભાગના લોકો દેવ થઈ ગયા છે. ઘણાનાં ફોટોગ્રાફ તગડી ગામમાં ટીંગાડેલા છે. તેમને જુઓ તો પ્રથમ વિચાર એ જ જાગૃત થાય કે, ચહેરાથી સુશિક્ષિત લાગતા આ ભોળા મનના માનવીઓને ક્યા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા.
તેમને નજરો નજર જોનારા અને તેમની સાથે જીવન પસાર કરનારા કોઈ લોકો હોય તો તેમને પૂછી લેવું, આવી અવળીમાયા તો ઈશ્વર પાસે જ સારી લાગે, તેવું તે પ્રથમ વાક્યે જ્યારે સુભાષિત ઉચ્ચારતો હોય તેમ કહેશે.
મારા એક પૂર્વજને છાશવારે કોઈના પણ શરીરમાં પ્રવેશ કરી ફરી જીવન જીવી લેવાની જીજીવિષા થઈ આવતી હતી. ખબર નહીં તેઓ કઈ મોટીવેશનલ ચોપડીઓનું અધ્યયન કરતા હશે ?
એમનું નામ ભાઈલાભાઈ. તેમને સન્માન આપવાની ખાતર જ્યારે જન્મ્યા ત્યારે મારા પર પર દાદાએ તેમના નામમાં બે ભાઈ લગાડાવ્યા. પરિણામે ઉદભવ્યા ભાઈલાભાઈ.
પરિવારના લોકોને પસંદ હતું કે ભાઈલાભાઈ ભલે અમારી ભેગા રહે, પણ ગામના લોકોને ખબર કે એ કેવી મોટી માયા હતા. ખાસ તો તગડી પ્રાથમિક શાળાના માસ્તરને ખબર હતી. જેમના ચાલુ ક્લાસે ભાઈલાભાઈએ બોમ્બ ફોડેલો અને સાહેબના વાળ એ રીતે ઉડી ગયેલા કે જટો વાળંદ બે મહિના સુધી બેરોજગાર થઈ ગયો હતો. અર્થશાશ્ત્રમાં પ્રછન્ન બેકારી આને જ કહેવાય. બે મહિના સુધીની બેકારી એટલા માટે કે બોમ્બ ફુટતા ક્લાસના તમામ વિદ્યાર્થીઓ અને ક્લાસની ઓચિંતી મુલાકાતે આવેલા આચાર્યશ્રીના વાળ પણ સ્વર્ગસ્થ થઈ ગયા હતા.
ભાઈલાભાઈએ આ કારનામું પોતાના બાળપણમાં જ કરી બતાવ્યું હતું. તેમને કોઈ છપ્પન ઈંચની છાતીની જરૂર નહોતી. તો મૂળ વાત એ કે આ ભાઈલાભાઈ જો જગતમાં ફરી જગતીયું કરે તો પછી ગામની આવી બને. તેમને કોઈના શરીરમાં પનાહ જોતી હતી. અને કોઈ તેમને પોતાનું શરીર ભાડે નહોતું આપવા માગતું.
પરિણામે ગામનાં લોકોએ નક્કી કર્યું કે ભાઈલાભાઈ તાત્કાલિક ઈશ્વર પાસે જાય અને તેમની આત્માને શાંતિ મળે તેવી કોઈ ક્રિયા કરવામાં આવે. આ ક્રિયા એટલે ભૂવા પાસે વિધિ કરાવવાની.
તગડી ગામમાં જાતર રાખી હતી. જાતરના પૈસા અને જમવાનું ખાસ એવા લોકોએ ચૂકવ્યું હતું જેમના પર ભાઈલાભાઈનો ખૂબ મોટો હાથ રહ્યો હતો. એટલે કે ભાઈલાભાઈએ જેમનું જીવન ઝી ચેનલના જમાનામાં દૂરદર્શન જેવું કરી નાખ્યું હતું.
ભૂવાએ વિધિના દાણા નાખ્યા અને પૂછ્યું, ‘ભાઈલાભાઈ તું જવાનું શું લઈશ ?’
જવાબમાં ગામના પેથલજીભાઈને પંઈનમાં આવેલ ભાઈલાભાઈ બોલ્યા, ‘મારે મારા શિક્ષકને થપ્પડ મારવી છે.’ આ સાંભળી તેમના 90 વર્ષની ઉંમરના શિક્ષકને અડધો અટેક આવી ગયો. ગામનાં લોકો પણ રડવા લાગ્યા, ‘હજુ ગુરૂજીને પ્રેમ કરે છે, આવા વિદ્યાર્થી કોઈ‘દિ ન મળે.’ પણ હકિકત તો ગુરૂજીને જ ખબર હતી કે, ‘આ પ્રેમ જ્યારે થપ્પડમાં પરિવર્તિત થશે ત્યારે આખે આખો જીવ નીકળી જવાનો છે. આ જગતગુરૂ પાસે પણ મને સાથે લઈને જ જશે.’
આમ તો રોજ જ્યારે ભાઈલાભાઈ ગામના કોઈને કોઈ વ્યક્તિને પંઈનમાં આવતા ત્યારે તે શરીરે અતિ દુબળો વ્યક્તિ હોતો, પણ આજે જ તેમણે તગડીના શ્રેષ્ઠતમ અને અખાડામાં ટ્રેનિંગ લેનારા પેથલજીભાઈના શરીરમાં પ્રવેશ કર્યો અને અંતિમ ઈચ્છા તો તમે ઉપર જાણી જ ચૂક્યા છો.
પેથલજીભાઈના શરીરનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો ખ્યાલ આવશે. પેથલજીભાઈનું નાક ગેંડાને શરમાવે તેવું હતું. તેઓ શરીરે અડદીયા જેવા લાગતા હતા. શિયાળામાં રોજ ચાલીસ અડદીયા અને ભેંસનું દૂધ પીતા હતા. એકવાર ભેંસનું દુધ પી તેમની ઉપર બેસવા ગયા તો ભેંસ સીધી યમરાજ પાસે ચાલી ગઈ. વેલેન્ટાઈન ડેના દિવસે યમરાજના પાડાને મોરાવ્રત ફળ્યા તેવું તેમણે ભેંસની દફનવિધિ સમયે કહેલું. તેઓ ચાલતા ત્યારે આસપાસ ભૂકંપનું કેન્દ્રબિંદુ હાજરાહજૂર રહેતું. સ્કૂલ બસની પાછળ લખવું પડે કે સ્કૂલ બસ હોવાથી અન્ય વાહનોએ 15 ફૂટ દૂર રહેવું, પણ પેથલજીભાઈથી તમામ વાહનો પંદર ફૂટ દૂર જ રહેતા. એકવાર બુલેટ અનાયાસે પેથલજીભાઈના જમણા હાથ સાથે ભટકાણી. જવાબમાં બુલેટ પડી ગઈ પણ પેથલજીભાઈ અશ્વિની ભટ્ટની નવલકથાની માફક અહર્નિષ સ્થિર રહ્યા. જેમ કાયમી રહે છે.
તો આવા વ્યક્તિના શરીરમાં અમારા ભાઈલાભાઈ આવ્યા હતા. ખૂબ મનાવ્યા ત્યારે શિક્ષક શ્રી લાફો ખાવા માટે તૈયાર થયા. પેથલજીભાઈના શરીરમાં પ્રવેશેલા ભાઈલાભાઈનું ભૂત અને ઉપરથી પેથલજી જેવું શરીર એટલે જોરથી લાફો માર્યો ત્યાં ભાઈલાભાઈ સાથે શિક્ષકના પણ પ્રાણ ઉડી ગયા. એક સાથે બે શુદ્ધ આત્માઓને મુક્તિ મળી ગઈ.
પછી આવી પોલીસ. ડંડા પછાડ્યા અને શિક્ષકની હત્યા કોણે કરી તેની તપાસ માટે દોડધામ કરી, પણ આખા ગામે નજરે નજર જોયું હતું એટલે બધા એક જીભે બોલતા હતા, ‘ભૂતે કર્યું ભાઈ… ભાઈલાભાઈના ભૂતે કર્યું.’
હવે ભૂતને કેમ પકડવો તેનો હજુ તગડી પોલીસ સ્ટેશનમાં કાયદો ઘડાઈ રહ્યો છે અને ક્યાંક તગડી પોલીસ સ્ટેશને અચાનક મુલાકાત લેવાનું થાય, તો ભાઈલાભાઈનો ત્યાં ફોટો હશે, ડરતા નહીં એ જીવીતી નથી, પણ પોલીસે કંઈક તો તપાસ આદરવીને એટલે હાલ પૂરતો ફોટો આદર્યો છે. એ ગુજરી ગયા છે પણ તેમના પર કેસ હજુ ચાલુ છે.
‘હ’ નામની રાશિવાળા જ હભડમભાઈ મારા વધુ એક પૂર્વજ. તગડીમાં જ રહેતા. આમ તો તેમને ગામમાં પાનની દુકાન, પણ પાનની દુકાન સિવાય પણ ઘણા સમાચારો તે રાખતા. ગામનું તે સીસીટીવી કેમેરા બીજું તો શું કહેવું ?
એક વખત હભડમભાઈ રસ્તામાંથી જઈ રહ્યા હતા. કૂતરૂ એમને કરડવા આવ્યું. આ વાતની ભનક હભડમ ભાઈને લાગી ગઈ. તેમણે સિફતપૂર્વક પોતાનો બચાવ કર્યો અને સામે જ પડેલી લાકડી લઈ વિરોધ પક્ષ એટલે કે કૂતરા પર તૂટી પડ્યા. કૂતરૂ ભાગ્યું પણ મૂર્ખ એવું કે એ જગ્યાએ જઈ ઉભું રહી ગયું જ્યાંથી દિવાલ પૂરી થઈ જતી હતી.
ત્રણે બાજુથી દિવાલે ઘેર્યું અને ચોથી બાજુએથી હભડમ ભાઈએ. પાછું કૂતરાને બચાવવા કોઈ ત્યાં હાજર પણ નહોતું. મારી મારીને પેઢીઓ યાદ અપાવી દીધી. ત્યારથી આ કૂતરાના કોઈ ગલુડિયા હભડમ ભાઈની શેરીમાં પણ જન્મતા નથી. હભડમનો આ નકૂતરી કરતો શ્રાપ હતો.
હભડમ ભાઈ કહેતા હતા, ‘મારું મૃત્યું કૂતરાના કરડવાથી થશે.’ તેમના વાક્યમાં કેટલી સચ્ચાઈ કે એકવાર તેઓ ચાલ્યા જતા હતા ત્યારે એક ફિલ્મી સીન ભજવાયો. ઉંમર લાયક હભડમ ભાઈએ જોયું કે કૂતરાઓ જંગબારનો ઘેરો ઘાલી રહ્યા છે. તેઓ ભાગે તો કૂતરા પાછળ દોડે. એટલે મંદ ગતિએ તેમણે ચાલવાનું શરૂ કર્યું. અનાયાસે ત્યાં પહોંચી ગયા જ્યાં તેમણે પેલા કૂતરાને માર્યું હતું. માણસ હોય કે જાનવર જીવનનો એક જ ઉદ્દેશ્ય બદલો. તેમ આ કૂતરાઓ પેલા કૂતરાના કંઈક સગા થતા હશે. એવી એવી જગ્યાએ કૂતરાઓએ બટકા ભર્યા કે હભડમ ભાઈ ચૂ કે ચા ન કરી શક્યા. તેઓ દિલીપ કુમાર અને શત્રુઘ્ન સિંહાની ફિલ્મોના આશિક હતા. ઉપરથી હિન્દી ફિલ્મોના ડાઈલોગ તેમને કંઠસ્થ. તેમની અંતિમવિધિમાં જ્યારે ઠાઠડી લઈ જતા હતા ત્યારે આગળ પાટીયું લગાવવામાં આવ્યું હતું, ‘હર કૂત્તે કા દિન આતા હૈ !!!’
હવે વાત કરીએ વિશ્રામની. વર્ષો પહેલા જે લોકો તગડી ગામમાં આવેલા તેમને ખ્યાલ હશે. ગામમાં પ્રવેશ કરો એટલે એક વિશાળ વૃક્ષ ઉપર એક વ્યક્તિ બેઠો હશે. એ વ્યક્તિનું નામ વિશ્રામ ખાવડુ. વિશ્રામ ખાવડુ કોઈ દિવસ વિવાદોમાં નથી રહ્યા. ઉપરથી તેમણે અમારા ખાનદાનનું નામ કંઈ ન કરીને રોશન કર્યું હતું.
એક દિવસ તેઓ ખોવાઈ ગયા. ખૂબ શોધ્યા પણ ન જડ્યા. બે મહિના પછી તો માતા પિતાએ માની લીધું કે વિશ્રામ ખાવડુ ઈઝ નો મોર.
તગડીના જમાદારે કહ્યું, ‘નક્કી અમીર અલી ઠગની પીળા રૂમાલની ગાંઠ જેવું કશું થયું હોવું જોઈએ.’
ખૂબ શોધખોળ કરી ત્યારે વિશ્રામ કુમાર ખાવડુ વડલાની ડાળ ઉપર દેખાયા. ત્યારે શું ક્રેઈન બુલડોઝર નહીં. વિશ્રામ ખાવડુને ઉતારવાની ખુબ કોશિષ કરી પણ તેઓ વિશ્રામ કરવા ટેવાયેલા હતા. ત્યાં જ પડ્યા રહેતા હતા. આળસુ માણસ વધુ આળસ કરવા માટે દુનિયાની શ્રેષ્ઠતમ શોધો કરે છે. અમારા વિશ્રામ ખાવડુનું પણ આવું જ હતું. માણસ ઝાડની ઉપર રહે એટલે કંઈ પાંદડા ખાઈને તો ન જીવે. વડલામાં તો બીજું શું મળે ? આ માટે તેમણે એક દોરી લટકાવી અને તેની નીચે ટોકરી બાંધી. ટોકરી સવારથી બપોર અને બપોરથી સાંજ સુધી નીચે રહે. જેને ઈચ્છા થાય તે જમવાનું અંદર નાખતા જાય. જેના થકી વિશ્રામજી તેમના ઉદરને તૃપ્ત કરતા રહેતા.
એકવાર કોઈએ મસ્તી કરવા ખાતર ટોકરીમાં પત્થર રાખી દીધા. એ સમય વિશ્રામ બાપાનો પડખુ ફરવાનો હતો. તેઓ પડખુ ફર્યા અને પત્થરનો વજન તેમને લઈ ડૂબ્યો. ઉપરથી નીચે પડ્યા તે કમર ભાંગી ગઈ અને સાથે સાથે જીવ પણ ભાંગી ગયો. ઘણા તો ઓળખતા પણ નહોતા કે આ વિશ્રામ ભાઈ છે કારણ કે તેઓ ઘણા લાંબાં સયમથી દૂરરરરર રહેતા હતા ને !
એવા જ એક ફણીધરજી. ફણીધરને એ સમયે સર્પેટોલોજીમાં ગ્રેજ્યુએશન કરવું હતું. પણ ત્યારે ગુજરાતમાં સર્પેટોલોજી વિષયની કોઈ શાખા ખૂલેલી નહોતી. ખબર નહીં આવો વિચાર તેમને કેમ ઉપજેલો ? પણ બાદમાં જાણ થઈ કે, સોશિયોલોજીને તેઓ વર્ષો સુધી સ્પેલિંગની ભૂલના કારણે સર્પેટોલોજીમાં ખપાવતા રહ્યા. ગુજરાતમાં કોઈ શાખા નહોતી એટલે તેમણે ખૂદ મહેનત કરી અને સાપ પકડવામાં શ્રેષ્ઠતા કેળવી. તગડી ગામમાં કોઈએ નહોતા જોયા એવા એવા સાપ ફણીધરજીએ પકડ્યા. ખબર પડી કે ચંદુલાલ જેઠાલાલ વ્યાસે બાદમાં તેમના પર ફણીધર નામની એક સાહસકથા પણ લખી હતી.
તેમણે તગડીની ધરતી પર નહોતા ત્યાંથી કોબ્રા પકડ્યા, એક વખત તો તેઓ બ્લેક મામ્બા પણ પકડી લાવેલા. પણ ખાસ ગામના એરૂ પકડવાના તેઓ ઉસ્તાદ ગણાતા હતા. એવી વાયકાઓ હતી કે, તેમણે સાપની જીભની માફક જ ઉભી પાથી પાડેલી. જેનાથી તેઓ સાપની ગંધ તાત્કાલિક ધોરણે પારખી લેતા હતા. એક રીતનું આ એન્ટેના હતું.
એવું પણ કહેવાતું હતું કે, એક સાપ તેમને કરડેલો તો સાંપને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવેલી. નર સાપ હોવાથી તેનો પરિવાર ખાસ હોસ્પિટલમાં રડવા માટે આવેલો અને ફણીધર કાકાને ખરીખોટી સંભળાવેલી.
ચાણક્યના જમાનામાં જેમ વિષકન્યાઓ હતી તેમ ફણીધરજીના જમાનામાં તેઓ વિષપુરૂષ તરીકે સમગ્ર તગડી વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. છેલ્લે તો ફણીધરજી પણ ન રહ્યા. જીવતો સાપ તો તેમને કોઈ દિવસ મારી ન શક્યો પણ એકવાર નોળીયો સાપનો શિકાર કરી આવી તેમને હોઠમાં પપ્પી કરી ગયો. ફણીધરજી ત્યારથી દિવાલ પર ટાંગેલા છે.
તો આ બધા હતા મારા પૂર્વજો. બધા ગુજરી ગયા. જો કે આ પ્રકરણમાં અગાઉ એક નામ આવેલું પેથલજીભાઈ. ચિંતાનો વિષય એ હતો કે પેથલજીભાઈ જેમની સાથે અખાડાની ટ્રેનિંગમાં જતા એ વ્યક્તિ પણ મારા પૂર્વજ હતા. જેની મને બાદમાં ખબર પડી. તેઓ તગડીમાં અખાડો ચલાવતા હતા. પણ તેમના વિશે પછી ક્યારેક…
મયૂર ખાવડુ
Leave a Reply