Sun-Temple-Baanner

દૂરદર્શન : કોઈની યાદો ત્યાં હશે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


દૂરદર્શન : કોઈની યાદો ત્યાં હશે…


દૂરદર્શન : કોઈની યાદો ત્યાં હશે…

નિષ્ફળ નિવડેલી છતાં આંખોને ટાઢક આપતી આર.માધવનની ફિલ્મ 13Bમાં જે TVનો મુદ્દો જેટલો જોરથી ઉઠાવ્યો છે, એ એટલો જ જોરથી દબાય ગયો છે. ફિલ્મમાં એક ટીવી છે. જેમાં આવતી સિરીયલ માત્ર માધવનના ઘરમાં જ આવે છે, બાકી આખી દુનિયામાં કોઈના પણ ઘરમાં ટેલિકાસ્ટ નથી થતી. સાસુ પોતાની બંન્ને વહુઓ સાથે ગોઠણીયાવાળી એ સિરીયલ જોવા માટે સરસ વેશભૂષા ઠઠારી બેસી જાય છે. સિરીયલના એપિસોડમાં જે બને, તે જ એ પરિવારની પોતાની ઝિંદગી સાથે બને છે. જો સિરીયલમાં ગેસનો બાટલો ફાટે, તો સમજી જવાનું કે હવે માધવનની રિયલ લાઈફ ફેમિલીમાં પણ કોઈકનું આવી બનવાનું છે.

જ્યારે ટીવી ડાફોડિયા ભરતું હતું એ સમયે રાલ્ફ વાલ્ડો ઈમર્સન નામના ફિલોસોફર અને નિબંધકારે દાઢમાં કહેલું, ‘ટીવી ઈઝ એન ઈડિયટ બોક્સ.’ આ વિધાન માત્ર તેણે કહેલું નહીં પણ તેના પર નિબંધ ઢસડી માર્યો હતો. 21મી સદી આવી ત્યાં સુધીમાં જગતભરના વિદ્રાનોએ ઈમર્સનના ઈડિયટ બોક્સવાળા વિધાન પર કલમ ચલાવી. ગુજરાતી છાપાઓમાં પણ ઈમર્સનને ક્રેડિટ આપ્યા વિના લેખો ચાલતા હતા. આ ઈમર્સનની જ પ્રેરણાથી શિક્ષકોએ ધોરણ 8-9-10ના વિદ્યાર્થીઓને ટીવી જોવાના ફાયદા અને ગેરફાયદા નામે નિબંધ લખાવડાવ્યો હતો.

તો માધવનની ફિલ્મે મહિલાઓના ટીવી પ્રત્યેના વળગણ વિશે સમજાવ્યું હતું, પણ તે મુદ્દો કોઠી આગળ ભીંસાય ગયો. કોઈ ફિલ્મના ટાઈટલ આગળ હોરર લખી નાખવામાં આવે તો વ્યક્તિનું ધ્યાન તેના પ્રકાર પર જ જાય છે, નહીં કે ફિલ્મની અંદર ગમે તેટલું સારું સિનેમેટિક પીરસવામાં આવ્યું હોય. તે ફિલ્મમાં માત્ર ભૂત અને ડરની જ ખોજ કરશે. તે માની બેસે છે કે બસ આ ફિલ્મ, આ માટે જ બની છે.

13B ફિલ્મને યાદ એટલા માટે કરવી પડે કે તેમાં દૂરદર્શનનો ઉલ્લેખ આવે છે. 80નાં દાયકામાં એક પરિવારની દિકરી દૂરદર્શનમાં ન્યૂઝ એન્કર બને છે. ઘરમાં નવું નવું ટીવી આવ્યું છે. બહાર ઉભેલ પાડોશીઓની ચિક્કાર ભીડને પણ ટીવીનો આનંદ ઉઠાવવો છે. પણ ઘરમાં પ્રવેશતા શરમાય છે. આખરે પરિવારનો મોભી એ બધાને ઘરમાં આવવા આમંત્રણ આપે છે. નાનો ભાઈ ઘરની છત પર જઈ એરિયલ પકડી જોરથી રાડ પાડે છે, ‘અરે, આયા ક્યાં ?’ બસ ત્યાં જ એ જૂના દિવસો, એ જૂની યાદો આંખો સામે તરવરી ઉઠે છે.

હવે રામાયણ અને મહાભારત શરૂ થઈ. બ્યોમકેશ બક્ષી અને શાહરૂખની સર્કસ શરૂ થઈ. સોશિયલ મીડિયા પર પ્રશંસાનું એટલું ઘોડાપુર આવ્યું કે આંખોમાં પણ ખારાશ તરી આવી. લોકો માત્ર બે તો બે લાઈનમાં, પણ લખીને દૂરદર્શન પ્રત્યે પોતાનુ હેત બતાવી રહ્યાં છે. આ એ જ દૂરદર્શન છે, જ્યાં સમગ્ર ભારતવર્ષે મહેન્દ્રસિંહ ધોનીને સિક્સ મારતા જોયેલો. કદાચ ધોની દૂરદર્શન માટે મબલખ TRP લાવવાનું એ છેલ્લું સર્વોચ્ચ શીખર રહ્યો હશે.

મેં અઢળક લેખકોને વાંચ્યાં તેમાંથી એક વાત દૂધમાંથી તરની જેમ અલગ તરી આવે છે. દરેક લેખકને એ કૃતિ લખવી છે જે તેણે તેના બાળપણમાં જીવી લીધી હોય અથવા તો દરેકને એ સમયનું લખવું છે જે તેની યાદમાં સંગ્રહાયેલું છે.

આર.કે.નારાયણે માલગુડી ડેઝ લખી, તેમાં ચાઈલ્ડ પ્રોટોગોનિસ્ટ સ્વામી એ પોતે જ હતા. છતાં પુસ્તક છાપતા સમયે એ સમયના પ્રકાશકો અને પ્રકાશકના બગલથેલાઓએ એવું કહી દીધું હતું કે,‘આમા કોઈ સાહિત્યકતત્વ નથી. વેચાય તેની પણ કોઈ ગેરન્ટી નથી.’ આજે નારાયણનું નામ સામે આવે તો પહેલા માલગુડી ડેઝ યાદ આવે છે અને પછી ક્લાસિક નવલકથા અને તે જ નામેરી ફિલ્મ ગાઈડ યાદ આવે છે. રસ્કિન બોન્ડના રસ્ટીને જુઓ. રસ્કિન ખૂદ 17ની ઉંમરે ઘરેથી ભાગેલા હતા. એ ભાગદોડ પાછળ જ મસાલો ભભરાવી તેમણે એક નવલકથાનું નિર્માણ કર્યું. જે બની ધ રૂમ ઓન ધ રૂફ.

મરાઠી સાહિત્યકાર ભાલચંદ્ર નેમાડે. તેમની અત્યંત ખ્યાતનામ કૃતિ કોશેટો છે. તે લખતી વેળાએ તેઓ 22 વર્ષના યુવાન થઈ ગયા હતા. જનપીઠ એર્વોડ વિજેતા આ લેખકની ક્લાસિક આત્મકથા-ટાઈપ-નવલકથાનો ઉષા શેઠે ગુજરાતીમાં દળદાર જ નહીં પણ રસદાર અનુવાદ કર્યો છે.

કોશેટો નવલકથામાં એક વાક્ય આવે છે. ‘પણ સુરેશમાં એક વાત હતી. સાંજે ક્યારેક રસ્તા પર ફરતા હોઈએ, ત્યારે મોઢામાં લાલ શાહ ટોમેટું ખોસે…’

કોશેટોના નાયક પાંડુરગ સાંગવીકરના મિત્ર સુરેશની વાત નીકળે એટલે સીધા સુરેશ જોષી યાદ આવી જાય. તેમણે પણ પોતાની કથાઓમાં નહીં તો નિબંધોમાં બાળપણ વિશે ખૂબ લખ્યું છે. એમની થીંગડુ વાર્તા દરેકની જીભે ઘુમતી હોવાનું કારણ પણ એ જ છે કે ક્યાંક પેલો છોકરો મનુ સુરેશ જોષી પોતે તો નહીં હોય ને ? આપણા સુરેશને પણ વાર્તા લખવી ગમતી અને એ છોકરાને વાર્તા સાંભળવી છે. પાછું વ્યસન જ વાર્તાનું છે. એ ડોસલા પ્રભાશંકરને સોયમાં દોરો પરોવી દે અને બદલામાં સરસ નવી વાર્તા સાંભળી લે છે.

સુરેશ જોષીના જ નિબંધ સંગ્રહ જનાન્તિકેમાં પણ બાળપણની વાત ખૂબ છે, ‘મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે.’ ગુજરાતી પાઠ્યપુસ્તકો છાપવાવાળાઓને આ લખાણ તો એટલું ગમી ગયેલું કે તેમણે સુરેશ જોષીના નિબંધના અઘરા ફકરા ઉડાવી દઈ મારું બાળપણનું વન આવો સરસ મજાનો સંક્ષિપ્ત નિબંધ બનાવી નાખેલો. આજે ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા મારી વયના માત્ર ત્રણ ટકા છોકરાઓ જ હશે જેમણે બાળપણમાં આ નિબંધ વાંચ્યા બાદ ભવિષ્યમાં જનાન્તિકે વાંચી હશે અને તેમને થયું હશે કે વાસ્તવમાં આ નિબંધ સંગ્રહ મુશ્કેલ તો હતો જ, કારણ કે સરકારને પણ ક્યાંથી શું કાપવું અને શું નહીં આ માટે કાઠુ પડી ગયેલું.

વિનોદ ભટ્ટે તો પોતાના પરાક્રમો પર આખે આખી ચોપડી સોટી વાગે ચમચમ ઢસડી મારી છે. ઘણા નિબંધોમાં તેઓ ખૂદ બાળપણમાં લટાર મારી આવે છે. ખૂદને વિનોદની જગ્યાએ પારકા પાત્રના મોઢે વિનીયો બોલાવડાવે છે. એ બોલનારા પાછા ગીધુકાકા છે, જેમની તો આ સૃષ્ટિમાં હયાતી જ નથી. Fictional Character છે. એક લેખક પોતાની છાતીમાં જૂની યાદોને સાપના ભારાની જેમ લઈ ફરતો હશે ?

માણસની જેમ ઉંમર વધે તેમ તેને જૂના દિવસો યાદ આવતા જાય છે. આ તેની પ્રકૃતિ છે. આ વાત કોઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં નથી આવતી અને ભણાવવામાં આવે છે તો પણ કોઈ ધ્યાન આપતું નથી. કદાચ એટલે જ એ દિવસો વધારે યાદ આવે છે. તેનું ધ્યાન એ સમયને માણી લેવામાં હોય છે. યુનિવર્સિટી છોડીએ પછી યાદ આવે કે યાર એ દિવસો ખૂબ યાદ આવે છે. બસ, એટલે જ રંગ દે બસંતીનો DJ દિલ્હી યુનિવર્સિટી છોડવા નહોતો માગતો. તેને ખબર હતી કે મારી ઓકાત અહીં જ છે, બહાર જઈશ તો મારી કોઈ ઓકાત જ નથી.

આજે લોકડાઉનમાં રામાયણ અને મહાભારત લોકોને યાદ આવી ગઈ. બ્યોમકેશ અને સર્કસ યાદ આવી ગઈ. આ તમામ સિરીયલો તો યૂટ્યૂબ પર અવેલેબલ છે જ, પણ મઝા સ્થાનની છે. એ કઈ જગ્યાએ આવે છે તેની છે અને એ જગ્યા દૂરદર્શન છે.

માની લો કે તમે બાળપણનાં સ્મરણો પર નવલકથા લખતા હો, તમને થાય કે એકવાર એ જગ્યાની મુલાકાત લઈ આવી સંસ્મરણો ફરી જીવંત કરી આવું. તમે ત્યાં જાઓ તો ખ્યાલ આવે કે હવે ત્યાં એ ભૂતીયા મિલ છે જ નહીં. ત્યાં કોઈ બિલ્ડરે એક મસમોટી ઈમારત બનાવી દીધી છે. એ વસ્તુનું ત્યાં હોવું મહત્વનું છે. કોઈના હોવાપણાથી મઝા આવે, બે ઘડી વાત થાય. કોઈ ન હોય તો ?

હજુ ન સમજાયું હોય તો વિજય સેથુપથી અને ત્રિશાની 96 ફિલ્મ જોઈ લેવી. ‘અરે યાર કંઈ નથી બદલાયું’ દરેક પાત્રના મુખેથી આ સંવાદ કેટલા હરખથી બોલાય છે, ‘કંઈ નથી બદલાયું.’ જો બદલાઈ ગયું હોત તો એ સંવાદમાં કેટલી નિરાશા હોત ?

તમે જ્યાં ક્રિકેટ રમતા હતા એ મેદાન પર એક બિલ્ડીંગ બની ગઈ છે, તમને કોઈ છોકરી ગમતી હતી અને જે પુલ પર તેને પ્રથમ વખત જોઈ હતી, તે પુલ તોડી સરકારે મોટો બ્રિજ બનાવી દીધો છે. તમારા ગામમાં એક પર્વત હતો, આજે ખનન કરી તેને ચારે બાજુથી નાગો કરી દેવામાં આવ્યો છે. મિત્રો સાથે મળી ગામમાં એક ભૂતિયા ગુફા શોધેલી હતી, ભલે ત્યાં ભૂતનું અસ્તિત્વ નહોતું પણ મઝા આવતી હતી, આજે તે અસ્તિત્વ અને મઝા સાથે રમત રમી કોઈએ કોલેજ બનાવી નાખી છે. એક વડલો હતો જેના પર અમાસની કાળી રાત્રીએ ઘેટુ અને એક ચૂડેલ થતી હતી, આજે એ વડલો કોઈએ કાપી નાખ્યો છે. કોઈ વ્યક્તિ જૂની વસ્તુ તોડી નવી બનાવે ત્યારે તેણે એ વાત અચૂક યાદ રાખવાની કે આ જગ્યાએ કોઈકની તો યાદો સંઘરાયેલી જ હશે.

મયૂર ખાવડુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.