Sun-Temple-Baanner

દીવને ઈમેજ મેકઓવરની જરૂર છે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


દીવને ઈમેજ મેકઓવરની જરૂર છે


દીવને ઈમેજ મેકઓવરની જરૂર છે

‘અહા! જિંદગી’ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ ફલક

ગોવાને ટક્કર આપે એવા દીવ પ્રત્યે ભારોભાર ઉદાસીનતા શા માટે?

તમે રોડરસ્તે ભાવનગર-મહુવા થઈને દીવ જવા નીકળ્યા છો. આ ટુરિસ્ટ સ્પોટ કેટલાં અંતરે છે તે દર્શાવતું સાઈન બોર્ડ શોધતાં શોધતાં તમારી આંખો થાકી જાય છે પણ હરામ બરાબર એ ક્યાંય નજરે ચડે તો. દીવ લગભગ પહોંચવા આવ્યા હો છેક ત્યારે તમને સૌથી પહેલું બોર્ડર્ નજરે ચડે છે. તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું બોર્ડ છે. અમારી આગલી બ્રાન્ચ હવે ૧૬ કિલોમીટરના અંતરે દીવમાં છે એવા મતલબનું એમાં લખાણ છે. ગુજરાતના હાઈવે અને જુદાંજુદાં નગરોગામોને જોડતા રસ્તા હવે ભારતભરમાં વખણાય છે પણ આ તમામ વખાણ પર બેરહેમીથી પાણી ઢોળી નાખે, તમારાં હાડકાંપાંસળાં ખોંખરાં કરી અધમૂઆ કરી નાખેે અને હવે પછી દીવ તો જિંદગીમાં ક્યારેય ન જવું એવી તાત્કાલિક ભીષ્મપ્રતિજ્ઞા લઈ લેવાનું મન થઈ આવે તેવો ભયાનક ખરાબ રસ્તો તમને દીવ જતાં પહેલાં, ઊનાની પહેલા પાર કરવો પડે છે. દીવ જનારા કોણ હોવાના? દારૂડિયા! અને દારૂડિયા ગુજરાતીઓનો ઉત્સાહભંગ કરવા દીવ જતો રસ્તો ધરાર ઊબડખાબડ રાખવો તેવો સરકારી તર્ક હોઈ શકે છે! દીવનું સૌથી પહેલું અંતરસૂચક સરકારી પાટિયું તમે ઊનામાં જુઓ છો. ઊના પસાર થતાં ઓર એક સરકારી બોર્ડર્ રસ્તાના કિનારે ઊભું છે, જેના પર માત્ર ‘દીવ’ લખ્યું છે, આંકડાનું નામોનિશાન નથી.

ઉપેક્ષા સંપૂર્ણ છે. એમાં જોકે નવાઈ પામવા જેવું નથી. દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તે માત્ર ભૌગૌલિક રીતે ગુજરાત સાથે જોડાયેલું છે. અમિતાભ બચ્ચન ગિરના સિંહ સાથે કુછ દિન ગુજારવા માટે જુનાગઢ જતા પહેલાં દીવના એરપોર્ટ પર ભલે લેન્ડ થાય, બાકી ગુજરાત ટુરિઝમની કેમ્પેઈનને દીવ સાથે શું લાગેવળગે? દીવ મિનિગોવા છે અને પહેલી નજરે પ્રેમમાં પાડી દે તેવું ખૂબસૂરત છે તો પણ શું થઈ ગયું?

ઉપેક્ષા માત્ર સરકારી સ્તરે નથી. પ્રવાસપર્યટનની વાત આવે ત્યારે ગુજરાતની જનતાને દીવ કેટલું યાદ આવે છે? દીવ ( ફોર ધેટ મેટર, દમણ પણ) તો દારૂડિયાઓ માટે છે એવી ઈમેજ એટલી પ્રચંડ છે કે આ સ્થળનું કુદરતી સૌંદર્ય, તેની શાંતિ અને એસ્થેટિક અપીલ અપ્રસ્તુત થઈને સંપૂર્ણપણે હાંસિયાની બહાર ફેંકાઈ જાય છે. હરવાફરવાના શોખીન એવા ‘સીધી લાઈન’ના ગુજરાતીઓના લિસ્ટમાં દીવ કાં તો સાવ છેલ્લે હોય છે અથવા હોતું જ નથી.

દીવ પાસે પારદર્શક બ્લુ-ગ્રીન દરિયો, સ્વચ્છ બીચ, નૃત્યાંગનાઓને મન મૂકીને નાચવાનું અને રંગભૂમિના અદાકારોને તાત્કાલિક નાટક ભજવવાનું મન થઈ જાય તેવું અદભુત સીસાઈડ એમ્ફિ થિયેટર વગેરે વગરે ઉપરાંત એક કેરેક્ટર છે, એક પર્સનાલિટી છે જે તેના પોર્ટુગીઝ વારસાને કારણે ઊભરે છે. ભારતની ધરતી પર ૧૪૯૮મા સૌથી પહેલી વાર પગ મૂકનારો સૌથી પહેલો પોર્ટુગીઝ વાસ્કો દ’ ગામા હતો. મરીમસાલા અને સિલ્ક જેવી ચીજવસ્તુઓની આરબ તેમ જ યુરોપિયન દેશોમાં નિકાસ કરવા માટે દીવ અત્યંત મહત્ત્વું કેન્દ્ર હતું. પોર્ટુગીઝ લોકોની ચંચુપતાને કારણે આ વિતરણ અને વ્યાપાર વ્યવસ્થામાં ખલેલ પડી. સંઘર્ષ વધ્યો અને ૧૫૦૯માં દીવમાં યુદ્ધ ખેલાયું. એક તરફ હતા પોર્ટુગીઝો અને સામે હતા ગુજરાતના તત્કાલીન સુલતાન મહંમદ બેગડા, તેમ જ આરબ અને વેનિસના લડવૈયાઓ. આ યુદ્ધમાં પોર્ટુગીઝો જીત્યા. તેઓ ભારતીય મહાસાગરના ગોવા અને સિલોન જેવાં ચાવીરૂપ સ્થળો ઝડપતા ગયા. ૧૫૩૫માં ગુજરાતના સુલતાન બહાદુર શાહે મોગલ સમ્રાટ હુમાયુનો પ્રતિકાર કરવા પોર્ટુગીઝો સાથે યુતિ કરી. દીવના રક્ષણ માટે લશ્કર તહેનાત રહે તે માટે સુલતાને પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બનાવવાની પરવાનગી પણ આપી (આ કિલ્લો આજેય દીવમાં ઊભો છે). યુતિ જોકે પડી ભાંગી. દીવમાં અડિંગો જમાવીને બેસી ગયેલા પોર્ટુગીઝોને ખદેડવા સુલતાને ૧૫૩૭થી ૧૫૪૬ દરમિયાન ઘણી કોશિશો કરી, જે નિષ્ફળ રહી. ૧૫૩૮માં તુર્કોએ પોર્ટુગીઝોને દીવમાંથી ભગાડવા આક્રમણ કર્યુ. તેઓ પણ સફળ ન થયા અને પોર્ટુગીઝોનું વર્ચસ્વ અકબંધ રહ્યંું. આખરે ભારત આઝાદ થયા પછી છેક ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ઈન્ડિયન મિલિટરીએ દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝ સત્તામાંથી મુક્ત કર્યું.

બોમ્બે સ્ટેટનું વિભાજન થઈને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ તે વાતને હજુ માંડ સાત મહિના અને અઢાર દિવસ થયા હતા. તે તારીખ હતી ૧ મે, ૧૯૬૦. ભૌગોલિક નિકટતાના આધારે મુક્ત થયેલાં દીવદમણને તરત ગુજરાતમાં અને ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવી દેવામાં ન આવ્યાં, બલકે ભારત સરકારે એક વાત સ્પષ્ટ કરી કે દીવ-દમણ-ગોવાને વારસામાં મળલું પોર્ટુગીઝ કલ્ચર જાળવી રાખવાના તમામ પ્રયત્ન કરવામાં આવશે. ૧૯૬૩માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એક જાહેર સભામાં એલાન કર્યું કે દસ વર્ષ સુધી દીવ-દમણ-ગોવા કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે અને તે પછી સ્થાનિક લોકો જ નક્કી કરશે કે દીવ-દમણને ગુજરાતમાં અને ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવું (મર્જર કરવું) કે નહીં.

આ જ વર્ષે ગોવામાં પહેલી સ્થાનિક ચૂંટણી યોજાઈ. મહારાષ્ટ્ર ગોમંતક પક્ષ (એમજીપી)ના નેતા દયાનંદ બંદોડકર ગોવાના સર્વપ્રથમ ચીફ મિનિસ્ટર બન્યા. અધીરો એમજીપી દસ વર્ષ રાહ જોવા તૈયાર નહોતો. એ તો ગોવાને બને એટલું જલદી મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માગતો હતો. તેની સામે યુનાઈટેડ ગોવન્સ પાર્ટી (યુજીપી) ગોવાનું અલગ સ્ટેટસ જાળવી રાખવાની ડિમાન્ડ કરી રહી હતી. ૧૯૬૬માં ઇંદિરા ગાંધી ભારતનાં વડા પ્રધાન બન્યાં. તેમણે ૧૬ જાન્યુઆરી, ૧૯૬૭ના રોજ દીવ-દમણ-ગોવામાં ભારતનો સૌપ્રથમ ઓપિનિયન પોલ યોજ્યો. કોઈ સ્થાનિક કે રાષ્ટ્રીય રાજકીય પક્ષ આ પોલ સાથે સંકળાયેલો નહોતો. ઈલેકશન કમિશને બે પ્રતીકો તૈયાર કર્યાં, જે લોકો મર્જર ઈચ્છતા હોય તેમણે ‘ફૂલ’ પર ચોકડી મારવાની અને જે લોકો દીવ-દમણ-ગોવાને અલગ રહેવા દેેવા માગતા હોય તેમણે ‘બે પાંદડી’ પર ચોકડી મારવાની. આ ઓપિનિયન પોલે ભારે ઉત્તેજના જગાવી. ભારતના જ નહીં, વિદેશના મીડિયાએ પણ ગોવામાં ધામા નાખ્યા. ૮૨ ટકા મતદારોએ વોટિંગ કર્યું. પરિણામ ઘોષિત થયું. ૫૪. ૨૦ ટકા મત ‘બે પાંદડી’ને મળ્યા. ‘ફૂલ’ના ભાગે ૪૩.૫૦ ટકા મત આવ્યા. નિર્ણય લેવાઈ ગયોઃ દીવ-દમણ-ગોવાને કેન્દ્રશાષિત પ્રદેશ તરીકે ચાલુ રહેશે. બે દાયકા પછી આ કેન્દ્રશાસિત પ્રદેશનું વિભાજન થયું. ૩૦ મે, ૧૯૮૭ના રોજ ગોવા દેશનું પચ્ચીસમા ક્રમનું અને સૌથી નાનું રાજ્ય બન્યું, જ્યારે દીવ અને દમણ યુનિયન ટેરિટરી તરીકે કન્ટિન્યુ થયાં.

પોર્ટુગીઝ લોકોની વાત નીકળી જ છે તો ભેગાભેગી મકાઉની વાત પણ કરી લઈએ. દીવ-દમણ-ગોવાની જેમ પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ મકાઉ પર પણ પોર્ટુગલનું રાજ હતું. ૪૪૨ વર્ષ પછી પોર્ટુગલે છેક ૧૯૯૯માં મકાઉ ચીનને સોંપ્યું. ચીનમાં પણ ભારત જેવું જ થયું. હોંગકોંગની જેમ મકાઉને પણ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજન (એસઆરએ)નો દરજ્જો આપવામાં આવ્યો. ચીન અને પોર્ટુગલ વચ્ચે થયેલા કરાર મુજબ વિદેશી તેમ જ લશ્કરી બાબતોને બાદ કરતાં મકાઉને ઊચ્ચ દરજ્જાની સ્વાયત્તતા આપવામાં આવી છે. મકાઉના અલાયદા કાયદાકાનૂન છે. આ સ્થિતિ ૨૦૪૯ સુધી યથાવત્ રહેશે. મતલબ કે પચાસ વર્ષ પછી મકાઉને ચીનમાં ભેળવવાના રસ્તા ખુલ્લા થઈ શકશે.
ચીમનભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે દીવદમણને ગુજરાતમાં ભેળવવા વિશે અછડતાં ઉચ્ચારણો કરેલાં. અલબત્ત, દીવ-દમણે ગુજરાતમાં ભળવું કે નહીં તે નક્કી કરવાનો નિર્ણય સ્થાનિક પ્રજા પાસે રહે છે, જો પરંપરાને અનુસરવામાં આવે તો. દારૂબંધી એક એવી ચીજ છે જે દીવ-દમણ અને ગુજરાત વચ્ચે મજબૂત સૈદ્ધાંતિક દીવાલ ખડી કરી દે છે. ધારો કે દીવ-દમણ ગુજરાતમાં સામેલ થાય તો ત્યાં પણ દારૂબંધી દાખલ કરી દેવી? કે પછી, બણેને વિશેષ દરજ્જો આપીને શરાબની સરવાણી જેમ વહે છે તેમ વહેવા દેવી? દીવ જેવા પ્રવાસન પર નભતાં પર નગરમાં દારૂબંધી દાખલ કરવી બેવકૂફી ગણાય.

ખેર, આ તો ‘જો’ અને ‘તો’ની વાતો થઈ. હકીકત એ છે કે ગુજરાત ટુરિઝમની વાત આવે ત્યારે દીવ ઓફિશિયલી બાકાત થઈ જાય છે અને એક અફલાતૂન આકર્ષણ દાબડામાં બંધ થઈ જાય છે. આશ્ચર્ય એ છે કે ગુજરાતની ડાહી જનતાને પણ દીવનું આકર્ષણ નથી. જ્યાં સુધી દીવની શરાબી ઈમેજનું મેકઓવર નહીં થાય ત્યાં સુધી સ્થિતિ ઘણું કરીને આમની આમ રહેવાની!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.