અમે મિત્રો કોલેજમાં ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ જોવા ગયેલા, એમાં સાથે ફિલ્મોનો ઔરંગઝેબ કહેવાય એવો એક અસ્સલ દેશી ને આખાબોલો મિત્ર આવેલો. ફિલ્મ પુરી થયે અમુક નવા નવા વિદ્વાન મિત્રો ચર્ચા કરતા હતા કે આ ફ્રેમથી ફિલ્મ સારી ને, ફલાણી ટેક્નિકમાં અતિશય સારી ને ઢીંકણા એંગલથી તો સાવ નબળી. ત્યારે એ ઔરંગઝેબ મિત્રએ જોરથી બરાડો પાડીને બધાને ગાળો આપતા કહ્યું કે, “તમારી તે….ફિલ્મમાં પથરો પણ આવી બઘી વાતોની મને ખબર પડતી નથી, પણ મને એટલી જ ખબર પડે છે કે ત્રણ કલાક પરોવાય જઈએ ને બહાર નીકળીને મન ફિલ્લ્મ ફિલ્લ્મ થઈ જાય ને ચાર પાંચ દિવસ સુધી એના જ વિચારોમાં ખોવાય જવાય એનું નામ ફિલ્મ…”
એ દિવસે અમને સિનેમાની જે વ્યાખ્યા મળી એ આજ સુધી મોટા મોટા ફિલ્મી રાજાઓની વાતો સાંભળીને પણ નથી મળી. સવા સો કરોડની વસ્તી ધરાવતો આ દેશ બૌદ્ધિકોના લોજીક પર નથી ચાલતો, પણ ધર્મ અને સિનેમાના મેજીક પર ચાલે છે. લોજીકનો બહુ કીડો હોય એ લોકો તો લાઈબ્રેરીઓમાં જઈને મોટા મોટા ફિલોસોફીના થોથાઓ વાંચે. પચાસ-સો-બસ્સો રૂપિયા ખર્ચીને ફિલ્મો જોવા જતા સામાન્ય માણસોને તો જલસો કરવો છે ને પેલા મિત્રએ કહેલું એમ ફિલ્મોની કાલ્પનિક દુનિયામાં ખોવાય જવું છે. પણ અફસોસ, આ સિનેમાનો બોલિવૂડિયો જાદુ હવે ક્યાંક ખોવાયેલો હોવાનું માલુમ પડે છે…
બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપ કુમાર કે રાજ કપૂર જેવા સિતારાઓનો સુવર્ણયુગ ભારતમાં ફેલાયેલો હતો ત્યારે આજની 90 બોર્ન પેઢી હજી આ મેજિકથી દૂર હતી. છતાં બચ્ચન એક બીડી પીને ગુંડાઓને પડકારે તો વીસ વર્ષ પછી ટીવી પર પણ યુવાનોને ‘ગુઝ બમ્પસ’ આવી જતા, રાજેશ ખન્ના જેવી હેર સ્ટાઇલ ધરાવતા વડીલો આજે પણ આસપાસ ક્યાંક જોવા મળશે, દિલીપ કુમારના કપાળ પર લહેરાતી બે લટ તો વાયા શાહરુખ-શાહિદ થઈને અમારા સુધી પહોંચી ગઈ! શાહરુખ બે હાથ ફેલાવીને જડબા ભીંસી દેતો તો દર્શકો હરખઘેલા થઈ જતા અને “જા સિમરન, જી લે અપની જિંદગી” જોઈને કાજોલ આપણને મળવા આવતી હોય એવો આનંદ રગેરગમાં વ્યાપી જતો. સલમાનની ફિલ્મો આમ ફાલતુ છતાં એક મોટો વર્ગ એને શર્ટ ઉતારતો જોઈને આહકારો ફેંકી દેતા. સની દેઓલ ડંકી ઉખાડે તો આપણને આખું પાકિસ્તાન ઉખાડી લીધાનું જોર ચડે…આવો હતો સિનેમાનો જાદુ!
પણ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી પેઢીના સિક્સ પેકિયા કલાકારો એવા આવ્યા કે એ લોકોનો જાદુ ભલે અમુક અપવાદરૂપ ફિલ્મો પૂરતો ફેલાયેલો લાગે, પણ તરત જ એ લોકો હવાયેલા ફટાકડાની જેમ ફુસ્સ થઈ જાય. રણબીર, રણવીર, શાહિદ જેવા કલાકારો એમની હિટ ફિલ્મો પૂરતા આપણને પાગલ બનાવી દે પણ પાંચ, દસ કે પંદર વર્ષો સુધી કરોડો દિલોની ધડકન ક્યારેય ના બની શક્યા. શાહરુખ- સલમાન વિશે કહેવાતું કે એ લોકો દર્શકોની રગ પકડતા જાણે છે, પણ પાછલા એક દોઢ દાયકાઓમાં એમની જ દુઃખતી રગ ઓડિયન્સે પકડી પાડી હોય એવું લાગે છે. માધુરી-શ્રીદેવી જેવી ભારેખમને આંખોમાં છવાય જાય એવી નાયિકાઓ પણ હવે ડાયનાસોરની જેમ લુપ્ત થઈ ગઈ છે.
આ બધી લમણાંઝીંકનું પરિણામ કહો કે કારણ કહો, પણ છેલ્લા દસ વર્ષમાં બે ત્રણ વાર જોઈ શકાય એવી ફિલ્મો કેટલી આવી? રાંઝણા, રોકસ્ટાર કે જિંદગી ના મિલગી દોબારા જેવા સુખદ અપવાદ સિવાય કોઈ જ નહીં! રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના જેવા ટેલેન્ટેડ કલાકારો કંઈક હટકે કન્ટેન્ટ લાવે છે ખરા ને એમને પડદા પર જોવાની મજા પણ આવે જ છે. પણ આવા કલાકારો એક હિટ ફિલ્મની ઇમ્પેક્ટ વડે બીજી હિટ ફિલ્મો આપી શકતા નથી એ પણ એક હકીકત છે. ઈરફાન ખાન માંડ સિનેમાપ્રેમીઓને જલસા કરાવતા હતા પણ એ અકાળે દુનિયા જ છોડી ગયા. ભલું થજો ઓટીટી પ્લેટફોર્મનું કે સો બસ્સો ને પાંચસો કરોડ કલબની પરવા કર્યા વિના આપણે નવાઝુદ્દીન, પંકજ ત્રિપાઠી, નીરજ કબી અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જેવા અસ્સલ કલાકારોને માણી શકીએ છીએ. બાકી તો ચાર દિન કી ચાંદની જેવા સિદ્ધાર્થ જ માથે પડે એમ છે!
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો પાછી બોલિવુડનું માથું ભાંગે એવી. એકસરખી કોમેડી, મોદી-રાહુલ ગાંધીના જોક્સ ને લફરાઓ આપણા માથે ફટકારે. કંઈક નવું કરવા જાય તો પાછી બોરિંગ બની જાય. ને આપણે ટીકા કરીએ તો ક્રાંતિકારી રિવ્યુખોરો આપણા ટેસ્ટને જ કડવો સાબિત કરે. આ રિવ્યુખોરો હિન્દી ફિલ્મોની ટીકા કરે, પણ ગુજરાતી ફિલ્મોમાં માસા, ફોઈના સંબંધો બગદવાની બીકે કે પ્રીમિયર પાસમાંથી ફેંકાય જવાની બીકે દર ત્રીજી ફિલ્મને એક્સ્ટ્રા ઓર્ડિનરી સાબિત કરે. એમના પાપે છાપ જ એવી બગડી જાય કે ‘રાડો’ જેવી મજાની ફિલ્મ આવે ત્યારે વાઘ આવ્યો રે વાઘની જેમ જનતા દૂર ભાગે! ખૈર, આ એક અલગ વિષય છે ને પાછો લાંબો છે.
પછી થયું ઉલટું કે, જે સાઉથની ફિલ્મોને આપણે વરસો સુધી મારધાડની ફિલ્મો ગણીને જોક્સ કર્યા એ જ બૉલીવુડ પાસેથી પરફેક્શન શીખીને દર્શકોના દિલ જીતતા શીખી ગયા. પુષ્પા, RRR, KGF જેવું સુપરહિટ ફિલ્મો આમ જુઓ તો કોઈ નવીન કન્ટેન્ટ નથી. એવું કામ તો મનમોહન દેસાઈઓ બચ્ચન પાસેથી વરસો પહેલા કરાવી ગયા. છતાં સાઉથવાળાઓ ફિલ્મની માવજત એવી કરે કે આપણે ભાવવિભોર થઈ જઈએ. અને બોલિવૂડિયાઓ પોતાનું જ અસ્સલ ટેલેન્ટ ભૂલીને કયા આકાશમાં એકલા ઉડે છે એ જ સમજાતું નથી!
ખૈર, એક વાત તો સ્વીકારવી પડે કે હજારો ટીકાઓ છતાં બૉલીવુડ ખતમ થઈ શકે નહીં, આજે નહિ તો કાલે, કાલે નહિ તો કદીક, એ ફરીથી ઉભું તો થવાનું જ! (એટલે જ બ્રહ્માસ્ત્ર વિશે સારા નરસા અભિપ્રાય હોવા છતાં લોકો જોવા તો દોડ્યા જ!) બાકી તો આજે જ વર્લ્ડ સિનેમા દિવસે રિલીઝ થયેલી આર.બલકીની ‘ચૂપ’ ફિલ્મમાં મેસેજ સારો હોવા છતાં પકડ એટલી નબળી છે કે 75 રૂપિયા અંદર ઘૂસવાના આપ્યા પછી બહાર નીકળવાના બીજા 75 માંગે તો પણ આપણે હોંશે હોંશે ચૂકવી દઈએ!
-Bhagirath Jogia
કસ્તુરબા ગાંધી: ગાંધીની કથા તો દુનિયાએ જાણી, પણ બાની વાર્તા તો અજાણી!
એ જમાનામાં વગર સોશિયલ મીડિયાએ એક ફોટો વાયરલ થયેલો. બાપુના પગ કસ્તુરબા ધોતા હોય એવો. આશ્રમ જીવનમાં બાપુ લાંબા અંતર પગપાળા ચાલીને આવે ત્યારે બા ગરમ પાણીમાં પગ બોળીને બાપુને માલિશ કરી આપે. કનુભાઈ ગાંધીએ લીધેલો આવો એક ફોટોગ્રાફ ફેમિનિસ્ટોના કારણે ચર્ચાનો વિષય બન્યો. અમુક ફેમિનિસ્ટોએ બા પાસે આવીને પુરુષપ્રધાન સમાજની ખોદણી કરતા સમજાવ્યા કે આવી રીતે અત્યાચાર સહન ન કરાય, આ તો કરોડો લોકોમાં ખોટો સંદેશો જાય છે. છતાં તમારે બાપુના ચરણ ધોવા જ હોય તો બંધ બારણે રાખો વગેરે વગેરે….
પણ આ તો ગાંધીજીના ધર્મપત્ની! તરત જ એમણે પેલી સ્ત્રીઓને કડક શબ્દોમાં ખખડાવી નાખી કે, ” બાપુએ મારી બે ડિલિવરી જાતે કરાવી, ત્યારબાદ મેં ખાટલો પકડી લીધો તો રોજ મને નવડાવી, ધોવડાવીને સાફ કરી. બે ટાઈમ મોઢામાં કોળિયા આપીને ખવડાવતા. ત્યારે તો આવા કોઈ ફોટાઓ લઈને તમે ઘરે ના આવ્યા? હું મારી મરજીથી, મારા આનંદથી એમના ચરણ ધોઉ છું. અને બંધ દરવાજા કરવા પડે એવું આ કામ નથી, દરવાજા ખુલ્લા જ રહેશે…” બાની આવી કડકાઈ પણ પાછો ચર્ચાનો વિષય બનેલો.
પણ લગ્નની શરૂઆતમાં બાનો પ્રભાવ કદાચ આવો નહોતો. પોતે અતિશય શ્રીમંત એવા કાપડિયા પરિવારના લાડકા દિકરી. પિતાનો વેપાર તો એ જમાનામાં સાત સમંદર પાર ફેલાયેલો હતો. મધ્યમવર્ગીય દીવાનના દીકરા મોહન સાથે પરણીને આવ્યા પછી બા શરૂઆતના વર્ષોમાં થોડા હતપ્રભ રહી ગયેલા. પતિ મોહન પોતાનાથી ઉંમરમાં થોડો નાનો, સાવ શરમાળ ને ઓછાબોલો. મોહન ભણવામાં પણ નબળો ને કમાણી પણ કોઈ નહિ. એટલે સ્વભાવિક જ સમાજમાં પોતાના પિતા જેટલું માન-સન્માન પતિનું નથી એ જાણીને મનોમન દુઃખ તો થાય જ!
વળી, બા પોતે ઉચ્ચ પરિવારના ને પાછા રૂઢિવાદી એટલે નાતજાતમાં માનનારા પણ ખરા. બાપુ તો પહેલેથી એ બાબતમાં સુધારાવાદી. ઘરે સંડાસ-બાથરૂમ સાફ કરનારાના દીકરાને બાપુ ઉંચકીને રમાડે, બકીઓ ભરે. આ બધું બા ને ગમે નહિ. વળી ઘરે દલિત મહેમાન આવે તો પણ બાનું મોઢું બગડે. બા બધાને જમાડે પ્રેમથી, આવકારો પણ સારો. છતાં બાપુને એમનું ગુસ્સેલ મોઢું ગમે નહિ. એ કહે કે આ બધું હસતા હસતા જ કરવાનું હોય. આવી દલીલોમાં જિદ્દી ને આદર્શવાદી બાપુએ એકવાર ગુસ્સામાં બાને ઘરની બહાર કાઢી મુક્યા. કહે કે હવે મોઢે હાસ્ય આવે ત્યારે જ મારા ઘરમાં આવજે. પછી તો બા ને બાપુ બેય ભેટીને રડી પડ્યા ને ધીમે ધીમે આ મુદ્દે સુખદ સમાધાન થયું. (અમુકને અહીંયા બાપુ ખોટા લાગશે તો અમુકને બા. પણ જે હકીકત છે એ સ્વીકારવી જ રહી.)
કસ્તુરબાના ભાગ્યમાં એટલું જ સહન કરવાનું જેટલું એ પુરુષ પ્રધાન જમાનાની કોઈ પણ સ્ત્રીએ કર્યું હશે ને હજી આજે પણ એકવીસમી સદીમાં ઘણી સ્ત્રીઓ સહન કરી રહી છે. બાપુ આફ્રિકાથી આવ્યા બાદ એક સરલા દેવી નામની સ્ત્રી તરફ આકર્ષાયા. સરલાદેવી તો ઉચ્ચ શિક્ષિત ને ઝાઝરમાન મહિલા. એ જમાનામાં એકદમ ‘બોલ્ડ’ સ્ત્રી. આ સંબંધોની ચર્ચાઓ પુરજોશમાં બધે ફેલાવા માંડી. રાજગોપાલાચારીને કસ્તુરબા પ્રત્યે બહેન જેવી લાગણી, તે એ તો સીધા બા પાસે આવીને બાને ગુસ્સામાં ગાંધીજી વિરુદ્ધ ફરિયાદ કરવા માંડ્યા. પણ બાએ શાંત મગજે એમને કહ્યું કે “હું મારા પતિને ઓળખું છું, બહુ જ સારી રીતે. મારી પાસેથી એમને જે નથી નથી મળતું એ તેઓ ત્યાં ખોળે છે. પણ હું જાણું છું કે એ બહુ જલ્દી પાછા ફરશે ને મર્યાદાને લાંછન લાગે એવું કોઈ કામ નહિ જ કરે.”
લાગણી તો બન્ને વચ્ચે પહેલેથી પ્રગાઢ હતી જ. પણ વરસોનાં વાયરા જતા પ્રેમનો રંગ એવો ઘેરો બન્યો કે 1920 આસપાસ બાપુ ડિપ્રેશનના શિકાર બન્યા, ઉપરથી એમાં ભગંદરનો રોગ થયો. શારીરિક માનસિક લથડી ગયેલી તબિયતને કારણે ડોક્ટરે ઓપરેશન કરવાની પણ ના પાડી દીધી. ગાય-ભેંસનું દૂધ તો બાપુ પશુઓ પ્રત્યે ડેરીમાં થતા અત્યાચારને કારણે પીતા નહિ. ત્યારે બાએ એમને બકરીનું દૂધ પીવાનું સૂચવ્યું. (ગાંધીજીની બકરી પણ ઇતિહાસનું એક પાનું બની ગઈ એમાં પણ કસ્તુરબાનો જ ફાળો.) બાએ આ લથડેલી પરિસ્થિતિ દરમિયાન બાપુને નાના બાળકની જેમ સાચવ્યા. બાપુએ બાની ડિલિવરી દરમિયાન સેવાઓ કરેલી એનું ઋણ એટલી જ સેવાઓ કરીને બાએ વરસો પછી ચૂકવ્યું. પ્રેમમાં આવા પણ હિસાબો હોય છે એ આજના દંપતિઓએ શીખવા જેવું છે!
પતિને પગલે ચાલીને પણ પોતાની અલગ કેડી કેમ કંડારાય એ પણ કસ્તુરબાએ એ સમયમાં ભારતભરની સ્ત્રીઓને શીખવ્યું. બાપુ વારંવાર જેલમાં જાય, લાંબા કેસો ચાલે, વિરોધીઓ એમને ખોટી રીતે બદનામ કરે… આ બધી તકલીફોનો સામનો કસ્તુરબાએ એક મજબૂત ભારતીય પતિવ્રતા નારીની જેમ કર્યો. બાપુની ગેરહાજરીમાં આંદોલનો પણ સાચવી લે ને, આશ્રમનો વહીવટ પણ! 1942માં ‘હિન્દ છોડો’ લડત વખતે બાપુ જેલમાં ગયા ને પાછળથી બા એ જ લડત માટે જેલમાં પહોંચ્યા. ત્યારે બાપુએ મીઠો કટાક્ષ કરતા કહ્યું કે ” તમને મારૂ ધ્યાન રાખવા માટે જ અહીંયા મોકલ્યા લાગે છે!” બાએ તરત જ છણકો કરતા સણસણતો જવાબ આપ્યો કે ” હું તો મારા દમ પર આંદોલન કરીને અહીંયા પહોંચી છું. તમે ખોટો જશ ન લઈ જાઓ!”
એ વખતે જેલમાં જ કસ્તુરબાની તબિયત લથડી. જેલમાં ડોક્ટરની સારવાર એમને મળી નહિ. અને બહાર આવ્યા પછી પણ મોડું થઈ ગયું હોઈને સુધારો ના આવ્યો. 1944માં એમનું મૃત્યુ થયું ત્યારે સુભાષચંદ્ર બોઝ, જે આજે બાપુના વિરોધી ગણાય છે એમણે કહ્યું કે ” બાનું મૃત્યુ કુદરતી નથી થયું. બાનું તો મર્ડર થયું છે. અંગ્રેજ સરકારે બાપુનું મનોબળ તોડી નાંખવા માટે બાની હત્યા કરી છે…”🙏
(થોડા વર્ષો પહેલા ગાંધીજીના પ્રપૌત્ર અને વિદ્વાન લેખક તુષાર ગાંધીને ‘ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કસ્તુરબાની ડાયરી મળી. એમાં ભાગ્યાં તૂટ્યા ગુજરાતીમાં એમણે દિનચર્યાઓ ને ગાંધીજી માટેની લાગણીઓ લખી છે. ત્યારે લોકોને જાણ થઈ કે મૂળ નિરક્ષર એવા કસ્તુરબા બાપુ પાસેથી ઠીકઠીક લખતા વાંચતા શીખી ગયા હતા. અને પછી તુષાર ગાંધીએ લખ્યું અફલાતૂન પુસ્તક- ધી લોસ્ટ ડાયરીઝ ઓફ કસ્તુર, માય બા…)
Bhagirath Jogia
Disclaimer – All the rights of Article is fully reserved by the respective Owner / Writer. Sarjak never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers.