Sun-Temple-Baanner

વીર હમીરજી ગોહિલ – બલિદાન વૈશાખ સુદ નવમી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વીર હમીરજી ગોહિલ – બલિદાન વૈશાખ સુદ નવમી


*વીર હમીરજી ગોહિલ*

*બલિદાન વૈશાખ સુદ નવમી*

ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા.

અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠયુ હતી તેમને બન્નેને ખુબજ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવુકે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ દરમિયાન હમીરજી અને અરજણજી વચ્ચે પણ થોડી બોલાચાલી થયેલી હમીરજીના વેણ સાંભળીને અરજણજી અકળાઈ ઉઠયા અને હમીરજીને કહયુ કે તનેય ફાટય આવી છે. જા, હાલી નીકળ અને જયાં સુધી મારૂ નામ સંભળાય ત્યાં સુધીમાં રહેતો નહી. આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો. તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો. હમીરજી પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમા આવેલા મારવાડ પંથકમાં ચાલ્યા ગયા.

દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું સાશન હતું. જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને ઝફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. ઝફરખાન મુર્તિપુજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદીર ઉપર હતી કારણકે હિંદુ લોકોની ખુબજ આસ્થા સોમનાથ પર છે.

આ દરમિયાન શિવરાત્રિનો મેળો ભરાયો. રસુલખાન અને તેના માણસો મારઝુડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુંટુંબ અને માણસોની સાથે જ મારી નાંખ્યો. આ ખબર ઝફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઊઠયો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠયા.

ઝફરખાન સોરઠ પર આક્રમણ કરવા ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તવા હાથી અને ભેંકાર તોપુ ઢસડાવી આવે છે. અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદીર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.

સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામનાં ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલે છે. ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તમારા ગયા પછી અરજણજી વિરહમાં ખુબજ દુ:ખી છે. ગઢવી ની વાત સાંભળીને હમીરજી હલી ગયાં. હમીરજી પોતાની સાથે રહેલ ૨૦૦ જેટલા રાજપુતને ઘોડાઓની સાથે ગઢાળીનો મારગ પકડયો. હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલ કુળમાં આનંદનો આરોવારો નથી રહયો.

ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી. અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટ્ટી, સઘદેવજી સોલંકી, સિહોરનાં જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરૂબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભુખ લાગી હતી. હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા. એટલે દુદાજીના પત્નિ જે હમીરજીનાં ભાભીએ કહ્યુકે, દિયરજી, આટલી બધી ઉતાવળ કાં કરો ? ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવુ છે ? આ વાત સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યુકે, કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે ? તેથી તેના ભાભીએ કહ્યુકે, પાદશાહી દળકટક સોમનાથ મંદીરને તોડવા ચાલ્યુ આવે છે અને ગુજરાતનાં સુબાની ફોજ સોમનાથના માર્ગે છે.

આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યુ ભાભી, શું વાત કરો છો ? કોઈ રાજપુતજાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી ? મહાદેવ પર રાજપુતોનાં દેખતા વિધર્મીઓની ફોજ ચડશે ? શું રાજપુતી મરી પરવારી છે ? આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા. અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યુકે,

” રાજપુતો તો પાર વિનાના છે…..

પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી. અને આ કંઈ થોડો શિકાર કરવો છે ? જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનુ છે અને તમને બહુ લાગી આવતુ હોય તો તમે હથિયાર બાંધો, દિયરજી. તમેય કયાં રાજપુત નથી ? આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા. પણ હમીરજીને ઝાળ લાગી ગઈ. અને મેણુ હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યુકે, મારા બેય ભાયુંને ઝાઝેરા જુહાર કહેજો. હું તો સોમનાથ મંદીરની સખાતે જાઉ છું. દુદાજીનાં રાણીએ હમીરજીને ઘણુ સમજાવ્યા. પણ તે એકના બે ન થયા.

હમીરજી કહે છે કે….

સોમૈયા પર કોઇ બૂરી નજર કરતું હોય..!!

ભગવાન સોમનાથ પર કોઈ નજર કરતું હોય. અને હુ રાજપૂતનો દિકરો ઉઠીને ત્યા જો પાણીનો કરશીયો ભરીને ઉભો ના રહુ તો તો મારી જનેતા લાજે….

કહીને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામદુહાઈ આપી. બસ્સો જેટલા મરજીવા સાગ્રીતો સાથે હમીરજીએ સોમનાથનો મારગ લીધો. હમીરજીએ મોતને માંડવડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નિકળ્યા સોમૈયાની સખાતે. રસ્તામાં એક નેસડુ આવ્યુ. અરધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો. ત્યાં રાતના સુનકારને ચીરતો મરશિયાનો અવાજ હમીરજીએ સંભળાયો. નેશના ઝુંપડામાં એક વ્રૂધ્ધા ચારણ મરશિયા ગાય છે. આઇનું રોણુ સાંભળીને પવન પણ થંભી ગયો છે. સવાર પડતાજ હમીરજી નેશમાં જઈને પુછે છે કે આ મરશિયા કોણ ગાઈ રહ્યું હતું ? રોણાનો અવાજ અહીંથી આવતો હતો. એટલામા એક વૃધ્ધ આઈ આવીને કહે છે કે હુ મરશિયા ગાઇ રહી હતી બાપ, હમીરજી કહે છે આઈ તમે કોના મરશિયા ગાતા હતા ? આઈએ જવાબ આપ્યો કે, મારા દીકરાના મરશિયા ગાતી’તી. જુવાનજોધ પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલા મરણ પામેલ છે. આ સાંભળીને હમીરજીએ આઇને કહ્યુકે, માં પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો ? મારે સાંભળવા છે. તે ચારણ આઈ નું નામ લાખબાઈ હતુ. તેને કહ્યુ, મોળા બાપ, ઈ શું બોલ્યો ? જીતવાના મરશિયા ના હોય બાપ.. તારા મરશિયા ગાઈને ઈ પાપમાંથી મારે ક્યારે છુટવુ ? તેથી હમીરજીએ કહ્યુ, આઈ, અમે મરણને મારગે છીએ. સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. ઈ મારગેથી પાછા અવાય એવું નથી. ત્યારબાદ હમીરજીએ આઇને માંડીને બધી વાત કરી.

આઈ લાખબાઈ પોરસીલા રાજપુતની જવાંમર્દી ઉપર ઓળઘોળ થઈ ગયા. અંતરથી આશિષ આપ્યા. પછી કહ્યુકે, બેટા હમીર તુ પરણ્યો છે ? હમીરજીએ જવાબ આપ્યો કે, ના આઈ. આઈએ કહ્યુકે, તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે. કુંવારાને રણમાં અપસરા વરે નહીં. આ સાંભળીને હમીરજીએ કહયુકે, પણ આઈ, મને મરવા જનારાને કોણ દીકરી આપે ? આઈએ હમીરજીને કહ્યુકે, બાપ આ રસ્તે તારી શુરવીરતા પર રાજી થઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો. મારૂ વેણ પાળજે દિકરા. આટલુ બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસી સોમનાથને મારગે ચાલ્યા. હમીરજીને કહે, હું તારી પહેલા સોમનાથ જઈને વાટ જોઈશ.

ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં દ્રોણગઢડા આવ્યુ. વેગડાજી કરીને ભીલ સરદારની ગિરમાં આણ ફરે. ત્રણસો ભીલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલયોધ્ધા ભેગા કરી શકતો. ભીલ બધા સોમનાથને ખુબજ માનતા. વેગડાજીને એક દિકરી હતી. દિકરીનું નામ રાજબાઈ હતું. એકવાર વેગડાજી ભીલ અને જેઠવા રાજપુતો વચ્ચે ધીંગાણુ થયેલું ધીંગાણા મા જેઠવા રાજપુત કામ આવ્યો પણ તેની એક દિકરીને પોતાની દિકરી સમજી વેગડાજી પોતાની સાથે રાખી મોટી કરેલી હતી. હવે તે દિકરી તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. જેથી તે સમયે આઈ લાખબાઈની ડમણી અટકાવી. બે ટંક રોકયા. દીકરી માટે કોઈ સારા રાજપુતનું ઠેકાણુ પુછયું. તેથી લાખબાઈએ કહ્યુકે, બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે. તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ. મર્દામદ રાજપુત છે.

આઈ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના ત્રણસો બાણાવાળી ભીલો સાથે ગિરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો. હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી. માંથુ તો સોમનાથને ચડી ચુકયુ હતું. આમ આગળ વધતા વધતા તે કાળવાનેસ પાસે આવ્યા.
સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી ગયા. વેગડો ભીલ આગળ આવ્યો. ઓળખાણ પુછી કે હમીરજી ગોહીલ તમે પોતે ? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પુછ્યુકે, તમે કોણ ? સામે જવાબ મળ્યો કે, વેગળો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓ હો હો, વેગડો ભીલ, ગિરનો સાવઝ, ભારે કામ થયુ. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો.

વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે બે દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યુ. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમનાં શેરડા પડ્યા. મુંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ. પણ વાત એમ હતીકે, તેમની સાથેના બસ્સો જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નીમ લીધા હતા, તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા. મોતને માંડવે પોંખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગિરને ગાંડી કરી મુકી. અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુંટુંબીજનોની હાજરી વગર થયા હતા જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે.

આમ ગિરનાં જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યુ. હમીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે, ટીંબે, ને ગામડે વસતીને ભલકારા દેતો ફરી રહ્યો છે. રાજપુત, કાઠી, આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે.

વેગડાજીએ એના જાસુસો મારફત ઝફરખાનની ફોજના સમાચાર મેળવે છે. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. તેમની સેનાને રોકનારૂ કોઈ નથી નીકળ્યુ. જયારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શુરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચયો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનુ પ્રબળ ઝનુન છે, તો બીજી તરફ મંદીરને બચાવવાની અજબ જિજિવિષા છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડયો.

તોપચીઓ હરોળ આગળ આવતા ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સુંઢમાં લઈને આઘે ધા કર્યો અને વેગડાજી ત્યાંજ મરાણો. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણ નું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જ ઝફરખાનનાં સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મુક્યા. સાંજ પડી મંદીરમાં આરતી થઈ અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યુહ સમજાવ્યો.

બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈ ને દુશ્મનોના હાથીને ભાલા ઘોકીને ત્રાહીમામ પોકરાવી દીધા, જેથી ઝફરખાનનુ સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢનાં પાયામાં સુરંગ ખોદાવી હતી, તેમા હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુધ્ધને લગાતાર નવ દિવસ પુરા થઇ ગયા હતા.

હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધનો વ્યુહ સમજાવ્યો અને સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા.

” થઈ જાવ સૌ સાબદા ”

એમ હમીરજી બોલતા ની સાથે હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા. આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ શંકરની પુજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યુ કે આઈ, આશિષ આપો. કાનો કાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને . સોરઠની મરવા પડેલી મર્દાનગીનુ તે પાણી રાખ્યું. અને તેને ગાયુ કે,

વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.

માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ;
સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.

દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુકે ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા.
હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી દીધુ.

સાંજ પડતા યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે, છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામા ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દશ તલવાર પડી. શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો અને સોમનાથનું મંદીર ભાંગ્યું. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,

રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.

વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.

સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લુંટાઇને તુટી રહ્યુ હતુ. હમીરજી ગોહિલ ઇતિહાસનુ અદભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનુ રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પુજે છે.

સોમનાથ મંદીરની બહાર વેગડાજીની અને મંદીરના મેદાનમાં બરોબર શિવલીંગની સામેજ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો સોમનાથમાં પુજાય છે.

શત શત નમન શુરવીરો

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.