હેલમેટ : સરકારે વાસણ ઉટક્યા તો પણ સાબુની સુગંધ રહી ગઈ
ગુજરાત સમાચારના આજના તંત્રી લેખમાં બે મુદ્દાઓ દરેક ગુજરાતીએ વાંચવા જેવા છે. પ્રથમ ફકરામાં લખ્યું છે, ‘ગુજરાતના વિશ્વવિખ્યાત ગરબામાં નૃત્યનો એક પ્રકાર એવો પણ છે જેમાં ખેલૈયાઓ બે ડગલાં આગળ વધવાનું અને પછી એક ડગલું પાછળ માંડવાનું. પરંતુ આપણી ગરબાપ્રેમી પ્રજાને જે સરકાર પ્રાપ્ત થઈ છે તેમણે સાવ અલગ જ સ્ટેપની શોધ કરી હોય એવું લાગે છે. વર્તમાન સરકાર એક ડગલું આગળ વધીને બે ડગલાં પાછળ હટવામાં ‘‘મેક્સિમમ ગવર્નન્સ’’ સમજે છે.’
તંત્રી લેખમાં લખાયેલો બીજો મહત્વનો મુદ્દો એ છે કે, ‘પીયૂસી ફરજીયાત કરવાનો અને પીયૂસી સર્ટિફિકેટ ન હોય તો ખૂબ મોટો દંડ લેવાનો તર્ક કોઈ જ હિસાબે વાજબી ન હતો. પીયૂસી ફરજીયાત કર્યા પછી અને દંડની રકમ આટલી બધી વધારી દીધા પછી શું હવાની ગુણવત્તા સુધરી ગઈ ? પીયૂસી સર્ટિફિકેટ પછી પ્રદૂષિત હવા નંદનવનની ખુશ્બોસભર તાજી હવામાં પલટાઈ ગઈ ? કોઈ ચળવળકારે હવાની ગુણવત્તા જાણવા માટે આરટીઆઈ ફાઈલ કરી ?’
દુનિયાભરના તમામ વિસ્તારોને એક વાક્ય લાગુ પડે છે. ખાલી રોડ કરતાં ભરેલો રોડ વધારે સારો. ભરેલા રોડમાં તમને ખ્યાલ હોય છે કે કયુ વાહન ક્યાંથી આવે છે અને મારે આગળ શું પગલું ભરવાનું છે પણ ખાલી રોડમાં બમરાટી મારતા અને ધૂમ સ્ટાઈલમાં વાહનો ચલાવતા લોકોને ખબર નથી હોતી કે આગળથી શું આવવાનું છે. લોભ કર્યાનો ખ્યાલ છેતરાય ગયા બાદ જ આવે તેમ અકસ્માત થઈ ગયા બાદ જ ઝડપથી ગાડી ચલાવી હોવાની ભૂલ સમજાય.
ગુજરાતી મીડિયામાં તો નહીં પણ હિન્દી મીડિયામાં ગુજરાતની વર્તમાન સરકારની તલવારના (કલમ-કિબોર્ડ) એક એક ઘા મારીને ટીકા કરવામાં આવી રહી છે. તેમનું પગલું કોઈ રીતે સાખી લેવાય તેવું નથી. અંતે તો હેલમેટ ભલે મોંઘુ હોય પણ થોબળું તો તમારું જ છે ને. કેટલાક લોકો કહી રહ્યાં છે કે રાજકોટમાં કોંગ્રેસ દ્રારા ચલાવવામાં આવેલી સહી ઝુંબેશ. જેમાં એક આંકડા પ્રમાણે 15 હજારથી વધારે લોકોએ સહી કરી અને બાદમાં હેલમેટના શિર્ષાસન કરાવતાં કાયદાનો અંત આવ્યો. જો વિપક્ષ પણ લોકોને હેલમેટ ન પહેરવાની સલાહ આપતી હોય અને તેમાં પોતાની જીત થયાનો સુખદ આનંદ ચરમસીમાએ ભોગવતી હોય તો ભવિષ્યમાં એ વિપક્ષને પણ સત્તાની બાગડોર આપીને શું કાઢી લેવાનું ?
ઈન્ડિયા ટૂડે ગ્રૂપની વેબસાઈટ લલ્લનટોપ દ્રારા લખવામાં આવ્યું છે કે, ‘ગુજરાત સરકારે જે કાયદો કાઢ્યો છે તેનો અમલ બીજા કોઈ રાજ્યએ તો કરવો જ ન જોઈએ.’ બીજી તરફ અમર ઉઝાલા પોતાના ટાઈટલને અજબ ગજબની રીતે ફટકારી લોકોને પ્રશ્ન પૂછી રહી છે કે, ભારતમાં એવું કયુ રાજ્ય છે જ્યાં હેલમેટ ન પહેરવાની પૂરતી સુવિધા આપવામાં આવે છે ?
કેટલાક અખબારો તેને રાજકીય સમીકરણનાં વાઘા પહેરાવી રહ્યાં છે. જે એક રીતે કોઈ પણ વ્યક્તિ માની લે તેવું છે. જે દિવસે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રહ્યાં હતા એ સમયે જ હેલમેટને મરજીયાત કરી દેતા એક નવું સમીકરણ રચાયું હતું. ગુજરાતની સરકાર હેલમેટને મરજીયાત કરવાનો કાયદો એટલા માટે લાવી કારણ કે વિદ્યાર્થીઓ પરથી ગુજરાતની જનતાનું ધ્યાન ભટકે. પણ શ્રીફળ હાથેથી ફોડવામાં આવે તો ફોડનારનાં હાથને જ વધારે લાગે તેવી રીતે વિદ્યાર્થીઓએ આખી રાત અને બીજા દિવસે પણ વિરોધ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. પરિણામે આંદોલનની આંટીઘૂંટીમાં હેલમેટનો મુદ્દો ચગી જાય તેવી મહેચ્છા રાખતી સરકાર માટે ઠામ ધોયા તોય સાબુની સુગંધ આવે તેવી સ્થિતિ ઉતપન્ન થઈ.
રાજકીય રીતે 2020માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ભાજપનો તમામ જગ્યાએ પગદંડો છે. મોટાભાગના શહેરોમાં પણ. એવામાં વહેલી તકે નિર્ણય લઈ રાજકીય લાભ ખાટવાની લાલસા સરકારને હતી. પણ એવું કંઈ દેખાય નથી રહ્યું. પેટા ચૂંટણીમાં ધવસિંહ અને અલ્પેશ જેવા નેતાઓની હાર, બીજી ત્રણ બેઠકો પર માંડ-માંડ જીતવું. અમદાવાદની વિધાનસભાની 4 બેઠકો પર કોંગ્રેસનો પંજો લાગવો. જ્યાં ભાજપનું એકચક્રિય શાસન હતું. આમ તમામ જગ્યાએથી હારનો સામનો કરી રહેલી સરકારને હેલમેટમાં કદાચ રાજકીય મુદ્દો દેખાયો હોય. જો દેખાયો હોય તો પણ તે સફળ નથી અને ન દેખાયો હોય તો તો બિલ્કુલ સફળ નથી.
ઉપરથી માર્ગ અને પરિવહન મંત્રી આર.સી.ફળદુએ પ્રેસ કોન્ફરન્સમાં જનતાના હેલમેટ ન પહેરવાના કારણો આપ્યા તે બિલ્કુલ હાસ્યાસ્પદ કક્ષાનાં હતા. લગ્નમાં જાઓ તો હેલમેટના કારણે ખૂબસુરતી પર ગ્રહણ લાગી જાય છે, કોઈ વાહનનો હોર્ન સંભળાતો નથી, માર્ચ મહિનામાં ભારે ઉનાળાના કારણે પરસેવાથી તરબતર થઈ જવાય છે. જો ઊનાળામાં હેલમેટ પહેરવાથી ગરમી લાગતી હોય તો વર્ષોથી ઉનાળામાં કાળા કોટ પહેરીને ફરતાં વકિલોને સેલ્યુટ મારવી પડે. તેમણે તો 45 ડિગ્રી ગરમીમાં પણ પોતાનો કોટ નથી ઉતાર્યો અને કેટલાક લોકોને એક હેલમેટથી ગરમી લાગવા માંડે છે.
ઈતિહાસ મુજબ સૌથી પહેલું હેલમેટ સુમેર સભ્યતામાં જોવા મળે છે. ઈસા પૂર્વની 2500મી સદીમાં ચામડા કે ઉનની ટોપી પર તામ્ર પત્ર લગાડીને હેલમેટ પહેરવામાં આવતું હતું. એ હેલમેટનું મૂળ કાર્ય યુદ્ધ માટે હતું. વેદોમાં પણ યુદ્ધ દરમિયાન હેલમેટ પહેર્યાના ઉલ્લેખો આવે છે. પણ હવે તેનું માત્ર સ્વરૂપ બદલાયું છે. પહેલા રથમાં યુદ્ધ કરતાં સમયે વિરોધીથી બચવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હવે કોઈ વાહન અડફેટે લઈ શિર્ષભાગનું કચૂંબર ન કરી નાંખે આ માટે પહેરવામાં આવે છે.
વર્તમાન સમયે જે હેલમેટ પહેરવામાં આવે છે તે 1914ની સાલમાં અસ્તિત્વમાં આવ્યું હતું. એ સમયે ઈંગ્લેન્ડમાં યોજાયેલી મોટર સાઈકલ રેસ દરમિયાન ડા એરિક ગાર્ડનરનું ધ્યાન પડ્યું કે ઘણાં ખરા રેસરો અકસ્માત થતા માથામાં લાગવાની સમસ્યાથી ચિંતિત છે. ગાર્ડનરે હેલમેટ બનાવ્યું અને ઓટો સાઈકિલ યુનિયનની પાસે ગયો. જ્યાં હેલમેટના વિચાર અને તર્કનો છેદ ઉડાવી દેવામાં આવ્યો. પહેલી વખત આઈસ ઓફ મેન ટીટીની રેસમાં તેનો ઉપયોગ થયો. ગાર્ડનર એ સમયે સ્થળ પર જ 94 હેલમેટ લઈ આવેલો હતો. મોટાભાગના રેસરોએ તેનો ઉપયોગ કરવાનું ટાળ્યું. પણ એક રેસર જેણે તે પહેર્યું હતું તે ધડામ કરતો પછડાયો. માથાના ભાગમાં ઈજા થઈ પણ હેલમેટ પહેર્યું હોવાથી સ્વયં સુરક્ષિત અને મોતના મુખમાંથી બહાર નીકળી ગયો. એ પછી ગુજરાત ગાર્ડનરના પહેલા જે લોકો વિચારતા હતા એ બુદ્ધિજીવીઓની સદીમાં ચાલ્યું ગયું છે. સૌરભ દ્ગિવેદીએ TedXમાં કહ્યું હતું તેમ, ‘ઘણાં વર્ષો પહેલાનાં થોડા સમય પછીની આ વાત છે.’
મયૂર ખાવડુ
Leave a Reply