થોડા-ઘણાં તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.
જ્યાં મીણ કે બરફ થઈ, ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.
સૂરજને ખોટું લાગશે, આ એક વાતથી,
અહિ ભાવ ને અભાવથી અજવાળું થાય છે.
છે શબ્દના કે મૌનના, ના તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.
સહમત બધી યે વાતમાં, ના થઈ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.
આ દર્દ, પીડા, વેદના, ઝાંખા પડી ગયા,
ખુશીઓની આવ-જાવથી અજવાળું થાય છે.
નડતા નથી સવાલ મને કાલના હવે,
બસ, આજના લગાવથી અજવાળું થાય છે.
—-લક્ષ્મી ડોબરિયા.
5 apr
Leave a Reply