Sun-Temple-Baanner

સર્પ : આ પૃથ્વી પરનો પ્રથમ યોગી !!!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સર્પ : આ પૃથ્વી પરનો પ્રથમ યોગી !!!


આ પૃથ્વી પર પરિસ્થિતિ અને જરૂરિયાતવશ ક્રમશ: જન્મેલા પ્રાણીઓમાંનું સૌથી છેલ્લું પ્રાણી એટલે ‘માનવ’. ભગવાન, ખુદા, ઇસુ જેવા અનેકાધિક નામોથી ઓળખાતું અને જેને હું કુદરત કહું છું તે અત્યંત કુશાગ્રબુધ્ધિ અને દુરંદેશી ધરાવતું તત્વ હોવું જોઇએ. કારણ માત્ર એટલું કે તેણે આ પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે જરૂરી જાતિઓનું જરૂરી પ્રમાણમાં સર્જન કર્યા બાદ જ માનવ નામના પ્રાણીને રવાના કર્યું . . . ! પૃકૃતિ માતાને ખબર હતી કે માનવ પોતાના સ્વાર્થમાં અને હિતમાં ગમે તેનો ભોગ લઇ લેતા અચકાશે નહીં. અને થયું પણ કંઇક એવું જ . . .

આજે આપણે પર્યાવરણલક્ષી જે કોઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે સઘળી સ્વનિર્મિત જ છે ! હા, આ કડવું સત્ય આપણે સ્વિકારવું જ રહ્યું. ઓઝોન અને અન્ય વાયુઓના સ્તરોને થઇ રહેલું નુકસાન, ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ સમસ્યાઓની માનવજીવન પર થઇ રહેલી અને થનારી નકારાત્મક અસરો માટે માનવ પ્રાણી પોતે જ જવાબદાર છે. તમે કદી કોઇ સિંહને પોતાનું ઘર કે વ્યવસાય સ્થાપવા માટે વૃક્ષ કાપતો જોયો ? તમે કદી કોઇ મગરને માછલીઓ મારવા માટે સ્ફોટક પદાર્થ અથવા ઝેરી રસાયણો વાપરતો સાંભળ્યો છે ? આ બધા ધંધા માનવ નામના અતિ દુષ્ટ પ્રાણીના જ છે . . . !!! ચાલો આપણે આડવાતે ચડી જઇએ તે પૂર્વે મુખ્ય વાતનું અનુસંધાન ફરી જોડી લઇએ. આજે આપણે એક એવા પ્રાણીની ઓળખાણ કરવાની છે જેને માનવેપોતાની સ્મૃતિમાં છે એટલા સમયથી માત્ર નફરત જ કરી છે અને હળાહળ અન્યાય જ કર્યો છે. કદી ડરના લીધે, તો કદી નર્યા અજ્ઞાનના કારણે. સર્પો અંગેનું અજ્ઞાન જ આ નફરતનું મૂળ કારણ છે. કહેવાય છે કે અજ્ઞાન કરતા અધકચરૂ જ્ઞાન ઘાતક હોય છે અનેઆ અધકચરા જ્ઞાનનો ભોગ જો કોઇ બન્યુ હોય તો તે પ્રાણી છે સર્પ. સર્પ પ્રત્યે આપણે હંમેશા દુર્લક્ષ અને નફરત જ સેવ્યાં છે. આ દુર્લક્ષ અને નફરતનું ખરું કારણ માત્ર અજ્ઞાન અને તેમાંથી નિપજતો ડર જ છે. તો ચાલો “તમસો મા જ્યોતિર્ગમય”ને સાચા અર્થમાં કૃતાર્થ કરીને આપણા જીવનના આ અંધારા ખુણાને ઉજ્જ્વળ બનાવીએ.


સર્પનો ઉદ્દભવ 

સુર્યમાંથી પૃથ્વી છુટ્ટી પડ્યા પછી કરોડો વર્ષોની પ્રક્રિયા બાદ પૃથ્વીના ધગધગતા ગોળાનું બહારનું આવરણ ઠંડુ પડવા લાગતા આપણે હાલ જે જમીન પર વસીએ છીએ તે જમીનનું બંધારણ થયું. પૃથ્વીની આસપાસ રહેલા વાયુઓમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતાં પૃથ્વી પર પાણી પણ બન્યું. પૃથ્વી પર રહેલા આ પાણીમાં પૃથ્વીનો સૌ પ્રથમ એકકોષી જીવ જન્મ્યો. ત્યાર બાદ પાણીની અંદર નવિન જીવોની ભરમાર ખડી થઇ ગઇ. વૈજ્ઞાનિકોના એક મત મુજબ પાણીમાંના આ જીવોની સંખ્યા એટલી વધી પડી કે તેમને પાણીમાં જીવવું મુશ્કેલ બની ગયું. બરાબર તે જ સમયે પાણીની બહાર પૃથ્વી પર પ્રાણવાયુ બની ચુક્યો હતો અને બેક્ટેરીયલ જીવોની વસાહતો વિકસીત થઇ ચુકી હતી.

આ ગાળામાં પાણીમાં રહેતા અનેક જીવોમાંના અમુક સહજ વૃત્તિથી પ્રેરાઇને પાણીની બહાર જીવવાની મથામણ કરવા અને અનુકુલન સાધવા માંડ્યા હતા જેમાંના અમુક આજે પણ ઉભયજીવી તરીકે ઓળખાય છે. આ જીવોમાંના અમુક જીવોએ ધીમે ધીમે સંપૂર્ણ પણે જમીન પર રહેવાલાયક શારીરિક અનુકુલન સાધીને પોતાની શરીર-રચનામાં જરૂરી ફેરફારો કરી લીધેલા. આ જીવ સૃષ્ટિ જેમ જેમ વિકસતી ગઇ તેમતેમ જીવ વૈવિધ્ય પણ પાંગરતુ ગયું. આજથી, એટલે કે અંદાજે ૩૦૦૦ લાખ વર્ષો પૂર્વે આ પૃથ્વી પર સરિસૃપોની વિવિધ જાતીઓ અસ્તિત્વમાં આવી. ત્યાર બાદ એટલે કે ડાયનોસોરનો નાશ થયા બાદ અંદાજે ૩૬૦ લાખ વર્ષો પૂર્વે ગરોળીઓ જેવા જીવોમાંથી પરિવર્તિત થઇને સર્પોના નાના સમુહો અસ્તિત્વમાં આવ્યા.

આ સર્પોની વાત પણ કંઇક એવી છે કે પહેલા તો આ પૃથ્વી પર માત્ર વિવિધ પ્રકારની ગરોળીઓ એટલે કે લીઝાર્ડસ જ અસ્તિત્વમાં હતી. આ બધી ગરોળીઓને જે-તે સમયે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અથવા તો જમીનનીસપાટી ઉપર ખોરાકની અછત જેવા કારણોસર જમીનની નીચે ભુગર્ભમાં વસવાટ કરવાની ફરજ પડી. વીતિ રહેલા સમયની સાથે સાથે, આ ગરોળીઓને તેમના નવા પ્રાકૃત્તિક વસવાટ એટલે કે દરોમાં અવર-જવર કરવામાં પોતાના પગ નડતરરૂપ બની ગયાં. આથી આ ગરોળીઓએ પેઢી-દર-પેઢી પોતાના પગને ટૂંકા કરવાની શરૂઆત કરી હશે અને અંતેતેઓના શરીરે આજના જમાનાના સર્પોનું રૂપ ધારણ કર્યું હશે. આ રીતે થયો છે સર્પનો ઉદ્દભવ. હવે તમે જ વિચારો કે સભ્ય સમાજના આ પૃથ્વી પરના ૨૦૧૪ વર્ષોનો જ્ઞાત ઇતિહાસ અને તેની સામે સર્પોનો પૃથ્વી સાથેનો ત્રણસો સાઇઠ (૩૬૦) લાખ વર્ષ પુરાણો નાતો . . . ખેડે તેની જમીનનો ન્યાય માનવે પોતાના માટે તો બનાવ્યો છે પરંતુ આપણા અસ્તિત્વમાં આવ્યાના લાખો વર્ષો પૂર્વેથી આ પૃથ્વી જેનું ઘર છે તેને આપણે સૌ ‘સુસંસ્કૃત’ અને શિક્ષિત લોકો નિર્હેતુક મારી નાંખીને શું અન્યાય કરતાનથી . . . ?


સરિસૃપો તથા સર્પોની જાતિ-પ્રજાતિઓ 

પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં પ્રાણીઓમાં બે પ્રકારના પ્રાણીઓ છે : (૧) કરોડરજ્જુ વગરના અને (૨) કરોડરજ્જુવાળા.

આ કરોડરજ્જુવાળા પ્રાણીઓમાંના સરિસૃપ વર્ગમાં કુલ પાંચ પેટા વર્ગો છે : (૧)કાચબા (૨)મગર (૩)ટુઆટારા (૪) કાચિંડા (૫)સર્પ

હવે એક નજર નાંખીએ આ વિશ્વમાં કુલ કેટલા પ્રકારના સરિસૃપો છે તેના વૈજ્ઞાનિક આંકડાકીય તથ્યો પર.

ક્રમ     સરિસૃપની શ્રેણીઓ

વિશ્વમાં

ભારતમાં

૧. કાચિંડા (Lizard)

૪૬૧૦

૧૫૫

૨. સર્પ (Snake)

૨૯૨૩

૨૭૫

૩. કાચબા (Turtle-Tortoise)

૪૦૦

૩૨

૪. મગર (Crocodile)

૨૩

૫. ટુઆટારા (Tuatara)

કુલ સરિસૃપો

૭૯૫૮

૪૬૫

ઉપર દર્શાવેલા કુલ સરિસૃપોમાંના સર્પની જાતિઓમાં થી ગુજરાતમાં કુલ આઠ કુટુંબો અને૫૭પ્રકારના સર્પ જોવા મળે છે. આ આઠ કુટુંબો અને તેના પ્રકારોમાં નીચે દર્શાવેલા કુટુંબોઅને પ્રકારોનો સમાવેશ થાય છે :

ક. કુટુંબ : એક્રોકોર્ડીડી (Acrochordidae)
૧. કાનસીયો – File Snake

ખ. કુટુંબ : ટાયફ્લોપીડી (Typhlopidae)
૨. અંધ સર્પ, આંધળો સર્પ, બંબોઇ, કૃમિ સર્પ (Common Blind Snake, Common Worm Snake)
૩. ચંચૂ અંધ સર્પ, ચંચૂ કૃમિ સર્પ(Beaked Blind Snake, Beaked Worm Snake)
૪. પાતળો અંધ સર્પ, પાતળો કૃમિ સર્પ(Slender Blind Snake, Slender Worm Snake)

ગ. કુટુંબ : યુરોપ્ટીડાય (Uropdtidae)
૫. ઢાલ પૂચ્છ-ઇલીયોટી (Elliot’s Shield Tail Snake)
૬. ઢાલ પૂચ્છ-બોમ્બે (Bombay Shield Tail Snake, Large Scaled Shield Tail Snake)

ગ. કુટુંબ : બોઇડી (Boidae)
૭. ભંફોડી, દરઘોઇ, ધુણી (Common Sand Boa, Russell’s Earth Boa)
૮. આંધળી ચાકળણ, ડમોઇ કે દમોઇ, ચટકોળ (Red Sand Boa, John’s Earth Boa, Blunt Tailed Sand Boa, Stump Tailed Sand Boa)

ઘ. કુટુંબ : પાયથોનીડાય (Pythonidae)
૯. અજગર (Indian Python, Indian Rock Python)

ચ. કુટુંબ : કોલ્યુબ્રીડી (Colubridae)
૧૦. સામાન્ય વરૂદંતી (Common Wolf Snake)
૧૧. ટપકીલો વરૂદંતી (Spotted Wolf Snake)
૧૨. પટીત વરૂદંતી (Barred Wolf Snake, Shaw’s Wolf Snake)
૧૩. સામાન્ય કુકરી સર્પ(Common Kukri Snake)
૧૪. રેખાંકિત કુકરી, પટીત કુકરી સર્પ(Streaked Kukri Snake, Russell’s Kukri Snake, Veriegated Kukri Snake)
૧૫. રૂપસુંદરી, અલંકૃત સર્પ(Common Trinket Snake)
૧૬. ડુંગરોની રૂપસુંદરી (Montane Trinket Snake)
૧૭. ધામણ, ચિતવાડું, ખેતરીયું (Indian Rat Snake, Dhaman)
૧૮. ચળકતા પેટાળની ધામણ (Glossy Bellied Racer, Gray’s Rat Snake)
૧૯. ઘઉલો- પટીત ધામણ (Banded Racer, Fasciolated Rat Snake)
૨૦. પાતળી ધામણ, સંકીર્ણ ધામણ (Slender Racer Snake)
૨૧. રજવાડી સર્પ, કેવડીયો સર્પ, રજત બંસી સર્પ(Black-headed Royal Snake, Daidem Snake)
૨૨. સુંવાળો સર્પ(Indian Smooth Snake)
૨૩. તાંબાપીઠ, તામ્રપૃષ્ઠ સર્પ, લાલ ધામણ (Common Bronzeback Tree Snake, Common Tree Snake)
૨૪. સોનેરી ઉડકણો સર્પ, ઉડકણો સર્પ, ઉડતો સર્પ(Ornate Flying Snake, Golden Tree Snake, Gliding Snake)
૨૫. શ્યામ શિર સર્પ (Dumeril’sBlack Headed Snake)
૨૬. ડેંડવું, ડેંડુ, ડેંડવાળુ, હરેડું, જળ સર્પ, મીઠા પાણીનો સર્પ(Checkered Keelback, Common Water Snake)
૨૭. લીલવો, લીલુ ડેંડુ, લીલો સર્પ(Green Keelback)
૨૮. પીળા પટ્ટાવાળો સર્પ, પીત પટીત સર્પ(Striped Keelback, Buff Striped Keelback)
૨૯. બિલ્લી સર્પ, કોડિયો સર્પ, મીંદડીયો (Common Cat Snake, Indian Gamma Snake)
૩૦. બિલ્લી સર્પ (બેડોમ) (Beddome’s Cat Snake)
૩૧. બિલ્લી સર્પ (ફોરેસ્ટન) (Foreston’s Cat Snake)
૩૨. રેતીયો સર્પ (કોન્ડેનરસ) (Condanarus Sand Snake)
૩૩. રેતીયો સર્પ(Common Sand Snake, Stout Sand Snake)
૩૪. પટીત રેતીયો સર્પ(Leith’s Sand Snake, Indian Ribbon Snake)
૩૫. લીલવણ, લીલી માળણ, લીલો વેલીયો સર્પ(Common Green Vine Snake, Common Green Whip Snake)
૩૬. શ્વાનમુખી જળસર્પ, શ્વાનમુખી ડેંડુ (Dog-faced Water Snake)
૩૭. કળણનો સર્પ, કીચડીયો, કાદવનો સર્પ(Glossy Marsh Snake)
૩૮. ઇંડાખાઉ સર્પ(Indian Egg Eater, Egg Eating Snake)

છ. કુટુંબ : ઇલાપીડી (Elapidae)
૩૯. કાળોતરો, મણિયાર,સર્પણ, કોડીયારી સર્પણ (ઝેરી) (Common Krait)
૪૦. સિંધનો કાળોતરો (ઝેરી) (Wall’s Sind Krait)
૪૧. પાતળો પ્રવાળ સર્પ(ઝેરી) (Slender Coral Snake)
૪૨. પટીત પ્રવાળ સર્પ(ઝેરી) (Striped Coral Snake)
૪૩. દ્વિચશ્મી નાગ, નાગ (ઝેરી) (Spectacled Cobra, BinocellateCobra)
દરિયાઇ સર્પો
૪૪. જર્ડનનો સર્પ(ઝેરી)(Jerdon’s Sea Snake, Common Sea Snake)
૪૫. ચંચુ દરિયાઇ સર્પ, ચાંચીયો દરિયાઇ સર્પ(ઝેરી)(Hook-nosed Sea Snake, Beaked Sea Snake)
૪૬. બંગડીયો દરિયાઇ સર્પ(ઝેરી)(Annulated Sea Snake, Blue-banded Sea Snake)
૪૭. કોચીનનો દરિયાઇ સર્પ(ઝેરી)(Cochin Banded Sea Snake, Ornate Sea Snake)
૪૮. મલાબાર દરિયાઇ સર્પ(ઝેરી)(Short Sea Snake, Shaw’s Sea Snake)
૪૯. પીળા પેટાળવાળો દરિયાઇ સર્પ(ઝેરી)(Yellow-bellied Sea Snake, Flat- tail Sea Snake)
૫૦. પીળો દરિયાઇ સર્પ(ઝેરી)(Yellow Sea Snake)
૫૧. કાળા માથાનો દરિયાઇ સર્પ(ઝેરી)(Black Headed Sea Snake, Persian Gulf Sea Snake)
૫૨. બોમ્બે દરિયાઇ સર્પ(ઝેરી)(Bombay Gulf Sea Snake, Broad-banded Sea Snake)
૫૩. સાંકડા માથાનો દરિયાઇ સર્પ(ઝેરી)(Common Narrow-headed Sea Snake)
૫૪. કેન્ટરનો સાંકડા માથાનો દરિયાઇ સર્પ(ઝેરી)(Cantor’s Narrow-headed Sea Snake)

જ. કુટુંબ : વાઇપેરીડી
૫૫. ખડચીતળ, કામળીયો, પરળ, ધોણસ, ચીતળો (ઝેરી)(Russell’s Viper, Chain Viper)
૫૬. ફુરસો, પૈડકું, ફોડચું (ઝેરી)(Saw Scaled Viper)
૫૭. લીલો ખડચીતળ, લીલો ચીતળ, વાંસનો ચીતળ, વાંસણીયો (ઝેરી) (Bamboo Pit Viper, Asian Lance-headed Viper, Green Pit Viper)


સર્પની ઝેર બનાવવાની પ્રક્રિયા તથા ઉપયોગિતા

સર્પોને અન્યાય કરવા માટે જવાબદાર જો કોઇ બાબત હોય તો તે તેનું ઝેર છે. માનવને બાળપણથી જ એક વાત દિમાગમાં ઠસાવી દેવામાં આવે છે કે સર્પ કરડે એટલે મરી જ જવાય. ખરેખર હકીકત તો એવી છે કે ગુજરાતમાં જોવા મળતા કુલ ૫૭ જાતિઓના સર્પોમાંથી માનવ માટે જોખમી કહેવાય એવા તો માત્ર ચાર જ છે. જેને સર્પ પ્રેમીઓ અને સર્પ વૈજ્ઞાનિકો “બિગ ફોર” તરીકે ઓળખે છે. આ ચાર સાપોમાંના બે ઇલાપીડી કુટુંબના ૧) નાગ અને ૨) કાળોતરો છે અને વીઇપેરીડી કુટુંબના બે ૧) ખડચીતળો અને ૨) ફુરસો છે. બાકી અન્ય બે ઝેરી સર્પોની જાતિ પણ છે. લીલો ખડચીતળ અને પ્રવાળ સર્પ,આ બન્ને માનવ માટે ઝેરી ગણવામાં આવતા નથી કે પછી આ બન્ને સાપોના દંશથી કોઇ મૃત્યુ થયાનો રેકોર્ડ પણ નોંધાયો નથી. આમ સાપોની કુલ ૫૭ જાતિઓમાંથી ગુજરાતમાં માનવ માટે ઘાતક કહી શકાય તેવી માત્ર ૪ જ જાતિઓ છે. આ પ્રમાણ અંદાજે કુલ સાપોના ૩% જેટલું ગણાય. તેમ છતાં માનવ મનમાં સર્પદંશની એટલી દહેશત ઉભી કરી દેવામાં આવી છે કે આ દહેશત અને સર્પો અંગેનું અજ્ઞાન માનવીઓને સર્પોનો અવિચારી સંહાર કરવા પ્રેરે છે.

માનવને જેમ ચાવીને ખાવાની સુવિધા છે તેમ સર્પને ચાવીને ખાવાની સુવિધા નથી. માણસના મોંમા જેમ એક પાચક લાળ ઝરતી હોય છે તેવી જ રીતે સર્પની અમુક જાતિઓએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ખોરાકને સરળતાથી પચાવવા માટે તથા પોતાના બચાવ માટે શરીરમાં એક અલગથી ઝેર બનાવવાનું કારખનું એટલેકે ઝેરની કોથળી નામનું અંગ વિકસીત કર્યું છે, જેનું કાર્ય માત્ર ઝેરનું ઉત્પાદન કરવાનું છે. આ કોથળી એટલે કે “પોઇઝન ગ્લેન્ડ” બે નળીઓથી “પોઇઝન ફેન્ગ” તરીકે ઓળખાતા ઝેરના દાંત સાથે જોડાયેલી હોય છે. આ બન્ને દાંત પોલા અથવા ખાંચા વાળા હોય છે. જ્યારે સર્પ પોતાના શિકાર અથવા પોતાના શિકારીને કરડે છે ત્યારે આ દાંતમાંથી ઝેર શિકાર અથવા હુમલાખોરના શરીરમાં જાય છે. આ ઝેર સર્પ પર હુમલો કરનારને પીડા આપીને તેનું ધ્યાન ફંટાવે છે અને શિકારના શરીરમાં જો જાય તો તે શિકારને મારી અને સડાવી નાંખે છે. આમ શિકાર કાંતો બેહોશ થાય અથવા મૃત્યુ પામે, ત્યાર બાદ સર્પ શિકારને ગળી જાય છે.

સર્પનું ઝેર શિકારના પાચનમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે પણ એક સમજવા જેવી બાબત છે. સર્પનું ઝેર અતિશુદ્ધ પ્રોટિન્સ અને એન્ઝાઇમ્સનું બનેલું હોય છે. ૯૦% પ્રોટિન્સ અને ૧૦% મેટલીક આયર્ન તથા એન્ઝાઇમ્સનું બનેલું ઝેર જ્યારે કોઇ જીવતા શરીરની રૂધિરાભિસરણ પદ્ધતિમાં દાખલ થાય છે ત્યારે તે શરીરની લોહી-વહન કરતી નળીઓ, કોષો, ચેતાતંત્ર અથવા તો સીધું હૃદય ઇત્યાદિ જેવી મહત્વની પ્રણાલીઓ પર હુમલો કરીને શિકાર અથવા તેના પર હુમલો કરનારનું મૃત્યુ નિપજાવે છે. શિકારના શરીરને ચાવીને ખાવાની સુવિધાનો અભાવ હોવાથી તેને પચાવવા માટે તે શિકારના શરીરને સડાવવાની પ્રક્રિયાને ઝેર ખુબ જ ઝડપી બનાવે છે. આમ શિકારના શરીરને સર્પ ખરેખર જ્યારે ગળતો હોય ત્યારે તેના જ પાચનની પ્રક્રિયા તો શિકારના શરીરમાં જ શરૂ થઇ ગઇ હોય છે. ભારતમાં વિવિધ ઝેરી સર્પોમાં કુલ ચાર પ્રકારનું ઝેર તથા ગુજરાતમાં જોવા મળતા ઝેરી

સર્પોમાં બે પ્રકારનું ઝેર જોવા મળે છે જે નીચે મુજબ છે.
૧. ન્યુરો ટોક્સિક, (ગુજરાતમાં નાગ અને કાળોતરો) અને
૨. હીમોટોક્સિક (ગુજરાતમાં ખડચીતળો અને ફુરસો).
૩. સાયટોટોક્સિક (બેન્ડેડ ક્રેટ, ગુજરાતમાં નથી)
૪. કાર્ડીયોટોક્સિક (ગુજરાતમાં નથી)

ન્યુરો ટોક્સિક ઝેર માનવ કે સર્પના શિકારની નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર પર હુમલો કરીને સમગ્ર ચેતાતંત્રને ખોરવી નાંખે છે જ્યારે હીમોટોક્સિક તથા સાયટોટોક્સિક ઝેર માનવ કે તેના શિકારના રૂધિરાભિસરણ તંત્ર અને માંસ-પેશીઓ, રક્તકણો અને કોષિકાઓ પર હુમલો કરીને લોહીની નસો ફાડી નાંખે છે તથા કોષિકાઓને સડાવીને ભયંકર નુકસાન પહોંચાડે છે. કાર્ડીયોટોક્સિક ઝેર માનવના હૃદય પર હુમલો કરે છે.


પ્રજનન

વસંત ઋતુમાં સર્પ શિયાળાની પોતાની શિત સમાધિમાંથી બહાર આવે છે. ત્યારબાદ ઉનાળાના અંતભાગ અને ચોમાસાની શરૂઆતમાં તેમનો પ્રજનન કરવાનો તથા ઇંડામુકવાનો ગાળો હોય છે. તો પછી પ્રજનન અને બચ્ચા બહાર આવવાનો ગાળો ચોમાસુ જ કેમ ? આમાં પણ કુદરતે તેમને એક સુંદર સુવિધા કરી આપી છે. ચોમાસામાં થયેલા પ્રજનન અને ઇંડા કે સીધા બચ્ચા મુકવાથી જન્મેલા બચ્ચાને ચોમાસા દરમિયાન નાના દેડકાં, ઉંદર, જીવડા, ગરોળીઓ મળી રહે છે અને આમ બચ્ચાઓને ઝડપથી વિકાસ કરવાની અને શક્તિ પ્રાપ્ત કરવાની સમાન તક મળી રહે છે. ખરે જ કુદરત મહાન છે. દરેક સર્પ ઇંડા જ મુકે એવું પણ નથી સર્પ પણ પોતાના બચ્ચા બે રીત મુકતા જણાય છે.

૧. ઇંડા જણતા સર્પને અંડજ એટલે કે Oviparous કહેવાય છે. ઉ.ત. ધામણ, અજગર, નાગ વિ.
૨. સીધા બચ્ચાં જણતા સર્પને જરાયુજ એટલે કે Viviparous કહેવાય છે. ઉ.ત.ફુરસો, ખડચીતળો, ચાકળણ અને મોટા ભાગના દરિયાઇ સર્પ.


સર્પની કાંચળી ઉતારવાની પ્રક્રિયા

સર્પ એક એવું પ્રાણી છે કે જેને કુદરતે ઘણી શારીરિક ઉણપો આપી છે. જેવી કે સર્પ લગભગ બહેરો હોય છે, તેની સુંઘવાની પ્રક્રિયા વિચિત્ર હોય છે. સાપ નાકથી નહી પરંતુ હવામાંથી ગંધના કણોને પોતાની જીભ વડે પકડીને પોતાના મોં માં તાળવામાં રહેલા જેકબ્સન્સ ઓર્ગન સુધી પહોંચાડે છે અને તે ઓર્ગન થકી સાપ ગંધ પારખે છે. આવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે સાપ કાંચળી ઉતારે છે પરંતુ આપણે એ વાત નથી જાણતા કે તે કાંચળી શા માટે ઉતારે છે. સાપની કાંચળીને હિન્દુ ધર્મમાં મહત્વનું સ્થાન આપવામાં અવ્યું છે. હિન્દુ ધર્મની માન્યતા એવી છે કે આ પૃથ્વી પર માત્ર બે પ્રાણીઓના નર જ સંપૂર્ણ નર હોય છે. એક તો ઘોડો અને બીજો સર્પ. હિન્દુ ધર્મની માન્યતા મુજબ નાગ જાતીના સર્પની કાંચળી શુભ મનાય છે. તેના બે કારણો છે કે નાગ એ શિવજીનું ઘરેણું છે અને બીજું કારણ તે સંપૂર્ણ નર છે. નાગની અખંડ કાંચળીને ઘરમાં મંદીરમાં રાખીને તેની પણ પૂજા આરતી કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને સમૃદ્ધિ વધે એવી માન્યતા છે. આ બધી ધાર્મિક શ્રદ્ધા અથવા અંધ શ્રદ્ધાઓ છે. સાપની કાંચળી ઉતારવાની પ્રક્રિયા ખુબ જ જટીલ અને સમજવા જેવી છે. સર્પ ઇંડામાંથી બહાર નિકળે ત્યારે તેના શરીરની લંબાઇ જેટલી ભિંગડાયુક્ત ચામડીનું આવરણ હોય છે. સર્પનું શરીર વિકાસશીલ હોય છે જ્યારે ભિંગડાયુક્ત ચામડીનું આ આવરણ વિકાસ પામતું નથી. આમ સર્પ પોતના શૈશવકાળમાં તથા સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પોતાના શરીરનો વિકાસ કરતો હોય છે.શૈશવકાળથી લઇને આશરે દરેક ચાર મહિને એક સમય એવો આવે કે તેનું શરીર તેને મળેલા ભિંગડાયુક્ત આવરણમાં સમાઇ શકે નહી તેટલું મોટું થતું જાય. આ સમયે સર્પની શરીર રચનાની જેનેટિક ડિઝાઇન મુજબ તેના શરીર ઉપર તેના વિકસેલા શરીરના માપનું એક નવું ભિંગડાયુક્ત આવરણ બનવા લાગે છે. જુનું આવરણ હોય તે પાતળું થઇને નીકળી જાય છે જેને આપણે “કાંચળી” નામ આપ્યું છે. આમ હિન્દુ માન્યતા મુજબ સર્પ દરેક કાંચળી ઉતારવાની સાથે સાથે સતત નવજીવન પામ્યા કરતો હોય છે. સર્પ કાંચળી ઉતારતો હોય તે ઘટનાના આપ જો સક્ષી બન્યા હો તો ખરેખર એવું લાગે કે સર્પે જાણે નવો જન્મ લીધો. કાંચળી ઉતારવાની પ્રક્રીયા સર્પ માટે ખરેખર ખુબજ પીડાદાયક હોય છે.
સર્પદંશ અને તેની પ્રાથમિક સારવાર

જ્યારે કોઇ પણ વ્યક્તિને સર્પદંશ થાય ત્યારે આજુબાજુમાં તમાશો જોવા વાળા લોકોની ભીડ એકઠી થઇ જતી હોય છે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે ટોળાને સ્વતંત્ર વિચાર શક્તિ હોતી નથી. ટોળું જ્યારે આવા કોઇ પણ સમયે એકઠું થયું હોય ત્યારે દરદીના લાભાર્થે જાત-ભાતના સૂચનો અને સલાહોની તો જાણે ગંગા જ વહેવા માંડે છે. આમાંનાં મોટા ભાગના લોકો દંશનો ભોગ બનેલા વ્યક્તિના હિતમાં પોતાના જ્ઞાનનું ભાથું ખોલતા હોય છે પરંતુ આ બધામાં જાણે-અજાણે દર્દી મોતની વધુને વધુ નજીક જઇ રહ્યો છે તે મુદ્દો વિસરાઇ જતો હોય છે. તો ચાલો સર્પદંશના કિસ્સામાં ધ્યાનમાં લેવાની બાબતો પર પણ એક દૃષ્ટિપાત કરી લઇએ.

૧. જેને સર્પદંશ થયો હોય તે વ્યક્તિ સામાન્ય રીતે જાણતી હોતી નથી કે તેને જે સર્પે દંશ કર્યો છે તે ઝેરી છે કે બિન-ઝેરી છે તેથી તે વ્યક્તિએ સૌપ્રથમ તો ગભરાવું જોઇએ નહીં. કારણ કે જો ગભરાય તો બ્લડ પ્રેસર વધે અને તેમ થતાં ઝેર શરીરમાં વધુ ઝડપથી ફેલાશે. આમ સર્પદંશના કિસ્સામાં માનસીક સ્વસ્થતા સૌથી અગત્યનો રામબાણ ઇલાજ છે.

૨. દંશ થયા બાદ સૌ પ્રથમ ઘાવમાંથી જો લોહી વહેતું હોય તો વહેવા દેવું પરંતુ દંશના નિશાન પર ચોખ્ખા પાણીની ધાર કરવી અને લોહીના પ્રવાહને અટકાવવો નહીં કે વધુ લોહી નીકળે તેવા પ્રયત્નો કરવા નહીં. જુની માન્યતા મુજબ કોઇ પણ તિક્ષ્ણ વસ્તુથી દંશ પર કાપો મુકવો નહીં કે પછી તે અંગ કાપી નાખવું નહી. કારણ કે એમ કરવાથી સર્પનું વિષ જો હીમોટોક્સિક હશે તો વધુ પડતું લોહી વહી જવાનો ભય રહે છે તથા ગેંગ્રીન અથવા ધનુર થવાનો ભય રહે છે.

૩. દંશ થયેલી વ્યક્તિને હલન ચલન ન કરવા દેતાં તેને કોઇ પણ વાહન પર નજીકના સરકારી દવાખાને પહોંચાડવી તથા ત્યાંના ડૉક્ટર સલાહ આપે તો નજીકના જીલ્લા મથકની સિવીલ હોસ્પિટલ પહોંચાડવી. સરકારી દવાખાનાઓમાં સર્પ-દંશ વિરોધી રસી વિનામુલ્યે ઉપલબ્ધ હોય છે. આ રસી જાહેર બજારમાં ખુબ જ મોંઘી વેચાતી હોય છે.

૪. સરકારી હોસ્પિટલ જો ખુબ જ દુર હોય અને ત્યાં પહોંચવામાં જો વાર લાગે તો શરીરના જે ભાગ પર દંશ થયો હોય તે અંગ પર એક વહેંત હૃદય તરફ જતા જોઇન્ટ એટલે કે સાંધા પર એક ચોખ્ખા કપડાના ટૂકડાનો પાટો બાંધવો. આ પાટો એટલો ચુસ્ત ન હોવો જોઇએ કે જેનાથી રક્ત પ્રવાહ સાવ અટકી જાય પરંતુ રક્ત પ્રવાહને ધીમો કરવાનો છે જેથી ઝેર ઓછુ ફેલાય. દર પાંચ મીનિટે આ પાટાને બે મીનિટ માટે ઢીલો કરી ફરી બાંધી દેવો. જેથી શરીરના જે-તે અંગમાં ગેંગ્રીન શરૂ થઇ શકે નહીં.

૫. હોસ્પિટલ પહોંચતા સુધી દર્દીને કોઇ કેફી પીણું, દવા આપવી નહી. શક્ય હોય તો પાણી પણ માત્ર ગળું સુકાય નહી તેટલું એકાદ વાર જ આપવું. દર્દીને સુવા પણ ન દેવો. દર્દીની ચિંતા અને તનાવ વધે નહી તેવું વાતાવરણ રાખવું. દવાખાને પહોંચ્યા બાદ ડૉક્ટરની તમામ સલાહોનું પાલન કરવું અને ડૉક્ટરો પર કોઇ પણ પ્રકારનો દબાવ ઉભો કરવો નહી. જો શક્ય હોય તો સર્પને દવાખાને સાથે લઇ જવો જેથી ડૉક્ટરોને ઝેરના પ્રકારનો ખ્યાલ આવે તથા તે મુજબ તે અનુસાર દર્દીની સારવાર ઝડપી કરી શકાય. ડૉક્ટર જો આ સાપને ઓળખી ના શકે તો જે-તે વિસ્તારના સર્પ તજજ્ઞને બોલાવીને સર્પના વિષ અંગે ડૉક્ટરને માહિતગાર કરવાં.


સર્પ- આ પૃથ્વી પરનો સૌ પ્રથમ “યોગી”

બાળપણમાં શિયાળામાં શાળાએ જતાં રસ્તામાં આવતા મોટા મોટા પથ્થરા અમે ઉંચકાવતા અને કોઇ કોઇ પથ્થરની નીચેથી દેડકાં મળી આવતાં. ત્યારે અમને એવું લાગતું કે આ દેડકાં મરેલાં છે. પરંતુ દશમા ધોરણમાં જ્યારે જીવવિજ્ઞાનમાં સરિસૃપોની “શીત-સમાધી” એટલે કે હાઇબરનેશન પ્રક્રિયા વિષે જાણ્યું ત્યારે સમજાયું કે તે બધાં દેડકાં મરેલાં નહોતાં . . . પણ અમે તેમને બહાર કાઢ્યા પછી કદાચ તેઓ મૃત્યુ પામ્યા હોય ! સર્પ એક સરિસૃપ વર્ગનું પ્રાણી હોવાથી તે પણ અન્ય સરિસૃપોની માફક શીત રૂધિર વાળું પ્રાણી છે. શિત રૂધિર હોવું એટલે કે જે પ્રાણી પોતાના શરીરના તાપમાનને સ્વયં નિયંત્રણમાં રાખીને જરૂર મુજબ ગરમ કે ઠંડુ ન કરી શકતું હોય તે તમામ પ્રાણીઓ શીત રૂધિર વાળા પ્રાણીઓ કહેવાય.

માનવ શરીર પોતાના શરીરનું તાપમાન પસીનાથી તથા શુક્રપીંડ દ્વારા શરીરમાં ફરતા રૂધિરનું તાપમાન યોગ્ય માત્રામાં જાળવી રાખે છે. સર્પના શરીરમાં પસીનાની કે શુક્રપીંડ થકી રૂધિરને ઠંડુ કરવાની સુવિધાના અભાવેતેને પોતાના શરીરના તાપમાનને જાળવી રાખવા માટે બાહ્ય પરિબળો પર આધાર રાખવો પડે છે. આનો મતલબ એવો થાય કે ઉનાળામાં સર્પને પોતાના રક્તને ઠંડુ રાખવા બાહ્ય ઠંડકથી શરીરને ઠંડુ રાખવું પડે. તેથી જ ઉનાળા દરમિયાન તમને સર્પ અંધારા ભંડકીયામાં, જ્યાં ભેજ વધુ હોય અથવા તો પાણીનો છંટકાવ કરવામાં આવેલા છોડવાઓના ક્યારામાં લાંબો થઇને પડેલો જોવા મળશે. આ જ પ્રક્રિયા શિયાળામાં ઉલટી થઇ જાય. જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધતું ચાલે તેમ તેમ સાપ દેખાતા બંધ થઇ જાય છે.

તમામ સર્પોના જીન્સમાં એક ટાઇમ ટેબલ અને એક ઘડિયાળ ગોઠવાયેલા હોય છે અને જેમ જેમ શીયાળો નજીક આવતો જાય તેમ તેમ તેઓ છુપાવાની એવી જગ્યા શોધી લેતા હોય છે કે જ્યાં શિયાળાના આગામી ચાર માસ દરમિયાન તેઓને કોઇ ખલેલ ન પહોંચે અને એકજ બંધિયાર જગ્યા પર તેઓ પડી રહીને પોતાના શરીરનું તાપમાન જાળવી રાખી શકે જેથી તેમનું રૂધિર ઠરીને વહેતું બંધ ન થઇ જાય. મેં બે-ત્રણ વાર ખુલ્લામાં કોઇ વસ્તુ નીચે ફસાઇ ગયેલી ધામણોનું નીરિક્ષણ કર્યું છે. આ ધામણોનું શરીર રબ્બર જેવું થઇ ગયું હોય અને તેને પુંછડીથી પકડીને ઉલ્ટી લટકાવો તો તેના મોંમાંથી પાણી અને રૂધિર અલગ અલગ નીકળી આવે છે. આમ શિયાળામાં સર્પ જો પોતાનું તાપમાન જાળવી શકે નહી તો તેનું લોહી ઠરી અને ઘટ્ટ થઇ જાય છે.

હવે એ મુદ્દો ઉઠે છે કે આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને અને સાપના યોગી હોવાપણાને શું સંબંધ હોઇ શકે ? ઉંટની માફક સર્પ પણ શિયાળામાં શિત-સમાધીમાં જતા પૂર્વે એટલે કે ચોમાસામાં પુષ્કળ માત્રામાં ખોરાક મેળવીને શરીરમાં ચરબીના થરો જમા કરી લેતો હોય છે. શિયાળામાં ઠંડીની બીકના કારણે સર્પ અંદાજે શિયાળાના ચાર મહિના એક જગ્યા પર બેસી રહેતો હોય છે. આ ગાળામાં તે બને તેટલું ઓછું હલન ચલન કરે છે. તેણે ચોમાસામાં એકઠી કરેલી ચરબીમાંથી સર્પને શરીર માટે જરૂરી જીવનચાલક ઉર્જા મળી રહેતી હોય છે. હવે વાત આવે છે શરીરના ઉર્જા વપરાશની. શરીરની કોઇ પણ પ્રક્રિયા ઉર્જા બાળે છે, પછી ભલે તે શ્વાચ્છોસ્વાસ કેમ ન હોય. કોઇ પણ શરીરની શ્વાચ્છોસ્વાસની પ્રક્રિયા થકી પણ શરીરની વાઇટલ એનર્જીનો વપરાશ થતો હોય છે. દરેક શરીરની શ્વસન પ્રક્રિયામાં ફેફસાં દ્વારા પ્રાણવાયુ તેના લોહીમાં ભળતો હોય છે. અને આ લોહી શરીરના છેક છેવાડે આવેલા કોષો સુધી પ્રાણવાયુ પહોંચાડે છે અને તે રીતે આ કોષો જીવંત રહે છે. રુધિરાભીસરણ પ્રક્રિયા પાછળ પણ સારી એવી ઉર્જાની ખપત થાતી હોવાથી સર્પોએ અંતર્સ્ફુરણાથી જ પોતાના હૃદયના ધબકારા ઓછા કરતાં તથા તેના થકી રુધિરાભિસરણ પ્રક્રિયાને પણ ધીમી કરી નાંખવાનો પ્રાણાયમનો યોગ સહજ પણે સિદ્ધ કર્યો છે. આમ હ્રદયના ધબકારા ધીમા કરીને રક્ત-દબાણ ઓછું કર્યું અને તેના કારણે તેને શ્વસન પ્રક્રિયા પણ ધીમી થવાથી શરીરમાં સંચીત ઉર્જાને તેઓ ચાર-ચાર માસ જેટલો લાંબો સમય ભોજન-પાણી વિના જ તેઓ શિયાળાના આ કપરો સમયગાળો હેમખેમ પસાર કરી નાંખતા હોય છે.

હવે તમે એક તરફ એમ કહો છો કે તમે, એટલે કે સભ્ય સમાજ, ખુબજ બુદ્ધિશાળી પ્રાણીઓનો બનેલો છે પરંતુ આ લેખ વાંચ્યા બાદ પોતાના જ હૃદય પર હાથ રાખીને જાતને માત્ર એક જ પ્રશ્ન પુછો… “શું ખરેખર આપણે શિક્ષિત અને સુસંસ્કૃત છીએ ખરા…? કારણ કે આ બન્ને ગુણોમાંનો એક પણ ગુણનો આપણને સૌને જો સાક્ષાત્કાર થયો હોત તો કુદરતના કરિશ્મા જેવા આ જીવને આપણે આટલું ધિક્કારી શકીએ ખરાં ? ના બોસ ના… આપણે સૌ પેલી જુની ઉક્તિ જેવા છીએ… ભણ્યા ખારાં, પણ ગણ્યાં નથી…! કદાચ આપના છુપા અહમને જો ઠેસ પહોંચી હોય તો આ ક્ષુદ્ર ‘હોમો સેપિયન્સ સેપિયન્સ’ને માફ કરી દેજો.
આભાર.

— ધર્મેન્દ્ર ત્રિવેદી
તારીખ : ૨-૧૨-૨૦૧૧

* વૈજ્ઞાનિક માહિતિઓ સર્પસંદર્ભ તથે અન્ય પુસ્તકોમાંથી.


લેખક પરિચય : ધર્મેન્દ્ર ત્રિવેદી

• અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક.
• ગુજરાત વિધાન સભામાં ૧૯૯૧ થી ભાષાંતરકાર.
• લેખન, વાંચન અને ચિંતન.
• પર્વતારોહણ, વન-પરિભ્રમણ.
• છેલ્લા ૨૦ વર્ષોથી ગાંધીનગરમાં સર્પ બચાવ કરે છે.
• સન. ૨૦૦૩ના ગાળામાં ગાંધીનગરમાં “સ્નેક લવર્સ ક્લબ”ની સ્થાપના કરી.
• છેલ્લાં પાંચેક વર્ષથી ગાંધીનગરના ચૂંટેલા યુવાનોને સર્પ બચાવની વૈજ્ઞાનિક તાલિમ આપીને તેમને સર્પ બચાવના સેવા યજ્ઞમાં સાંકળી લીધા છે.
• ધર્મેન્દ્ર ત્રિવેદીએ રાજસ્થાન રાજ્યના વન વિભાગના ડુંગરપુર વર્તુળના ચાર સેવાકર્મીઓને માત્ર ચાર જેટલા દિવસમાં તાલિમ આપીને તેમના વિસ્તારમાં સર્પ બચાવની કામગીરી કરી શકે તેટલા બાહોશ બનાવી દીધા હતાં તથા આ ચાર વન કર્મચારીઓમાંના એકને તો કુવામાંથી સર્પ બચાવવા બદલ ડુંગરપુરના કલેક્ટરે સન્માન પણ કર્યું હતું.
• છેલ્લે ઓક્ટોબર-૨૦૧૧ માસના અંતમાં માઉન્ટ આબુ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓના ૨૦ જેટલા ચુનંદા અધિકારીઓને ૧૦ દિવસ જેટલી સર્પ અંગેની એક સઘન તાલીમ આપતા કાર્યક્રમનું સફળ સંચાલન પણ કર્યું છે.
• સ્નેક લવર્સ ક્લબનું સુત્ર છે “Don’t Kill, Just Call”

સંપર્ક :
• સેલ ફોન : ૯૯૦૯૯૧૮૫૬૯૪
• ઇ-મેઇલ : djtrivedi@yaho.com

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

One response to “સર્પ : આ પૃથ્વી પરનો પ્રથમ યોગી !!!”

  1. Dorian Fazzinga Avatar

    Sweet site, super style and design, really clean and employ genial.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.