વસંતના કે પાનખરના વારનો નિખાર છે.
સમય મુજબ કરેલા ફેરફારનો નિખાર છે.
મળી’તી ચાર આંખો એ બનાવ ખાસ થઈ ગયો,
અરીસાના ગજાની આરપારનો નિખાર છે.
આ ટેરવાંય હાલચાલ પૂછવાને સળવળ્યા,
ઢળેલી પાંપણોમાં એ સ્વીકારનો નિખાર છે.
વધારે કૈં જ છે નહીં આ તાજગીના મૂળમાં,
સુગંધી વાયરાની સારવારનો નિખાર છે.
જવાનું ક્યાંય હોય નહિ ને સ્થિર પણ થવાય નહિ,
આ બેકરારી સાથેના કરારનો નિખાર છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply