✔ કેમ ૮૩૦૦૦ કે ૮૪૦૦૧ , ૮૪૦૦૫ કે ૮૫૦૦૦ સ્તુપો નહીં અને ૮૪૦૦૦ જ સ્તુપો જ કેમ ?
તો જાણી લો એની સચ્ચાઈ –
✔ “મહાવંશ”માં સ્તૂપોની કથા આ પ્રમાણે આપવામાં આવી છે. ૮૪૦૦૦ સ્તુપોની સચ્ચાઈ…
✔ સમ્રાટ અશોકે આચાર્ય મોગ્ગુલ્લિપુત્ત તિસ્સને પ્રશ્ન કર્યો કે ભગવાન બુદ્ધનો ધર્મ કેટલો વ્યાપક છે?
મોગ્ગુલ્લિપુત્ત તિસ્સે જણાવ્યું કે બુદ્ધ ધર્મના ૮૪૦૦૦ ખંડ છે.
ત્યારે સમ્રાટ અશોકે પ્રતિજ્ઞા લીધી કે — તે દરેક ધર્મખંડમાં એક એક સ્તૂપનું નિર્માણ કરાવશે અને તે અનુસાર તેમણે ૮૪૦૦૦ સ્તૂપોનું નિર્માણ કરાવ્યું.
✔ફાહ્યાન નોંધે છે કે –
સમ્રાટ અશોકે આઠ સ્તૂપોનો નાશ નાશ કરીને તેને બદલે ૮૪૦૦૦ સ્તૂપ બંધાવ્યા. કેમ કે માનવદેહનાં અસ્થિ ૮૪,૦૦૦ અણુનાં બનેલાં છે. ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા ત્યારે તેમનાં અસ્થિ આઠ હકદારોને વહેંચી આપવામાં આવેલાં ને તે દરેકે તેના પર એક એક સ્તૂપ ચણાવેલો. એ પૈકી હાલ નેપાળની સરહદ પર પિપ્રાવાનાં અવશેષ હાથ લાગ્યાં છે.
✔ પરંતુ “દિવ્યાવદાન”માં આપેલી અનુકાલીન અનુશ્રુતિ જણાવે છે કે અશોકે એ આઠમાંના સાત સ્તૂપ ખોલાવી નાંખી તેમાંના અસ્થિ પોતે બંધાવેલા હજારો સ્તૂપોમાં વહેંચી દીધેલાં. એક સ્તૂપને નાગલોકોએ બચાવી લીધેલો. આગળ જતાં ફાહ્યાને પણ આ અનુશ્રુતિ નોંધી છે.
✔ બુદ્ધઘોષ વળી જરા જુદી વાત કરે છે. તે જણાવે છે કે — ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી વીસ વર્ષે મહાકશ્યપની સલાહથી રાજા અજાતશત્રુએ એ સર્વે સ્તૂપોને ખોલાવી તેમાંનાં અસ્થિ કાઢી લીધાં ને એ બરાબર જળવાઈ રહે એ હેતુથી તેને ખાસ બંધાવેલા ભૂગર્ભખંડમાં તેને પધરાવ્યાં. અશોકને પેલા સાત સ્તૂપોમાં અસ્થિ ણ મળ્યાં ત્યારે તેણે આ સ્થળને શોધીને બહાર કાઢ્યા અને પોતે બંધાવેલા ૮૪૦૦૦ સ્તૂપોમાં પધરાવ્યાં.
✔ આ સર્વ અનુશ્રુતિઓ અનુકાલીન તથા સાંપ્રદાયિક છે. એમાં કંઈ ઐતિહાસિક તથ્ય રહેલું હોય તો પણ આંકડાની સ્પષ્ટ અતિશયોક્તિ છે. બૌદ્ધ ધર્મ તરફ પરમ અનુરાગ ધરાવતા અશોકે પોતાના રાજ્યમાં અનેક સ્થળોએ નવા સ્તૂપ બંધાવ્યા હશે ! પરંતુ તેમાં પધરાવવા માટેનાં અસ્થિ મેળવવા એણે જુના સ્તૂપ ખોલાવી ખાલીખમ કરી દીધાં હશે એ શંકાસ્પદ છે.
✔ સમ્રાટ અશોકે અનેકાનેક સ્તૂપ બંધાવેલા એ અનુશ્રુતિ સાતમી સદી સુધી પ્રચલિત હતી. હ્યુ-એન-સંગે સમ્રાટ અશોકે કાશ્મીરમાં ૫૦૦ વિહાર બંધાવેલા હોવાનું જણાવે છે ને બીજાં કેટલાક પ્રદેશોમાં પણ તેવી મોઘમ સંખ્યા આપે છે. એના સમયમાં ભારતમાં ઠેકઠેકાણે અશોકે બંધાવેલા જુના સ્તૂપ બતાવવામાં આવતા હતા.
✔ હ્યુ-એન-સંગ પ્રવાસ પોતાનાં પ્રાવાસગ્રંથમાં એંસીએક સ્તૂપોની બાબતમાં એ અશોકે બંધાવ્યા હોવાનું પણ નોંધ્યું છે. તારાનાથ લામાના જણાવ્યા અનુસાર અશોકે રાજગૃહ પાસેના નાલંદા વિહારધામમાં કેટલાંય વિહારો બંધાવેલા. પરંતુ આ પૈકીના કોઈ સ્તૂપોના કે વિહારોના અવશેષ હાલ બહ્ગ્યે જ મોજુદ રહેલાં છે. માત્ર વૈશાલી પાસે એણે જોયેલાં એક સ્તૂપને કેસરિયામાં મળેલાં સ્તૂપ તરીકે ઓળખી શકાય છે.
✔ અશોકના અભિલેખોમાં એણે બંધાવેલા સ્તૂપો કે વિહારનો ઉલ્લેખ મળ્યો નથી. એમણે બોધિતીર્થ ઉપરાંત લુમ્બિની અને નિગ્લીવની યાત્રા કરી હતી. લુમ્બિનીના ચૈત્યની પૂજા કરી હતી ને નિગ્લીવમાં કનકમુની બુદ્ધના સ્તૂપને બમણો મોટો કરાવ્યો હતો એવો એમાં ઉલ્લેખ આવે છે. પરંતુ એણે બંધાવેલા કોઈ નવા સ્તૂપનો ઉલ્લેખ આવતો નથી. પરંતુ બે સ્તૂપોનો મૂળ ભાગ અશોકે બંધાવ્યા હોવાનું માલૂમ પડે છે.
✔ ભગવાન બુદ્ધ જેવી વિભૂતિના પવિત્ર અસ્થિને પાત્રમાં મૂકી એની ઉપર ગોળાર્ધ ઘાટનો સ્તૂપ ચણવાની ને પછી એની આરાધના કરવાની પ્રથા ઘણા સમયથી પ્રચલિત હતી. શરૂઆતમાં આ સ્તૂપ કાચી ઇંટોના બંધાતા. આ ઇંટો લગભગ ૧૬ X ૧૦ X ૩ ઇંચના મોટા કદની હતી. સ્તૂપનું ગોળાર્ધ અંદ લગભગ ૩૫ ફૂટ ઊંચું ચણાતું ને એનો વ્યાસ પણ ૭૦ ફૂટ જેટલો રખાતો. અંડની ટોચ પર લાકડાની માનસૂચક છત્રયષ્ટિ ઉભી કરવામાં આવતી. ઇંટેરી અંડની સપાટી પર ચૂનાનો લેપ લાગવવામાં આવતો ને એમાં વચ્ચે વછે દીવો મુકવા માટેના ગોખલા રાખવામાં આવતા. એના પર રંગ તથા ચળકાટ લગાવવામાં આવતો ને એને ફૂલહાર, ધજા – પતાકા વગેરેથી શણગારવામાં આવતો. એને ફરતી પ્રદક્ષિણા કરવાની હોઈ, ખુલ્લા પ્રદક્ષિણા-પથને ફરતી લાકડાની વેદિકા (વંડી) કરવામાં આવતી. વેદિકાની અંદર દરેકદિશામાં એક એક દ્વાર રાખવામાં આવતું.
✔ જે આંકડો ખાલી ગ્રંથોમાં જ શોભાયમાન થયો છે તેનું અસ્તિત્વ પણ ના જ હોય ને ! જો અસ્તિત્વ જ ના હોય તો કોઈ તોડે જ કઈ રીતે ! તાત્પર્ય કે આ ખાલી આંકડાને અનુલક્ષીને ઉભી કરાયેલી અનુશ્રુતિઓ જ માત્ર છે !
હવે કોઈ ૮૪૦૦૦ સ્તુપોની વાતો કરતાં નહીં !
ખુશ રહો. મસ્ત રહો !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply