Sun-Temple-Baanner

વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)


ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં. આ સ્મારકો ઠેર ઠેર ફેલાયેલાં છે, એમાં મહાદેવ મંદિર વિશેષ છે. જેમ કે શારણેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર અત્યારે પણ ચાલુ જ છે જે સોલંકીયુગીન છે. પણ, એની વાત વિજયનગર પોળો ફોરેસ્ટ વખતે…

પણ, ઇડરથી જમણી તરફ વિજયનગર બાજુ જતાં લગભગ ૩૦ કિલોમીટર દૂર એટલે કે આ તાલુકો અને ફોરેસ્ટની શરૂઆત થાય છે. ત્યાં ડાબી તરફ એક પાટિયું આવે છે – પ્રાચીન મહાદેવ મંદિર વિરેશ્વર. તે વખતે તો આપણું ધ્યાન એનાં પર પડતું નથી. પણ મૂળ સંકુલમાં જે જોવાનું હોય છે ત્યાં જઈએ છીએ ત્યારે જ ખબર પડે છે કે આ વિરેશ્વર મહાદેવ મંદિર જોવાં જેવું છે.

લોકો જ આપણને સમજાવે છે કે આ મંદિર જોવાં ખાસ જજો. અહીંયા રિસોર્ટમાં રહીએ તો એ લોકો જ આપણને ગાઈડની સુવિધા પૂરી પાડે છે. સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનો કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ જે આજુબાજુના ગામડાંના જ રહીશો હોય છે તેઓ જ આ ગાઈડની સેવા આપતાં હોય છે. લગભગ પોણા ૨ વર્ષ પહેલાં હું અને મારી પત્ની ગાડી ભાડે કરીને આ વિજયનગર પોળો ફોરેસ્ટમાં ગયાં હતાં. ત્યાં રિસોર્ટમાં રાત રોકાણા હતાં. શું સુંદર જગ્યા હતી શું સારી આગતાસાગતા હતી. પણ એ બધી વાત નથી કરવી. મારે તો આ વિજયનગર પોળો ફોરેસ્ટ જો માણવું હોય તો એ માટે સમય ફાળવવો જ પડે છે. સમય હોય તો જ આ બધું શાંતિથી જોઈ શકાય અને માણી શકાય છે !!!

લોકો સાથે હળીમળી પણ શકાય છે. નહીં તો એકદિવસીય પીકનીક કરીને થાકીને થોડીઘણી યાદો મનમાં ભરીને પાછાં ઘેર આવી જઈએ છીએ આપણે. બપોરે જમતાં પહેલાં મુખ્ય જે જોવાનું હતું તે તો જોવાઈ જ ગયું હતું પણ તોય ટ્રેકિંગ અને અમુક સ્થાનો તો બાકી જ હતાં. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને સાંજે એક ગાઈડના સથવારે જે કોલેજમાં ભણતો વિદ્યાર્થી હતો તેનાં માર્ગદર્શન હેઠળ સાંજે અમે અમુક સ્થાનો જોવાં ગયા જે પાછાં વળતા ઇડર રોડ પર જ આવતાં હતાં.

ઘણાં સ્થાનો જોયાં જેમાં છેલું સ્થાન હતું આ વિરેશ્વર મહાદેવ. આ મહાદેવ મંદિર ખાસ જ જોવાં જેવું છે એ ઐતિહાસિક છે અને પૌરાણિક પણ છે એવું અમને પહેલેથી જ સમજાવવામાં આવ્યું હતું. એટલે આ મંદિર જોવાનું અમને કુતુહલ તો હતું જ !!!

આ મંદિર રસ્તાની બાજુએ ૩-૪ કિલોમીટર પછી એક નાનાં પહાડની નીચે સ્થિત છે. રસ્તામાં કેટલીક સારી સોસાયટીઓ પણ બંધાયેલી અમે જોઈ અને હમણાં જ મારા વાંચવામાં આવ્યું કે ત્યાં એક રિસોર્ટ પણ બની ચુક્યો છે. ખરેખર વિકાસનું આ કદમ ચોક્કસ સરાહનીય છે. આ મંદિરમાં જવાં માટે નીચે ગાડી પાર્ક કરીને થોડોક જ ઢાળ ચડીને જ આ મંદિર આવે છે. રસ્તામાં પૂજાની સામગ્રીની ૫-૧૦ લારીઓ અને સ્ટોલો છે. મંદિર પરિસરમાં દાખલ થતાં જમણી બાજુએ એક નાનકડી નાસ્તા-પાણીની દુકાન પણ છે. પછી તરત જ ડાબી બાજુએ આ ઐતિહાસિક પૌરાણિક મંદિર આવે છે

મંદિરની બહાર બે ક્ષેત્રપાલ (ખેતરપાળ)ની મૂર્તિઓ છે જે આ મંદિરની રક્ષા કરે છે. આ ક્ષેત્રપાલ વિષે એજ સમયમાં હું લખી ચુક્યો હતો. એના ફોટોસ પણ બહુ લીધાં હતાં. ક્ષેત્રપાલ એ ગુજરાતની આગવી વિશેષતા છે એ બધું જ હું લખી ચુક્યો હતો “કાલભૈરવ” નામનાં લેખમાં… પણ પ્રત્યક્ષ ક્યારેય આ મૂર્તિઓ નિહાળી નહોતી, અને એની મહતા શું છે એ નજરોનજર નહોતું જોયું. જે આ વખતે મેં નાજ્રોજર જોયું -માણ્યું અને અનુભુત કર્યું.

👉 હવે મંદિર વિશેની વાત
આમ જોવાં જઈએ તો સાબરકાંઠા જિલ્લો એ વાઘેલા યુગની જાગીર સમાન છે. ચાલુક્યો પછીનાં વાઘેલા રાજવંશો મૂળે શિવભક્ત હતાં એટલે એમને શિવમંદિરો બંધાવવામાં કોઈ જ કચાશ નહોતી રાખી. સાબરકાંઠામાં ઠેર ઠેર ઠેકાણે અને વિધવિધ જગ્યાએ ક્યાંક શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમુના રૂપે કે ક્યાંક એ એ સીધાસાદા મંદિર રૂપે એમને શિવમંદિરો બંધાવેલા જ છે. પણ એનું મહાત્મ્ય એ ઐતિહાસિકની સાથે પૌરાણિક પણ છે જ… એટલે જ ભક્તોની ભીડ પુરતી શ્રદ્ધા અને આસ્થાથી ત્યાં ઉમટતી જ રહેતી હોય છે. સોલંકી યુગમાં ગુજરાતના લગભગ દરેક જગ્યાએ આ શિવમંદિરો બંધાયા હતાં. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી અને સૌરાષ્ટ્ર પણ !!!

સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર તાલુકામાં આવેલું આ પ્રાચીન વિરેશ્વર મહાદેવ એ લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે. આ ભોલેનાથ મહાદેવનું મંદિર એ સ્વયંભુ શિવલિંગ ધરાવતું મહાદેવ મંદિર છે. આ મંદિર વિક્રમ સંવત ૧૩૬૧ એટલેકે એટલેકે ઈસ્વીસન ૧૨૬૫માં બન્યું હતું. આજથી ૭૫૪ વર્ષ પહેલાં. એટલે એમ જરૂર કહી શકાય કે આ ચાલુક્યકાળમાં તો નહોતું જ બન્યું. કારણ કે ચાલુક્ય શાસનનો અંત તો ઈસ્વીસન ૧૨૪૩માં જ આવી ગયો હતો, અને એની જગ્યા વાઘેલા વંશે લીધી હતી.

આ વાઘેલાવંશ એ મૂળ ભિલોડાના વતનીઓ હતાં એટલે કે સાબરકાંઠાના જ અને આ વિજયનગર તેનાંથી નજીક જ છે. જો કે કર્ણદેવ વાઘેલા પહેલાનાં રાજવી અર્જુનદેવે બંધાવ્યું હશે. કારણ કે એમનો શાસનકાળ ઇસવીસન ૧૨૬૨ થી ઇસવીસન ૧૨૭૫ હતો. ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬ એ દરમિયાન અર્જુનદેવનાં પુત્ર સારંગદેવે ગુજરાતની ધુરા સંભાળી હતી અને કર્ણદેવ જે વાઘેલા વંશનો છેલો રાજા હતો. તેનો શાસનકાળ હતો ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪… કર્ણદેવ વિષે આપણે ત્યારે કઈ વાત નથી કરવી એ વીશે પછી કોક વાર વાત કરશું. આ મંદિર એ અર્જુનદેવનાં શાસનકાળ દરમિયાન બન્યું છે એ વાત સાચી જ છે.

આ મંદિર અતિહાસિક હોવાની સાથે સાથે પૌરાણિક પણ છે. કારણ કે અહીનું શિવલિંગ સ્વયંભુ છે. ગુજરાતમાં જો કોઈ જગ્યાએ ભગવાન નરસિંહનું સ્વયંભુ મંદિર હોય તો તે પણ અહીં જ સ્થિત છે. અહીંયા સાક્ષાત હનુમાનજીનું પણ મંદિર છે. આ મંદિરમાં રહેવાં-જમવાની પણ સગવડ પણ છે પણ એ મંદિરની ધર્મશાળા જ ગણાય. તોય ઘણાં લોકો એનો લાભ જરૂર લે છે. આ મંદિરમાં અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, કેટલાય ભક્તો રોજ મહાપ્રસાદનો લાભ લેવા માટે આવે છે. આજુબાજુ ઝાડો અને પાછળ એક પહાડ પણ છે.

આ પહાડ ઉપર થોડે ઉપર જઈએ તો કુદરતનો અદભૂત નજારો જોવાં મળે છે. એક ઝાડ છે એની નીચે એના મુળિયા દેખાય છે એને સુરક્ષિત કરીદેવામાં આવ્યાં છે. એક કુવા જેવું બહારથી લાગ્યા વગર રહે નહીં. એ ઝાડના મૂળ કે પહાડમાંથી સતત પાણી નીકળ્યા જ કરે છે જે પહાડમાંથી રસ્તો કરી ગૌમુખ દ્વારા એક કુંડમાં આવે છે. કઈ રીતે એતો આજે પણ અધ્યાહાર જ છે, પણ ત્યાંથી એ લગભગ ૨૦૦ -૩૦૦ ફૂટ નીચે એ પાણીનો જળાભિષેક સ્વયંભુ શિવલિંગ પર સતત થતો રહે છે. આ પાણી સુકાતું નથી અને એનો રસ્તો બદલતું નથી. ઝાડ પાન સુકાતું નથી અને પાણીનો પ્રવાહ સતત ચાલુ જ રહેતો હોય છે, બારે માસ અને ચીવીસે કલાક… ખૂબીની વાત તો એ છે કે આ પાણી ચોખ્ખું છે કલુષિત થયેલું નથી. એટલે કે આ પાણી વર્ષો સુધી બગડતું નથી બિલકુલ ગંગાજળ જેવું જ. એટલે જ આ જગ્યાનું નામ આપવામાં આવ્યું છે – “ગુપ્ત ગંગા “

આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરના પાછળના ભાગે ઉંમરના ઝાડમાંથી અવિરત પાણીનો પ્રવાહ વહે છે. ૧૯૫૬માં પડેલાં ભયંકર દુકાળમાં પણ આ મંદિરનું પાણી સુકાયું નહોતું. ૧૯૫૩માં વિજયનગરના મહારાજાએ મહંત પ્રથાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૨૦૦૦ની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લઇ નવુ બાંધકામ શરૂ કરાયુ હતું.

મંદિરના જીર્ણોદ્વારનું કામ પૂરૂ થતા વર્ષ ૨૦૦૮માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલું. અહીનું આજુબાજુનું વાતાવરણ શાંત અને મનોહારી છે. કુદરતી સૌંદર્ય હોય ત્યાં આપર શાંતિનો અનુભવ જ થાય. આવી પરમ શાંતિનો અનુભવ જો કરવો હોય ને તો એકવાર મંદિરમાં અવશ્ય જજો. કાશ્મીરને બાજુએ મૂકી એવી એની વનરાજી છે જેનો અહેસાસ તમને વરસાદી ઋતુમાં થયાં વગર રહેશે નહીં. કુદરત આ સમય દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે. શ્રાવણ મહિનામાં અહી ભક્તોની ભીડ પણ ખુબ રહેતી હોય છે. મહાશિવરાત્રીએ તો અહી માનવ મહેરામણ જ ઉભરાય છે, સ્થાનિક આદિવાસીઓનું આ અતિપ્રિય સ્થળ છે.

આવાં મંદિરો માત્ર દર્શન કરીને નીકળી જવાં માટે નહિ પણ એક અનુભવ મેળવવા જેવાં હોય છે. પેલા ભાઈ જે આમારા ગાઈડ હતાં, એમને લીધે અમને આ જોવાં મળ્યું અને એમને મને જે સમજાવ્યું જે બતાવ્યું તો મારાં મનમાં પણ આ જગ્યાએ ફરીવાર જવાની ઈચ્છા જરૂર થઇ છે. તમે પણ આવા મંદિરોમાં જજો અને ભાવપૂર્ણ રીતે માથું ટેકવજો. એટલું તો અવશ્ય કહી શકું છું છે કે મંદિર મને બહુ જ ગમ્યું છે એટલેજ એ હજી મારાં હૃદયમાં વસેલું છે. ખબર નહિ કેમ આવી બધી જગ્યાઓ લોકો કેમ એની ઉપેક્ષા કરે છે જ તે કુદરતના કરિશ્મા સમું આ પાણીનું ઝરણું જોવાં તો એક વાર અવશ્ય જ જજો. અને ખુબજ શ્રદ્ધા પૂર્વક શંકર ભગવાનનાં લિંગ સહીત ભગવાન નરસિંહ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરજો !!!

સંકલન ~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.