બાલાસિનોરમાં પગરણ અને રુસ્વા મઝલુમી
હું માત્ર ૬ જ વરસનો હતો અને અમારે અમદાવાદ છોડવું પડયું
પરાણે નહીં પણ પપ્પા ૧૨ વરસ સુધી તો અમદાવાદની બી ડી કોલેજમાં પ્રાધ્યાપક હતાં
ગુજરાતીના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ હતાં
આજે પણ જે હયાત છે બધા જ પપ્પાને જ પોતાનાં આદર્શ માને છે
અને કેમ ના મને કારણકે એમના આદર્શ પ્રિન્સીપાલ જો એસ આર ભટ્ટ જો હતાં
એક મહા વિદ્વાન અને વ્યક્તિ વિશેષ !!!
પપ્પાને જયારે બાલાસિનોરમાં આચાર્યપદની ઓફર થઇ ત્યારે એમને એ ઓફર સ્વીકારી લો એમ કહી પ્રોત્સાહિત કરનાર જ એસ આર ભટ્ટ હતાં !!!
એસ આર ભટ્ટે એમ કહ્યું હતું કે ” તમારી આ જગ્યા હું એક વરસ સુધી નથી પૂરવાનો તમને જો ના ફાવે તો તમે પાછાં અમદાવાદ આવતાં રહેજો
હું એમ તો નહી કહું કે તમે છોડી દો …..પણ જો તમને તમને અનુકુળ ના હોય તો આવતાં રહેજો પાછાં !!!”
પપ્પા ગુજરાતીમાં કેટલાં મહાન હતાં તે વખતે તો મને ખબર નહોતી
કારણકે આટલી નાની ઉંમર તો સમજણના માત્ર અંકુર ફૂટે એના કંઈ ઘટાદાર છોડ કે ઝાડ ના થાય !!!
અમારું બાલાસિનોર આગમન થયું ૧૯૬૯માં !!!
શહેર જે મને તો ખબર નથી કે આટલું વિશાળ હશે અને અમે ગામડાં ભણી પ્રયાણ કર્યું
ગ્રામ્ય જીવન ખરેખર સારું જ અને સુંદર હોય છે
જે આજે આ મારી માન્યતા છે તે આ બાલાસિનોરની જ દેન છે
બાલાસિનોર જેવા નાનાં ગામમાં મે પગ મુક્યો
પહેલી રાત્રી ગોઠવણ અને અને સામાનની હેરફેરમાં ક્યાં વીતી ગઈ તેની અમને ખબર જ ના પડી
અમારાં માટે કોલેજ ટ્રસ્ટી મંડળ દ્વારા એક મકાન ફાળવવામાં આવ્યું હતું
નામ એનું દરિયા મહેલ બાલાસિનોરનાં નવાબના દીવાનનું એક સમયનું રહેઠાણ
જે તે સમયે ખાલી હતું !!!
તેમાં અમે રહેવાની શરૂઆત કરી
પ્રથમ રાત્રી વીતી ગઈ પણ સવાર કેવી હશે તેની તો કોઈનેય ખબર નથી હોતી જ ને !!!
એ સવાર શરુ થઇ તળાવના કાંઠે ધોવાતાં કપડા અને ધોકાઓનાં અવાજથી
સુંદર દ્રશ્ય હતું સવારનું અને તળાવનું પણ
આજુબાજુ શું છે તે તો મેં એજ વખતે જોયું !!!
કોલેજ તો એ વખતે બાલસિનોર એમ એન્ડ ઓ શેઠ હાઇસ્કુલમાં શરુ થઇ હતી
પણ હજી અમારી પાસે ઠરીઠામ થવાનો વખત હતો
કારણકે કોલેજ તો એક અઠવાડિયા પછી શરુ થવાની હતી અને પપ્પાએ ચાર્જ ત્યારે જ સંભાળવાનો હતો
અમારી પાસે ગામડું જે અત્યારે તો નગર બની ગયું છે એ જોવાનો માણવાનો અમારી પાસે સમય જ સમય હતો
એ બીજા દિવસની સવાર હું ક્યારેય ભૂલવાનો નથી
કારણકે એ સવારે નાહી ધોઈને ચા પીને અમે દરીયામાંહેલમાંથી નીચે ઉતર્યા
સામે શિવ મંદિરમાં દર્શન કર્યા એની બાજુમાંજ એક જ દીવાલને અડીને મસ્જીદ છે ત્યાં પણ માથું ટેકવ્યું
આ દરિયા મહેલને અડીને એની ડાબી બાજુએ એક રેસ્ટોરન્ટ શરુ થઇ હતી બિલકુલ નવી જ
જે આ દરિયા મહેલની સામે જ રહેતાં બાલાસિનોરના નવાબ સલાબતખાન બાબીની હતી
તે રેસ્ટોરન્ટમાં હું અને મારાં પિતાજી ચા બિસ્કીટ લેવાં બેઠાં
આ મારો રેસ્ટોરન્ટનો પહેલો અનુભવ હતો
અમદાવાદમાં અમે બહુ હોટેલમાં નહોતાં જતાં !!!
અમે હું અને મારી બહેન નંદિતા બહુ નાનાં એટલે અમે શું ખાઈ -પી શકવાનાં હતાં
પણ ચાની શરૂઆત તો થઇ જ હતી મારાં માટે !!!
આ રેસ્ટોરન્ટમાં બેઠાં હતાં ત્યાં સામેના મહેલમાંથી એક કાળી ઈમ્પાલા ગાડી આવી
જેમાંથી નવાબ સાહેબ ઉતર્યા અને પપ્પા સાથે હસ્તધૂનન કર્યું
એમનો દેખાવ એટલે જાણે ઈદી અમીન જ જોઈ જ લો
જો કે ઈદી અમીન વિષે હું પછીથી જાણતો થયો હતો એ જાણે જુદી વાત છે !!!
પણ આ રેસ્ટોરન્ટનાં કાઉન્ટર પર પીપરમીંટની બે બરણીઓ ભરેલી હતી
તેમાંથી આ નવાબ સાહેબ પોતેજ વારંવાર પીપરમીંટ ખાયા કરે અને મને આપ્યા કરે
એમાંને એમાં એ બરણી પોણી ખાલી થઇ ગઈ માત્ર અડધાંજ કલાકમાં
પણ એમણે કરેલી વાતચીત પપ્પા સાથે એ અંગ્રેજીમાં હતી
હું ચમક્યો આ તો ગામડું અને પપ્પા તો ગુજરાતીનાં પ્રાધ્યાપક તેમાં આ અંગ્રેજી ક્યાંથી આવ્યું વળી !!!
મને મનમાં થયાં કરતું હતું કે અહી ગુજરાતીનું અકાળે અવસાન તો નહી થઇ જાય ને !!!
આ પપ્પા ભૂલ કરી રહ્યાં છે અહી આવીને !!!
એ મારો ખ્યાલ માત્ર ત્યાર પછીનાં અડધા જ કલાકમાં બદલાઈ ગયો
નવાબ સાહેબ તો પાછાં ગાડીમાં રવાના થઇ ગયાં પોતાનાં મહેલમાં !!!
પણ જતાં જતાં પોતાને ઘરે આપવાનું નહોતાં ભૂલ્યાં
આમ તો ૧૦૦ પગલાં જ છેટે જ એમનો મહેલ હતો અહી સુધી ગાડીમાં કેમ આવે છે એ કુતુહલ હજી શમ્યું નહોતું ત્યાં બીજાકુતુહલ પણ શરૂઆત થઇ ગઈ !!!
સામેથી એક ગ્રે કલરના પઠાણી ડ્રેસમાં એક ઉંચો કદાવર પડછંદ કાયાવાળો એક સુંદર દેખાવવાળો પ્રૌઢ વ્યક્તિ એક ગુજરાતી ગઝલ ગણગણતો બહાર આવ્યો અને આ રેસ્ટોરન્ટ પાસે
અમે જ્યાં ઊભાં હતાં ત્યાં જ આવ્યાં
એમનું નામ ——– રુસ્વા મઝલૂમી
આ જ અમારી પહેલી મુલાકાત
તેઓ જેવાં આવ્યાં એવા તરતજ પપ્પાને ભેટીને પડયા અને કહ્યું
” અરે વિનોદભાઈ તમે અહી આવાના છો તો હું જ તમને લેવાં આવ્યો હોત ને !!!
તમે અહીં આવ્યા છો તો હવે જ મને પણ મજા આવશે તમારી સાથે ગોષ્ઠિ કરવાનું !!!”
એમણે પોતાની બે ચાર નવી ગઝલો પપ્પાને સંભળાવી
પપ્પાએ એમાં બે ચાર શબ્દો નવાં સુધારીને મુકવાનું કહ્યું
રુસ્વા સાહેબ પણ બહુ જ ખુશ થયાં આ નવા અર્થસભર શબ્દોથી
એમને કહ્યું કે આ શબ્દોથી તો આખો જ અર્થ બદલાઈ જાય છે
આની મને તો ખબર જ નહોતી એટલાંજ માટે તમારી હાજરી અહીં આવશ્યક છે ખુબ મજા આવશે
બાલસિનોર ક્યારેય છોડતાં નહીં !!!
આપણે ગઝલ અને સાહિત્યની વાતો રોજ જ કરશું
તમે તમારી કોઈ નવી રચના હોતો સંભળાવોને અને પપ્પા એ પણ પોતાની રચના સંભળાવી
આમાં 3 કલાક વીતી વીતી ગયાં
પછી સૌ પોતાના ઘરે જમવા ગયાં
સાંજે રુસ્વા સાહેબ -પપ્પા અને હું તળાવની પાળે બેઠાં ગઝલ અને સાહિત્યની ચર્ચાનો જ દોર આગળ ચાલ્યો
વાત સાહિત્ય પરિષદની પણ નીકળી
એ જ વાતચીતમાં અમને જાણવા મળ્યું કે અમૃત ઘાયલ અને બીજાં અનેક ગઝલકારોને ઊંચા લાવનાર અને તેમને નોકરી અપાવનાર અને એમની આર્થિક વ્યવસ્થા સધ્ધર કરનાર અને એમનું ભરણપોષણ કરનાર તો રુસ્વા સાહેબ છે
એજ વખતે મને ખ્યાલ આવ્યો કે ગઝલના સાચાં પિતા તો રુસ્વા મઝલુમી છે
જો કે અમૃત ઘાયલ સાહેબ પણ એટલાં જ હકદાર છે
પણ આમાં કોણ પહેલું અને કોણ મહાન એ ચર્ચાનો જ પ્રશ્ન નથી એટલે એને અહી જ છોડી દઉં છું
તે જ વખતે મનોજ ખંડેરિયા , ચિનુ મોદી , ગની દહીંવાલા ,મરીઝ વગેરે અનેકોની ચર્ચા થઇ
જે હું મંત્રમુગ્ધ થઇ સાંભળતો હતો
મારું આ પ્રથમ જ સાહિત્યિક જ્ઞાન હતું
પપ્પા પણ આટલાં ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર હશે એની મને ત્યારે જ ખબર પડી
તો જ એ રુસ્વા સાહેબ સાથે જ્ઞાન ગોષ્ઠિ કરી શકેને !!!
સામાન્ય કે ઉગતાં સાહિત્યકારનું એ કામ નહી !!!
મને લાગ્યું કે ક્યાં શેકસ્પિયરન અંગ્રેજીમાં રચ્યાંપચ્યાં રહેતાં એસ આર ભટ્ટ સાહેબ અને ક્યાં આ ઉચ્ચ કોટિનો ગઝલનો પિતાતુલ્ય રુસ્વા સાહેબ
ચલો સારું જ થયું કે આપણે બાલસિનોર આવ્યાં તે
કમસે કમ રુસ્વા સાહેબને માણવા તો મળશે
એ અનુભૂતિનો અહેસાસ જ અજબ હોય છે
જે મને રુસ્વસહેબની સંગતિમાં મળ્યો છે !!!
આ જ સમયે મેં નક્કી કર્યું કે હું સાહિત્યનો વિદ્યાર્થી બનું કે ના બનું પણ એકાદ સારો રચનાકાર તો બનીશ જ
રુસ્વા સાહેબની દરીયામાંહેલામ મુલાકાત વધારે થવા માંડી વાત જમવાની પણ થઇ હતી
રુસ્વા સાહેબ ઘણી વખત અમારે ત્યાં જમ્યા હતાં અને મને ગઝલનો વિદ્યાર્થી બનાવ્યો હતો
હા માત્ર લખતો નહોતો કર્યો બાકી બધાં જ પાઠ શીખવ્યા હતાં
“રદીફ” અને “કાફિયા ” શું છે ગઝલના છંદો શું છે
એમાં કેટલી પંક્તિઓ હોવી જોઈએ
અને ગઝલ કેમ લખાય છે વગરે વગેરે હું ઘણું બધું રુસ્વા સાહેબ પાસેથી જ શીખ્યો છું
બાકીનું હું પપ્પા- રુસ્વા સાહેબની સાહિત્યિક ગોષ્ઠિમાંથી શીખ્યો !!!
એમનો અવાજ બહુ જ બુલંદ અને સમજણ પણ અદભુત એ જ મને ભવિષ્યમાં કામ લાગવાની છે તે વખતે હું એ વાતથી અજ્ઞાત જ હતો !!!
પછી હું એમનો રીતસરનો વિદ્યાર્થી બની ગયો
એક બીજો પપ્પાનો વિદ્યાર્થી જે પણ બહુજ સારી ગઝલો લખે
એ પોતાની ગઝલો પપ્પા અને રુસ્વા સાહેબને સંભળાવે એ અંને બહુ હરખાય અને એને જરૂરી સલાહ સૂચનો આપે
એ છોકરો પાછળથી ગઝલમાં મોટું નામ કાઢશે એવો એ બંનેને અતુટ વિશ્વાસ હતો
અને એ છોકરો અત્યારે પણ ગુજરાતનો એક સારો ગઝલકાર છે
નામ છે એનું – રશીદ મીર
શું એનો આત્મવિશ્વાસ અને શું આ બંનેની અપાર શ્રદ્ધા કે આજે આ માણસે આ ક્ષેત્રમાં ઘણું મોટું નામ કાઢયુ છે !!!
બાલાસિનોર કલેજ પછી સેવાલીયા રોડ પર સ્વતંત્ર કેમ્પસ ૧૦૦ એકરમાં શિફ્ટ થઇ
અમારું પણ રહેઠાણ બદલાયું કોલેજ કેમ્પસમાં જ એક આવાસ બનાવ્યો હતો પ્રિન્સીપાલ આવાસ તેમાં અમે રહેવાં લાગ્યાં
રુસ્વા સાહેબની સંગતિથી અમને બાલાસિનોર ગમવા લાગ્યું હતું
ગોરધન કાકા અને ઇન્દ્રવદન દવે સાહેબની સાહિત્યિક રૂચી પણ એમાં કારણભૂત હતી
દવે સાહેબનો દીકરો અને બીજા અનેક કાયમી મિત્રો મળ્યાં તે નફામાં
કેટલાંક તો આજે એ સ્કુલના મિત્રો અમદાવાદ અને ગાંધીનગર જ સ્થિત છે
જેની સાથે હું રોજ જ સંપર્કમાં છું
બલાસીનોરનો મારો કાયમી સાહિત્યિક મિત્ર હોય તો તે છે પરેશ ઉપાધ્યાય
મિત્રતાની સાચી મિસાલ છે એ !!!
કોલેજ કેમ્પસ સદી ગયું હતું અમને
પણ તોય કંઈ કેટલીવાર એ દરીયામહેલ થઇ હું તળાવ અને ગોપેશ્વર-કેદારેશ્વર- આપેશ્વર જતો હતો
હું સ્કુલમાં ભણ્યો મોટો થયો બાલાસિનોરને પોતાનું બનાવ્યું
રમતગમત અને ભણતરમાં સાહિત્ય બાજુએ નહોતું મુકાઈ ગયું
કોલેજની લાયબ્રેરી જો હાથમાં હતી
એ વાંચન એમાં પણ મને તો રુસ્વા સાહેબ જ દેખાતાં હતાં
એમની સલાહ મુજબ જ હું વાંચતો ગયો હતો અને મોટો થતો ગયો હતો
પછી કેટલાંક વર્ષો વીત્યા ત્યારે રુસ્વા સાહેબ બાલાસિનોરમાંથી પોતાના વતનમાં જતાં રહ્યાં હતાં
એવું સાંભળવા મળ્યું હતું કે તેઓ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક રહેતાં હતાં
જો કે એમનું વતન તો જુનાગઢ પાસેનું પાલોદ તેઓ ત્યાંનાં જ દરબાર !!!
પણ ક્યાં સ્થિત થયાં હતાં એની તો મને ખબર નહોતી જ !!!
વર્ષો વીત્યા પછી મુંબઈમાં વિલે પાર્લેમાં સાહિત્ય પરિષદ ભરાણી હતી
ત્યાં અચાનક રુસ્વા સાહેબે દેખા દીધી
એમને અનેકો ગઝલકારો પગે લાગ્યાં
તેમને અહી આવવાનું કારણ કોકે પૂછ્યું તો એને શું જવાબ આપ્યો ખબર છે
” મને સાહિત્ય પરિષદમાં રસ નથી હું તો અહી માત્ર વિનોદભાઈ અને ભાઈ જનમેજયને મળવા જ આવ્યો છું ”
ત્યારે મારા પિતાની અને મારી છાતી ગજ ગજ ફૂલી ના સમાણી !!!
એ મુલાકાતમાં અમે બહાર જયારે ચા પીતાહતાં ત્યારે મેં એક વાક્ય કહ્યું હતું
જે બાલાસિનોરમાં મેં નજરે જોયું હતું એનો જ એ ચિતાર હતો
“વાગોળો તો ઝાડને વળગતી હોય છે ……. વાગોળવા જેવાં તો આપણા સંબંધો છે ”
આ સાંભળીને રુસ્વાસહેબે મારી પીઠ થબથબાવી
ને કહ્યું આખરે તેં સાબિત કરી જ દીધુંને કે —–
“મોરના ઈંડા ક્યારેય ચીતરવા ના પડે ”
મેં બહુજ સાલસતાથી કહ્યું —– સંગત તેવી અસર તો અસર આવે જ ને રુસ્વા સાહેબ !!!
એમને મને વાહ કહી આશીર્વાદ આપ્યાં કે તું તાર્રા પિતાનું નામ જરૂર રોશન કરીશ !!!
આજે આટલાં વર્ષે એ શબ્દો કેટલાં સાચાં પડતાં જણાય છે
શત શત પ્રણામ આ ખુદાના બંદાને !!!
——— જનમેજય અધ્વર્યુ
*****પિતાતુલ્ય પ્રકાશભાઈ ન શાહની ફરમાઈશ પર આ લેખ રી રાઈટ કરેલો છે
આશા છે કે એ સૌને ગમશે જ એમની ગઝલો પહેલાં મેં મુકેલી જ છે પણ ફરીથી પછી કયારેક મુકીશ જ *****
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Leave a Reply