જેમ તેમના દિવસો બદલ્યા
એક રાજા હતો. રાજાના ચાર દીકરા હતા. રાણી ? રાણી તો ઘણી બધી હતી. મહેલમાં જ એક પાંજરાપોળ ઉભું કર્યું હતું. પણ વરિષ્ઠ રાણીએ બાકી રાણીઓના પુત્રોને ઝેર આપી મારી નાખ્યા. આ વાતથી તો રાજા ખૂબ પ્રસન્ન થયેલા, કારણ કે એ નીતિવાન હતા અને જાણતા હતા કે ચાણક્યનો આદેશ છે, રાજા પોતાના પુત્રોને શિયાળ સમજે. મોટી રાણીના ચારે દીકરાઓ અબઘડી રાજાની ગાદી પર બેસવા તલપાપડ બન્યા હતા. જેથી રાજાને વૃદ્ધ થવું પડ્યું.
એક દિવસ રાજાએ ચારે પુત્રોને બોલાવીને કહ્યું, ‘‘દિકરાઓ હવે મારી ચોથી અવસ્થા આવી ગઈ છે. દશરથે તો કાન પાસેના જ વાળ સફેદ થતા રાજગાદી ત્યજી દીધી હતી. મારા વાળ તો ખિચડી જેવા દેખાય છે. જ્યારે કલર ઉતરી જાય છે ત્યારે તો આખુ માથુ ધોળુ દેખાય છે. હું નિવૃતિ લઈશ, તપસ્યા કરીશ. એ લોકને યથાયોગ્ય બનાવવાનું છે, કારણ કે તમે ત્યાં જાઓ તો તમારા માટે હું સિંહાસન તૈયાર રાખી શકું. આજે મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે ગાદી પર ચારના બેસવા માટે જગ્યા નથી. જો કોઈ રીતે ચારે બેસી પણ ગયા તો પણ ધક્કામુક્કી થશે અને બધા હેઠા પડશો. પણ હું દશરથ જેવી ભૂલ કરી તમારામાંથી કોઈની સાથે પક્ષપાત નહીં કરૂ. હું તમારી પરીક્ષા લઈશ. તમે ચારે રાજ્યની બહાર ચાલ્યા જાઓ. આજથી બરાબર એક વર્ષ પછી ઠીક ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ચારે દરબારમાં હાજર થજો. હું જોઈશ કે એક વર્ષમાં કોણે કેટલા રૂપિયાની કમાણી કરી અને કઈ યોગ્યતા પ્રાપ્ત કરી. ત્યારે હું મંત્રીની સલાહથી, જેને સર્વોત્તમ માનીશ, સિંહાસન એને જ આપી દઈશ.’’
‘‘જે આજ્ઞા…’’ કહી ચારેએ રાજાને ભક્તિહીન ભાવથી પ્રણામ કર્યા અને રાજ્ય બહાર ચાલી નીકળ્યા.
પાડોશી રાજ્યમાં પહોંચીને ચારે રાજકુમારોએ ચાર રસ્તા પકડી લીધા અને પોતાની મહેનતના બળે નસીબને અજમાવવા માટે નીકળી પડ્યા. બરાબર એક વર્ષ બાદ- ફાગણ પૂર્ણિમાના દિવસે ચારે રાજકુમારો ઉપસ્થિતિ થયા. રાજસિંહાસન પર રાજા વિરાજમાન હતા. તેમની પાસે જ નજીકની જગ્યા પર પ્રધાનમંત્રી બેઠા હતા. આગળ ભાટ, નટ અને ચાટુકાર શોભામાં અભિવૃદ્ધી કરી રહ્યાં હતા. રાજાએ કહ્યું, ‘‘પુત્રો ! આજે એક વર્ષ પૂર્ણ થયું. અને તમે સૌ અહીંયા હાજર પણ થઈ ગયા છો. મને આશા હતી કે આ એક વર્ષમાં તમારામાંથી ત્રણ બીમારીના ભોગ બની જશો અથવા કોઈ એક ત્રણને મારી નાખશે અને મારી સમસ્યાનું નિરાકરણ આવી જશે. પણ તમે તો ચારે અહીં ઉભા છો. જવા દો… હવે દરેક મને એ બતાવો કે, કોણે એક વર્ષમાં શું કામ કર્યું, કેટલા પૈસા કમાણા, આટલું બોલી રાજા સાહેબે જ્યેષ્ઠ પુત્ર તરફ જોયું.’’
મોટો દીકરો હાથ જોડીને બોલ્યો, ‘‘પિતાશ્રી, હું જ્યારે બીજા રાજ્યમાં પહોંચ્યો, તો મેં વિચાર કર્યો કે રાજા માટે ઈમાનદારી અને પરિશ્રમ અત્યંત આવશ્યક ગુણ છે. એટલે હું એક વેપારીને ત્યાં ગયો અને અનાજની બોરીઓ ઉપાડવાનું કામ કર્યું. પીઠ પર મેં એક વર્ષ સુધી અનાજની ગુણો ઉપાડી. ઈમાનદારીપૂર્વક પૈસા કમાયો. મજૂરીમાંથી બચાવેલી સો સુવર્ણમુદ્રાઓ જ મારી પાસે છે. મને વિશ્વાસ છે કે ઈમાનદારી અને મહેનત જ રાજા માટે જરૂરી છે અને મારામાં તે છે. એથી જ સિંહાસનનો અધિકારી હું જ છું.’’ એ મૌન થઈ ગયો. રાજસભામાં નિરવ શાંતિ પથરાઈ ગઈ.
રાજાએ બીજા દીકરા તરફ ઈશારો કર્યો. એણે કહ્યું, ‘‘પિતાશ્રી, રાજ્યમાંથી બહાર નીકળતી વખતે મેં વિચાર્યું કે હું રાજકુમાર છું, ક્ષત્રિય છું-ક્ષત્રિય તો બાહુબળ પર ભરોસો રાખે છે. મેં પાડોશી રાજ્યમાં જઈને ડાકુઓની એક ટૂકડી સંગઠિત કરી અને લૂંટમાર કરવા લાગ્યો. ધીમે ધીમે મને રાજ્યના કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થવા લાગ્યો અને મારું કામ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યું. મોટાભાઈ જેને ત્યાં કામ કરતાં‘તાને ત્યાં મેં બે વખત ધાડ પાડી હતી. આ એક વર્ષની કમાણીમાં મારી પાસે પાંચ લાખ સુવર્ણમુદ્રાઓ છે. મારો તો અપ્રતિમ વિશ્વાસ છે કે રાજાએ સાહસી અને ડાકુ હોવું જોઈએ. ત્યારે જ તે રાજ્યનો વિસ્તાર કરી શકે છે. આ બંન્ને ગુણ મારામાં છે. જેથી હું જ રાજસિંહાસનનો અધિકારી છું.’’ પાંચ લાખ સાંભળતા તો દરબારીઓની આંખો વિસ્ફારીત થઈ ગઈ.
રાજાના ઈશારા સાથે ત્રીજા પુત્રએ કહ્યું, ‘‘દેવશ્રી, મેં તે રાજ્યમાં જઈને વેપાર કર્યો. રાજધાનીમાં મારી ખૂબ મોટી દુકાન હતી. હું ઘીમાં મગફળીનું તેલ અને ખાંડમાં રેતનું મિશ્રણ કરીને વેચતો. રાજ કર્મચારીઓ પણ મને પકડતા નહોતા, કારણ કે એ બધાને હું નફામાંથી તેમનો ભાગ આપી દેતો હતો. એક વખત તો ખૂદ રાજાએ મને પૂછ્યું કે, ‘ખાંડમાં આ રેતી કરે છે શું ?’ મેં પ્રત્યુતર આપ્યો, ‘કરૂણાનિધાન, વિશેષ પ્રકારની ઉચ્ચકોટિની ખાણમાંથી પ્રાપ્ત કરેલી આ ખાંડ છે. જે માત્ર અને માત્ર રાજા-મહારાજાઓ માટે જ હું વિદેશથી મંગાવુ છું.’ રાજા આ સાંભળીને ખૂબ જ ખૂશ થયા. મોટાભાઈ જે શેઠને ત્યાં ગુણો ઉઠાવતા હતા, એ પણ મારો જ ભેળસેળવાળો માલ ખાતો હતો. એટલું જ નહીં મધ્ય જ્યેષ્ઠ ડાકુ ભ્રાતાને પણ મગફળીના તેલમાં મિશ્રીત કરેલું ઘી અને રેતમાં ભેળવેલી ખાંડ હું જ ખવડાવતો હતો. મારૂં વિશ્વાસપૂર્વક માનવું છે કે રાજાએ બેઈમાન અને ઠગ હોવું જોઈએ, તો જ તેનું રાજપાટ અડિખમ રહી શકે છે. સીધા રાજાને તો કોઈ એક દિવસ પણ નહીં ટકવા દે. મારામાં રાજા બનવા યોગ્ય બે ગુણો છે. જેથી ગાદીનો અધિકારી હું છું. મારી એક વર્ષની કમાણી દસ લાખ સુવર્ણમુદ્રા મારી પાસે છે.’’ દસ લાખ… આ શબ્દ સાંભળી ફરી દરબારીઓની આંખો પહોળી થઈ ગઈ.
હવે રાજાએ સૌથી નાના દીકરા તરફ જોયું. નાના રાજકુમારની ભાવ ભંગીમાઓ અને વેશભૂષા ત્રણેથી વિપરીત હતી. એ શરીર પર અત્યંત સાદા અને મોટા કપડાં પહેરીને ઉભો હતો. પગ અને માથું નગ્ન હતું. તેના ચહેરા પર પ્રસન્નતા અને આંખોમાં કરૂણા હતી. એ બોલ્યો, ‘‘દેવશ્રી, હું પહેલાં બીજા રાજ્યમાં પહોંચ્યો તો મને કંઈ વિચાર જ નહોતો આવતો કે શું કરૂં. ઘણા દિવસો સુધી હું ભૂખ્યો-તરસ્યો ભટક્યા કર્યો. ચાલતા ચાલતા હું એક મકાનની સામે પહોંચ્યો. તેની ઉપર લખ્યું હતું ‘સેવા આશ્રમ’. હું અંદર ગયો તો ત્યાં ત્રણ-ચાર માણસો બેઠા હતા અને અસંખ્ય સુવર્ણમુદ્રાઓ ગણી રહ્યા હતા. મેં તેમને પૂછ્યું, ‘તમારો ધંધો શું છે ?’
તેમનામાંથી એક બોલ્યો, ‘ત્યાગ અને સેવા.’
મેં કહ્યું, ‘ત્યાગ અને સેવા તો ધર્મ છે. આ ધંધો કેવી રીતે થયો ?’
એ માણસ રોષપૂર્વક બોલ્યો, ‘તારી સમજમાં આ વાત નહીં આવે, જા રસ્તો માપતો થા.’
સોના પર મારી લાલચી દ્રષ્ટિ અટકેલી પડી હતી. મેં પૂછ્યું, ‘તમે આટલું બધું સોનું કેવી રીતે મેળવ્યું ?’
એ માણસ બોલ્યો, ‘ધંધાથી…’
મેં પૂછ્યું, ‘કયો ધંધો ?’
એ ગુસ્સામાં બોલ્યો, ‘હમણાં કીધું નહીં ! સેવા અને ત્યાગ. તું બહેરો છો?’
તેમનામાંથી એકને મારી દશા જોઈ દયા આવી ગઈ. તેણે કહ્યું, ‘તું શું ઈચ્છે છો ?’
મેં કહ્યું, ‘હું પણ તમારો ધંધો શીખવા માગુ છું. હું પણ ઘણી બધી સુવર્ણમુદ્રાઓ પામવા ઈચ્છું છું.’
એ માયાળુ માણસે કહ્યું, ‘તો તું અમારા વિદ્યાલયમાં ભરતી થઈ જા. અમે એક જ અઠવાડિયામાં તને સેવા અને ત્યાગનાં ધંધામાં પાવરઘો કરી દઈશું. અમે એક પણ પૈસો તારી પાસેથી નહીં લઈએ. બસ જ્યારે તારો ધંધો ચાલી નીકળે ત્યારે શ્રદ્ધાઅનુસાર ગુરૂદક્ષિણા આપી દેજે.’
પિતાજી હું સેવા આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરવા લાગ્યો. હું ત્યાં રજવાડી ઠાઠમાઠથી રહેતો હતો. સુંદર વસ્ત્રો પહેરતો હતો. સ્વાદિષ્ટ ભોજન કરતો હતો, સુંદર યુવતીઓ હાથપંખો નાખતી હતી. નોકરો હાથ જોડી સામે ઉભા રહેતા હતા.
અંતિમ દિવસે મને આશ્રમના પ્રધાને બોલાવ્યો અને કહ્યું, ‘શિષ્ય, તું સંપૂર્ણ કલાઓમાં પારંગત થઈ ગયો છે. ભગવાનનું નામ લઈને કામનો પ્રારંભ કરી દે.’
તેમણે મને આ કપડાં આપ્યા અને કહ્યું, ‘બહાર આ વસ્ત્રો પહેરજે. કર્ણના કવચ-કુંડળની માફક બદનામીથી આ તારી રક્ષા કરશે. જ્યાં સુધી તારૂ ખૂદનું નાનું એવું મકાન નથી બની જતું ત્યાં સુધી તું અમારી સાથે રહી શકે છે. જા ભગવાન તને સફળતા આપે.’
બસ, મેં એ દિવસથી જ માનવ-સેવા-સંઘ ખોલી નાખ્યો. પ્રચાર કરી નાખ્યો કે માનવ માત્રની સેવા કરવાનું બીડુ અમે ઉઠાવ્યું છે. આપણે સમાજની પ્રગતિ કરવાની છે, દેશને આગળ વધારવાનો છે, ગરીબ, ભૂખ્યા, નગ્ન અને અપંગોની સેવા કરવાની છે. દરેક વ્યક્તિ અમારા આ પુણ્યકાર્યમાં સહભાગી થાય. અમને માનવ-સેવા માટે ચંદો આપે. પિતાજી એ દેશના લોકો ખૂબ ભોળા છે. આવું કહેવાથી તેઓ પૈસા આપવા લાગ્યા. મેં મધ્ય જ્યેષ્ઠ ભ્રાતા પાસેથી પણ પૈસા લીધા, મોટાભાઈના શેઠે પણ આપ્યા અને ખૂદ મોટાભાઈએ પણ પેટ કાપીને આપ્યા. લૂંટેરા ભાઈએ પણ મારા અનુયાયીઓને એક એક મુદ્રા આપી હતી, કારણ કે એક વખત રાજાના સૈનિકો તેને પકડવા આવ્યા ત્યારે તેને આશ્રમમાં આસરો મારા અનુયાયીઓએ આપ્યો હતો. પિતાજી, રાજ્યનો આધાર ધન છે. રાજાને પ્રજા પાસેથી પૈસા કઢાવવાની આવડત આવડવી જોઈએ. પ્રજા પાસેથી પ્રસન્નતાપૂર્વક પૈસા લઈ લેવા એ રાજાનો આવશ્યક ગુણ છે. ચાકુ માર્યા વિના લોહી કાઢતા આવડવું જોઈએ. મારામાં એ ગુણ છે. હું જ સિંહાસનનો અધિકારી છું. એક વર્ષમાં રૂપિયા માગી માગીને મેં વીસ લાખ સોનાની મુદ્રાઓ એકઠી કરી છે.’’
વીસ લાખ સાંભળતા જ દરબારીઓની આંખો આ વખતે એટલી ફાટી ગઈ કે ખૂણામાંથી લોહી ટપકી પડ્યું. રાજાએ મંત્રીને પૂછ્યું, ‘‘મંત્રીજી તમારું શું કહેવું છે ? ચારમાંથી કયો રાજકુમાર સિંહાસનને યોગ્ય છે.’’
મંત્રીએ કહ્યું, ‘‘મહારાજ સમસ્ત રાજસભા જાણે છે કે સૌથી નાના રાજકુમાર જ યોગ્ય છે. તેણે એક વર્ષમાં વીસ લાખ મુદ્ગાઓ એકઠી કરી છે. તેનામાં તેના ગુણો સિવાય અન્ય ત્રણ રાજકુમારોના ગુણો પણ છે. મોટા જેવી મહેનત તેની પાસે છે, બીજા રાજકુમારની જેમ તે સાહસી અને લૂંટેરો પણ છે, ત્રીજાની સમકક્ષ બેઈમાન અને ધૂર્ત છે. એટલે જ તેને સિંહાસન આપી દો. મંત્રીની વાત સાંભળીને રાજસભામાં તાળીઓ વાગી.’’
બીજા દિવસે સૌથી નાના રાજકુમારનો રાજ્યાભિષેક થઈ ગયો. ત્રીજા દિવસે પાડોશી રાજ્યની ગુણવંતી રાજકન્યા સાથે તેના લગ્ન થયા. પછી ઈશ્વરની દયાથી તેને પુત્રરત્ન પ્રાપ્ત થયો અને તે સુખેથી રાજ કરવા લાગ્યો. વાર્તા હતી તો પૂરી થઈ. જેમ તેના દિવસો ફર્યા તેવી રીતે સૌના દિવસો ફરે.
સાહિત્ય પ્રકાર-વ્યંગ
લેખક- હરિશંકર પરસાઈ
અનુવાદ-મયૂર ખાવડુ
Leave a Reply