આજની આ પળને આજે ખાળજે હળવાશથી.
કાં, ગયેલી પળને પાછી વાળજે હળવાશથી.
કેટલું ક્યાં બોલવું, એનો કરી અંદાજ. . ને –
મૌનની શરતો બધીયે પાળજે હળવાશથી.
જો પુરાવો કે ખુલાસો હોય ના સંગીન, તો –
સાવ સાચી વાતને પણ, ટાળજે હળવાશથી.
હા, પછી મળશે બધાયે પ્રશ્નના ઉત્તર તને,
તર્ક સાથે તથ્યને પણ, ગાળજે હળવાશથી.
આંખ, મન કે કંઠમાં, કોરી તરસ જો તરફડે,
તો, ગઝલના લયમાં એને ઢાળજે હળવાશથી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply