Sun-Temple-Baanner

અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો


અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો

Sandesh – Ardh Saptahik purti – 1st Feb 2017

Take off

‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે.’

* * * * *

દુનિયાને અહિંસા જેવા અદ્ભુત શસ્ત્રની ભેટ આપનાર મહાત્મા ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને દિલપૂર્વક ટેકો આપ્યો હતો તે વળી કેવું! ચોથી ઓગસ્ટ ૧૯૧૪ના રોજ ફર્સ્ટ વર્લ્ડ વોરની જાહેરાત થઈ હતી અને તેના બે દિવસ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. લંડન પહોંચીને એમણે ત્યાં વસતા ભારતીયોની મિટિંગ બોલાવી. ગાંધીજીએ કહૃાું કે જે ભારતીયો ઈંગ્લેન્ડમાં રહે છે તેમણે અંગ્રેજ સરકારને આ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાથી થાય એટલી સઘળી મદદ કરવી જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓની માફ્ક ઈંગ્લેન્ડમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ લશ્કરમાં ભરતી થવું જોઈએ. સ્વાભાવિક રીતે જ તરત સામી દલીલ થઈ કે, ‘અંગ્રેજો માલિક છે, આપણે ગુલામ છીએ. ગુલામે શા માટે માલિકને સહકાર આપવો જોઈએ જે ગુલામ સ્વતંત્ર થવા માગે છે એના માટે તો પોતાનો માલિક સંકટમાં હોય તે જ સારું ગણાયને! આ તો આપણા માટે સારો અવસર આવ્યો ગણાય. આપણે આવા સમયે જ અંગ્રેજો સામે આપણી માગણી રજૂ કરવી જોઈએ.’

પણ આ દલીલોની ગાંધીજી પણ કોઈ અસર થઈ નહોતી. ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ ‘બાપુ’ નામના પુસ્તકમાં ગાંધીજીના આ વિરોધીભાસી વલણ વિશે આખું પ્રકરણ લખ્યું છે. બિરલા નોંધે છે કે સૌથી પહેલાં તો, બાપુને નહોતું લાગતું કે ભારતીયો ગુલામીની કક્ષાએ પહોંચી ગયા છે. વળી, ગાંધીજીને એવો વિશ્વાસ હતો કે જો આપણે અંગ્રેજોનો પ્રેમ સંપાદન કરી શકીશું તો જ પરિસ્થિતિમાં ફેરફાર થશે. સંકટમાં આવી પડેલા અંગ્રેજોને મદદરૂપ થઈશું તો શકય છે કે એમનું હ્ય્દયપરિવર્તન થાય અને ભારતીયો પ્રત્યેનો એમનો વ્યવહાર બદલાય.

આખરે પ્રથમ વિશ્વયુદ્ધના માહોલ વચ્ચે લંડનમાં ભારતીય સ્વયંસેવકોની એક ટુકડી તૈયાર કરવામાં આવી. મજા જુઓ. આ ટુકડીની મદદ સ્વીકારવા માટે તે વખતના ભારતમંત્રી લોર્ડ ક્રૂ તૈયાર નહોતા! ખૂબ બધી આનાકાની પછી માંડ તેમણે ભારતીય વોલેન્ટિયર્સની સેવા સ્વીકારવાની હા પાડી. દક્ષિણ આફ્રિકામાં વસતા ગાંધીજીના સાથીદારોએ આ સાંભળ્યું ત્યારે એમની નવાઈનો પાર ન રહૃાો. એક બાજુ ગાંધીજી અહિંસાની ઉપાસના કરે છે અને બીજી બાજુ ભારતીયોને વિશ્વયુદ્ધમાં સામેલ કરે છે! આ તો વળી કેવી બેવડી નીતિ! આ વિશે ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા કંઈક આવી હતીઃ

‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. અહિંસા એક વિશાળ ધર્મ છે. માણસ એક પણ ક્ષણ જાણે-અજાણ્યે હિંસા કર્યા વિના જીવિત રહી શકતો નથી. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે. અહિંસાનો પૂજારી પોતાના ધર્મનું યથાર્થ પાલન એવી સ્થિતિમાં જ કરી શકે જ્યારે એના તમામ કર્મોનો એક જ સ્ત્રોત હોય. એ સ્ત્રોત છે દયા. જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અહિંસાના ઉપાસકનો પ્રથમ ધર્મ છે યુદ્ધ બંધ કરાવવું. જો યુદ્ધ રોકવાની શકિત નથી તો ભલે યુદ્ધમાં કદાચ સામેલ હોય, પણ સાથેસાથે એ રાષ્ટ્રોને, દુનિયાને અને પોતાની જાતને યુદ્ધથી મુકત રાખવાનો પ્રયત્ન પણ નિરંતર કર્યા કરે છે.’

ગાંઘીજીએ ન યુદ્ધ વિરુદ્ધ બગાવત કરી, ન ઈંગ્લેન્ડની સરકાર તેની નીતિનો ત્યાગ ન કરે ત્યાં સુધી સત્યાગ્રહ કે અસહકાર કર્યો કે ન કાનૂનભંગ કરીને જેલમાં ગયા. આ બધું કરવા માટે તેઓ પોતાની જાતને અયોગ્ય માનતા હતા. આથી તેમણે અંગ્રેજોને સાથ આપવાનો રસ્તો અપનાવ્યો. ઘનશ્યામદાસ બિરલા અહીં સ્પષ્ટ શબ્દોમાં લખે છેઃ

‘ગાંધીજીનો આ તર્ક કંઈક લૂલો લાગે છે, પણ ગાંધીજી કઈ રીતે નિર્ણય પહેલાં કરે છે અને દલીલો પછીથી ઊપજાવી કાઢે છે તેની ચર્ચા પછીથી કરીશું. તર્ક મજબૂત ન હોય તો ભલે ન હોય, પણ ગાંધીજીના આત્માને જે સમયે જે સત્ય લાગ્યું તેની જ પાછળ તેઓ ચાલ્યા. એમના તર્કોમાં જાણી જોઈને આત્મવંચના નથી હોતી. મૂળ વાત એમ હતી કે એમને બ્રિટિશ શાસનપદ્ધતિમાં અનહદ શ્રદ્ધા હતી.’

ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફેર્ડને પત્રમાં લખ્યું હતું કે, ‘હું માનું છું કે આ (વિશ્વયુદ્ધ જેવા) ભયંકર સમયે બ્રિટિશ રાષ્ટ્રને, જેના અમે અન્ય રાષ્ટ્રોની જેમ અત્યંત નજીકના ભવિષ્યમાં ભાગીદાર બનવાની આશા રાખીએ છીએ, તેને પ્રસન્નતાપૂર્વક અને સ્પષ્ટ મદદ કરવી જોઈએ. એ પણ સત્ય છે કે અમારી આ ઇચ્છાની પાછળ એ આશા છે કે એમ કરવાથી અમે અમારા (ભારતને આઝાદ કરવાના) ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકીશું… હું એવું ઇચ્છું છું કે ભારત દરેક સશકત યુવાનોને બ્રિટિશ રાષ્ટ્રના રક્ષણ માટે હોમી દે… મારા દેશબાંધવોેને હું પ્રતીતિ કરાવવા માગું છું કે જો આપણે (બ્રિટિશ) સામ્રાજ્યની સેવા કરીશું તો એ ક્રિયામાંથી જ આપણને સ્વરાજ્ય મળી ગયું એમ સમજવું.’

* * * * *

ગાંધીજીને આટલો બધો ભરોસો હતો અંગ્રેજો પર! બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે ભારતે પોતાના યુવાનોનું બલિદાન આપ્યું, ધન આપ્યું. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પણ ભારતને સ્વતંત્રતા તો ન જ મળી, ઊલટાનું, ૧૯૧૯ની તેરમી એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં ભયાનક હત્યાકાંડ થઈ ગયો. અંગ્રેજો પર ગાંધીજીને જે વિશ્વાસ હતો તેના પર કારમો ઘા થયો. જોકે ગાંધીજીના વ્યવહારમાં કોઈ ફરક ન પડયો. વર્ષો વીત્યાં. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ગાંધીજીને આ વખતે અંગ્રેજો પર શ્રદ્ધા નહોતી. એમણે અસહકારનું આંદોલન ચાલુ રાખ્યું, પણ આ સંકટના સમયમાં ઈંગ્લેન્ડની પરેશાની ન વધે તેનો ખ્યાલ પણ રાખ્યો. પોતાના લેખો, ભાષણો અને તત્કાલીન વાઈસરોય સાથેની મુલાકાતો દરમિયાન ગાંધીજીએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે આ વખતે ભારતીયો અંગ્રેજોને ફ્કત નૈતિક સ્તરે જ ટેકો આપશે, ભૌતિક સ્તરે નહીં.

બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે એટલા બધા પરાધીન નહોતા. નવેક પ્રદેશોમાં પ્રાંતીય સ્વરાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. કેન્દ્રમાં પણ સ્વરાજ્યનું વચન અપાઈ ગયું હતું. આપણે પૂર્ણ સ્વરાજ્ય તરફ્ આગળ વધી ચૂકયા હતા. ગાંધીજીની દષ્ટિએ અહિંસાની જીવંત કસોટીનો સમય હવે આવી ગયો હતો. અહિંસાના પ્રયોગની સફ્ળતાનું પ્રદર્શન કરવું હોય તો આ ઉત્તમ અવસર હતો. એવું જ થયું. ભયંકર હિંસાનો પ્રતિકાર અહિંસા જેવા આધ્યાત્મિક અને ચમત્કારિક શસ્ત્રથી થઈ શકે છે તે એમણે દુનિયા સામે પુરવાર કરી બતાવ્યું.

ઘનશ્યામદાસ બિરલા ઉપરાંત જમનાલાલ બજાજ પણ ગાંધીજી સાથે આત્મીયતાભરી નિકટતા ધરાવતા હતા. આ બંને અત્યંત ધનાઢય ઉદ્યોગપતિઓ ગાંધીજીના આર્થિક મહાબાહુ તરીકે ઓળખાતા હતા. તેમના વિશે વધારે વાતો આવતા અઠવાડિયે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Feb, 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.