બ્હારથી છું સાવ સજ્જડબંબ, અંદર સાવ પોલંપોલ જેમ;
હું સમયની ખીંટીએ ટીંગાયો છું વાગ્યા વગરના ઢોલ જેમ.
હું ક્ષણોનું ભૂંગળું વાળી ઉપર થોડીક ઘટના ચોપડું છું,
ને પછી હું શાંતિથી બેઠો બેઠો ખાઉં છું ક્રીમરોલ જેમ.
શક્ય છે કે ઠેસ, એક્સિદંડ, બીમારી કે બીજા કોઈ રૂપે,
કો’ક દી એકાદ-બે ક્ષણ પૂરતું મૃત્યુ મળે મિસકોલ જેમ.
સૌ પરમના હાઇ-વે પર નીકળે શ્રદ્ધાનું વાહન લઈને ત્યારે,
અધવચે ધીરજ બધાની કેમ ખૂટી જાય છે પેટ્રોલ જેમ?
જેટલું જેનું ગજુ હો એટલા સૌ પોતપોતાને ભરી લો,
જિંદગીના સાંકડા કૂવામાં ફેંકાયા છીએ સૌ ડોલ જેમ.
– અનિલ ચાવડા
Leave a Reply