Sun-Temple-Baanner

સામવેદ : એક પરિચય


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સામવેદ : એક પરિચય


સામવેદ (સંસ્કૃત: सामवेद:)ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે. સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે. સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવૉ છે. તે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે. આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે. આ વેદની પત્નીનું નામ શિવા છે

અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે, પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે, એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું. છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે, જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે. ખાસ કરીને વેદાંત દર્શન પર. ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.

ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદાત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે. એટલો જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી. તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે : રાણાયનીય, સાત્યમુપ્રય, કાલાપ, મહાકાલાપ, લાંગબિક, શાર્દૂલીયને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે.

તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે. તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ. આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે. તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે. તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે. તે પાઠ ભિન્ન ભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે. ૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે.

યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે. મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ સામવેદના મંત્રો “ગેય” એટલેકે ગાઈ શકાય તેવા સ્વરૂપે છે. સંસ્કૃતમાં ગેય એટલે સામ, જેના પરથી સામવેદ નામ આવ્યું છે. સામવેદના મંત્રોના ગાનને સામગાન કહે છે. સામગાનમાંથી ભારતીય સંગીતનો જન્મ થયો છે.

સામવેદ “ધર્મ અને ઉપાસના”નો ગ્રંથ છે. ધર્મ માટે ભક્તિ એટલેકે ઉપાસના હોવી જરૂરી છે. જયારે અર્થ અને કામ બન્નેને સાધી લેવામાં સફળતા મળે છે, ત્યારે ધર્મમાં પ્રવેશ થઇ જાય છે અને તે પછી જીવનમાં ભક્તિ આવે છે. ભક્તિ અને જ્ઞાન પ્રકાશના પ્રતિક છે, માટે સૂર્યને સામવેદના દેવતા માનવામાં આવે છે.

સામવેદની એક હજાર શાખાઓ હતી તેવો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ વર્તમાનકાળમાં સામવેદની ત્રણ શાખાઓ ઉપલબ્ધ છે : [૧] રાણાયનીય, [૨] કૌથુમીય અને [૩] જૈમિનીય.

સામવેદના બે ભાગ છે : પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક.

પૂર્વાર્ચિકમાં ૬ પ્રપાઠક, ૬૫ ખંડ અને ૬૫૦ મંત્રો છે. જયારે ઉત્તરાર્ચિકમાં ૯ પ્રપાઠક, ૨૧ અધ્યાય, ૧૨૦ ખંડ અને ૧૨૨૫ મંત્રો છે. બંને ભાગ મળીને સામવેદ માં કુલ ૧૮૭૫ મંત્રો છે. આમાંથી ઘણા મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે.

સામવેદના ૯ બ્રાહ્મણો મળે છે, જેમાં તાન્ડ્ય બ્રાહ્મણ મુખ્ય છે. સામવેદને તલવકાર નામનું એક આરણ્યક તેમજ કેન અને છાંદોગ્ય નામનાં ૨ ઉપનિષદો છે. अग्निर्वृत्राणि जङघन्द् द्रविणस्युर्विपन्यया | समिधः शुक्र आहुतः || સામવેદ.

મનુષ્ય જ્યારે પરમાત્માની વિશેષ સ્તુતિ – ધ્યાન, ઉપાસના વગેરે કરે છે, ત્યારે પરમાત્મા મનુષ્યના અજ્ઞાન સહિતના બધા વિઘ્નોનો સંપૂર્ણ નાશ કરે છે. અને ઉપાસકની જ્ઞાન, સુખ, ઐશ્વર્ય જેવી સર્વ કામનાઓ માગ્યાં વિના જ પૂરી કરે છે, આથી મનુષ્યએ પોતાની ઈચ્છાઓની વૃદ્ધિ દ્વારા પોતાને અશાંત કરવાનું છોડીને માત્ર એક જ પરમાત્મામાં પ્રીતિ રાખવી જોઈએ.

ગીતામાં કૃષ્ણ પોતાની વિભૂતિઓના વર્ણનમાં કહે છે કે, वेदानां सामवेदोऽस्मि (૧૦.૨૨). ચારેય વેદોમાં પ્રમુખ તો ઋગ્વેદ છે, પરંતુ એનો સાર જેને ગાઈ શકાય એવા ગીત સ્વરૂપે સામવેદમાં છે.

સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થ જોવા મળે છે અને મારો ઝુકાવ સ્વાભાવિકરીતે ભૌતિક અર્થ તરફ રહેશે.

પૂ. ૧.૧.૧. અર્થાત પૂર્વાર્ચિકના પહેલા અધ્યાયના પહેલા ખંડના પહેલા શ્લોકમાં પ્રથમ શબ્દ “અગ્ન” છે. અગ્નિ એટલે યજ્ઞનો અગ્નિ કે જઠરાગ્નિ. અગ્નનો અર્થ પ્રકાશક કે સર્વવ્યાપક કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વિદ્યુતચુંબકીય તરંગો વ્યાપ્ત છે. જ્યાં આપણી કે આપણા શોધેલાં યંત્રોની નજર પહોંચે છે. એ સર્વે સ્થળે વિદ્યુતચુંબકીય અને પ્રકાશના તરંગોનો વ્યાપ છે. એટલે અગ્ન શબ્દ પાછળ રહેલો ભાવાર્થ આપણે જોઈ શકીએ છીએ. એ જ શ્લોકમાં આગળ ઋષિ કહે છે કે સ્વયંને તારી ભેટ આપવા મારા હૃદયમાં આવ. એટલે આપણી અંદર શરીરમાં પણ એ જ પ્રકાશ કે વિદ્યુત ચુંબકીય તરંગો રહેલાં છે.

પૂ. ૧.૧.૨ આ શ્લોકમાં અગ્નિને સમસ્ત વિશ્વના દરેક યજ્ઞના હોતા તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે. આપણા બ્રહ્માંડમાં દરેક પ્રાકૃતિક ઘટનાઓ જેવી કે હાઇડ્રોજન વાદળમાંથી તારાઓ અને ગ્રહો વગેરે બનવું, દરેક અવકાશી પદાર્થોની એકબીજા સાથેની પ્રતિક્રિયાઓ કે એમની આંતરિક પ્રક્રિયાઓ, વગેરેના કારણરૂપે કે પરિણામરૂપે અગ્નિ જ હોય છે.

પૂ. ૧.૧.૯ આ શ્લોકમાં અગ્નિને વિશ્વના આધાર અને વહનકર્તા કહ્યા છે. વળી, અરણી મંથન દ્વારા સ્થિરચિત્તવાળા તેમને પુષ્કરમાં પ્રગટ કરે છે. અહીં વિશ્વનો અર્થ સજીવ સૃષ્ટિ લઈએ તો સૂર્ય સજીવ સૃષ્ટિનો આધાર ગણી શકાય. પ્રકાશના કિરણો ઉર્જાના વહન દ્વારા સજીવ સૃષ્ટિનો આધાર બને છે. અરણી મંથન એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પુષ્કર એટલે હૃદયને શુદ્ધ લોહી મળે છે અને સમગ્ર શરીરમાં પહોંચી એ જીવનનો આધાર બને છે.

પૂ. ૧.૨.૩ આ શ્લોકમાં અગ્નિમાં આહુતિઓથી વાયુના દળ ફરી ઉપસ્થિત થાય છે એવો ઉલ્લેખ છે. અહીં આપણે વર્ષાચક્રનો સંદર્ભ જોઈ શકીએ છીએ.

પૂ. ૧.૨.૬. અને પૂ. ૧.૨.૭ શ્લોકમાં હિંસારહિત યજ્ઞની વાત મુકવામાં આવી છે. એ સમયે માત્ર હિંસક યજ્ઞો જ થતા હશે એ જરૂરી નથી. વળી, પૂ.૧.૨.૭ શ્લોકમાં અશ્વનો ઉલ્લેખ છે. જે કાળમાં સામવેદની રચના થઈ એ સમયે પાલતુ ઘોડાઓ હશે.

પૂ. ૧.૨.૮ શ્લોકમાં “ઔર્વ” શબ્દ જોવા મળે છે. એનો અર્થ પૃથ્વીના પેટાળના ગંધક, પોટાશ જેવા ખનિજ તત્ત્વો કરવામાં આવે છે. એનાથી પેટાવાતા અગ્નિનો સૂચક શબ્દ “ભૃગુવત” ત્યાર બાદ આવે છે. આનો અર્થ એ થયો કે સામવેદના રચનાકાળમાં રાસાયણિક પ્રક્રિયાથી અગ્નિ પેટાવવાની પદ્ધતિ પ્રચલિત હશે.

પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે. પૃથ્વી પર રહેનાર એ કાળના મનુષ્યો સૂર્ય સ્વયંપ્રકાશિત છે એવું કેવી રીતે જાણી શક્યા હશે…? વળી, સૂર્ય પ્રાચીન તેજને સમાવનાર છે. આ પ્રાચીન તેજ કદાચ બ્રહ્માંડનું મૂળ કે બિગ બેંગનું સૂચક હોય એમ નથી લાગતું?

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે “વેદોમાં હું સામવેદ છું”
આ કથન પરથી સામવેદની મહત્તા સૂચિત થાય છે.

સંકલન – જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.